
કોઇ આદિવાસી મેચ જોવા આવ્યો ને, કોરોના થયો હોય તો દેખાડો
નીતિન પટેલના નિવેદનથી ગૃહમાં હંગામો
તમે આદિવાસીઓનું અપમાન કરો છો તેમ કહી કોગ્રેસી ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો
અમદાવાદ : વિધાનસભા ગૃહમાં કોરોનાનો મુદ્દે વિપક્ષે ભાજપ સરકારને ઘેરી હતી. વિપક્ષના ધારાસભ્યએ એવો આક્ષેપ કર્યો હતોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ નહીં, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહેલી ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચને લીધે કોરોના વકર્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવો જવાબ આપ્યોકે, કોઇ આદિવાસી ક્રિકેટ જોવા આવ્યો હોયને,કોરોના થયો હોય તો દેખાડો. આ નિવેદનને પગલે કોગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ ગૃહમાં હંગામો મચાવી દીધો હતો. એટલું જ નહીં, ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
વિધાનસભા ગૃહમાં દિવસભર કોરોનાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, નમસ્તે ટ્રમ્પ,સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ક્રિકેટ મેચને કારણે જ કોરોના વકર્યો છે. તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ પણ આ વાતને સમર્થન આપ્યુ હતું ત્યારે આરોગ્ય મંત્રી નીતિન પટેલ અચાનક ઉશ્કેરાઇ ગયાં હતાં.
તેમણે આનંદ ચૌધરી તરફ જોઇને એવુ કહ્યું કે, તમારો કોઇ આદિવાસી ક્રિકેટ મેચ જોવા આવ્યો હોય ને કોરોના થયો હોય તો દેખાડો. આટલુ કહેતા ંજ કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ હોબાળો મચાવી દીધો હતો. ધારાસભ્ય આનંદ ચૌધરીએ કહ્યું કે, તમે દર વખતે આદિવાસીઓનુ અપમાન કરો છો.
આ અગાઉ પણ તેઓ રાજ્યપાલના પ્રવચન વખતે આદિવાસીઓને માત્ર નાચવા ગાવા સિવાય કશું જ નથી એવુ બોલ્યા હતાં. આ મામલે આદિવાસીઓ ધારાસભ્યોએ નીતિન પટેલ માફી માંગે તેવો આગ્રહ રાખીને સૂત્રોચ્ચાર કર્યા હતાં. આખરે કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ વિરોધી સૂત્રો પોકારી ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/318RN2A
0 Response to "કોઇ આદિવાસી મેચ જોવા આવ્યો ને, કોરોના થયો હોય તો દેખાડો"
Post a Comment