
પ્રતિબંધોથી ધુળેટીની ઉજવણીનો રંગ છિનવાયો, ઘરે ઘરે ઉજવાશે
- કાશ, હોળી-ધુળેટી ચૂંટણી ટાણે આવ્યા હોત!
- મંદિરોમાં ઉત્સવો બંધ, જાહેર ઉજવણી નહીં થાયઃ રંગોની ખપત ઘટશે, જો કે ખજુર,ધાણી-દાળિયા, શ્રીફળ, છાણાની નીકળતી માંગ
- બાંધકામ, યાર્ડના કામ પણ સપ્તાહ બંધ રહેશે
રાજકોટ
રોજબરોજની મહામારી,મોંઘવારી,મંદીથી મનને મુક્ત કરતા આનંદોત્સાહના પર્વ ધુળેટીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ પર્વ ચૂંટણી પહેલાના સમયે આવ્યું હોત તો રાજકારણીઓની ઉજવણી સાથે લોકો પોતાની ઉજવણી કરી શકત પરંતુ, અધિક માસના પગલે ધુળેટી તહેવાર આ વખતે વીસ-પચીસ દિવસ મોડો આવે છે જેના પર પ્રતિબંધથી તેની ઉજવણીનો રંગ ઝંખવાયો છે.
કોરોના ફરી ટોચ ઉપર પહોંચી જતા લોકો વધુ સતર્ક થવા લાગ્યા હોય અને બીજી તરફ સરકારે જાહેર ઉજવણી પર રંગો ઉડાડવા પર પ્રતિબંધ મુક્યો હોય આ વખતે પાણી, રંગોથી ઉજવણી ફીક્કી થઈ જશે. જો કે બાળકો,પરિવારજનો ઘરમાં રહીને આ ઉજવણી કરશે તેમ મનાય છે. ભગવાન કૃષ્ણના મંદિરો, હવેલી વગેરે સ્થળે ધુળેટીએ થતા કાર્યક્રમો જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે તે રદ કરાયા છે. વેપારી સૂત્રોએ જણાવ્યું કે ધુળેટી માટે રંગો, કેસુડા, ફૂગ્ગા વગેરેની ખપત ઘટી જશે.
જો કે, રવિવારે હોળીની પરંપરાગત રીતે ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ જણાઈ રહ્યો છે અને આ અન્વયે હોળીમાં પધરાવવા માટે શ્રીફળ (નારિયેળ), પતાસા (હારડાં), ખજુર, ધાણી, દાળિયા વગેરેની માંગ બજારમાં નીકળી રહી છે.
હોળી,ધુળેટીની સળંગ બે દિવસની રજા હોય સરકારી કચેરીઓ બંધ રહેશે તેમજ માર્કેટયાર્ડો તો બંધ રહે છે સાથે મજુરો વતન જતા હોય બાંધકામ સહિતના કામકાજ પણ બંધ રહેશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tNLu0z
0 Response to "પ્રતિબંધોથી ધુળેટીની ઉજવણીનો રંગ છિનવાયો, ઘરે ઘરે ઉજવાશે"
Post a Comment