
વિમા ક્ષેત્રે થયેલ ઘોષણાનો વ્યાપક વિરોધ યુનિયનના કર્મચારીઓ આજે હડતાલ પર
- વિમા ઉદ્યોગ સંબંધિત બજેટ પ્રસ્તાવો અયોગ્ય !
- વિદેશી મુડી નિવેશ 74 ટકા કરાશે, ખાનગીકરણ સહિત એલ.આઇ.સી.નો આઇ.પી.ઓ. નાના મુડી રોકાણકારો માટે કપરા સંજોગો ઉભા કરી શકે છે
ભાવનગર
તાજેતરમાં બજેટ પ્રસ્તાવમાં વિમા ક્ષેત્રે વિદેશી મુડી નિવેશની સીમા ૭૪ ટકા કરવા, ખાનગીકરણ કરવા અને એલ.આઇ.સી.નો આઇ.પી.ઓ. લાવવા પર જાહેરાત કરતા લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા વિરોધ નોંધાવ્યો છે અને વિમા ક્ષેત્રના કર્મચારીઓ પ્રત્યુતરમાં તા.૧૮-૩ના રોજ એક દિવસીય હડતાલ પાડવાની જાહેરાત કરી છે.
ભારતના વિમા ઉદ્યોગ સંબંધિત નાણાંમંત્રીના બજેટ પ્રસ્તાવો રાષ્ટ્ર અને જનતા માટે ઘાતક છે. વીમા ક્ષેત્રના તમામ કર્મચારીઓ એના પ્રત્યુત્તરમાં તા.૧૮-૩-૨૦૨૧ના રોજ એક દિવસીય હડતાલ પાડશે. નાણામંત્રીએ પોતાના બજેટ પ્રસ્તાવોમાં વીમા ઉદ્યોગ સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ ઘોષણાઓ કરી હતી જેમાં સરકાર વિમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી મુડી નિવેશની સીમા ૪૯ ટકાથી વધારી ૭૪ ટકા કરશે અને વિમા ક્ષેત્રમાં કેટલાક સુરક્ષાત્મક પ્રાવધાનો સાથે વિદેશી સ્વામીત્વ માટે અનુમતિ પ્રદાન કરશે.
સરકારની યોજના છે કે બે જાહેર ક્ષેત્રની બેંકો સાથે જાહેર ક્ષેત્રની એક સામાન્ય વિમાની કંપનીનું પણ ખાનગીકરણ કરશે. સરકાર વર્તમાન નાણાંકીય વર્ષમાં એલઆઇસીનો આઇપીઓ લાવનાર છે. એ હેતુ માટે નાણાં વિધેયકમાં એલઆઇસી એક્ટમાં આવશ્યક સંશોધનોનો સમાવેશ કરવામાં આવેલ છે.
ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇઝ એસોસિએશને આ તમામ પ્રસ્તાવોનો વિરોધ નોંધાવ્યો છે કારણ એ વિમા ઉદ્યોગના હિતમાં નથી. એફડીઆઇની સીમામાં વૃધ્ધિની કોઇ જરૂરિયાત જ નથી. વિમા ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે આઇ.આર.ડી.એ. એક્ટ-૧૯૯૯ના માધ્યમથી ખોલવામાં આવ્યું હતું.
પ્રારંભમાં ખાનગી કંપનીઓને માટે ૨૬ ટકા વિદેશી હિસ્સેદારી હેતુ અનુમતી પ્રદાન કરવામાં આવી હતી. તદુપરાંત ૨૦૧૫માં ૨૬ ટકા થી વધારી ૪૯ ટકા કરવામાં આવી. સરકાર એ સીમા ૪૯ ટકાથી વધારી ૭૪ ટકા કરવાનો પ્રસ્તાવ લઇને વિમાનો વ્યવસાય મુડી પ્રધાન વ્યવસાય દર્શાવાયો હતો. વિમા વ્યવસાયના વિકાસ અને વિસ્તાર માટે ખુબ મોટી માત્રામાં મુડીની આવશ્યક્તા હોય છે, પરંતુ આ તર્ક સાચો નથી. તમામ મોટા કોર્પોરેટ ગૃહો વિમા વ્યવસાયમાં દાખલ થઇ ચુક્યા છે અને મુડી એમના માટે ક્યારેય સમસ્યા કે મુદ્દો રહ્યા જ નથી. ૧૮ ટકા જીએસટીને કારણે જીવન વિમા અને સ્વાસ્થ્ય વિમાના વ્યવસાયની સંભાવના સીમિત થઇ રહી છે.
વિમો, ખાસ કરીને જીવન વિમો લોકોની નાની-નાની બચતોને એકત્રિત કરી એને મુડીમાં પરિવર્તિત કરે છે જેને સામાજિક અને દેશના માળખાકીય પ્રોજેક્ટ્સમાં નિવેશ કરવામાં આવે છે. વિદેશી મુડીને ઘરેલું બચતો પર અધિક નિયંત્રણ માટે અનુમતિ પ્રદાન કરવી દેશ માટે ઘાતક સાબિત થશે. એક એવા દેશમાં કે જ્યાં મુડીની પહેલેથી જ અછત હોય, એફડીઆઇમાં વૃધ્ધિ અને વિદેશી સ્વામીત્વની અનુમતિ આપવા સંબંધી નિર્ણયથી ભારતના લોકોની બહુમૂલ્ય બચત વિદેશી હાથોમાં ચાલી જશે. યુનિયને વધુમાં જણાવ્યું હતું કે, એલઆઇસીના આઇપીઓનું કોઇ ઔચિત્ય જ નથી. એલઆઇસીનું ગઠન સંસદમાં પારિત અધિનિયમને આધારે કરવામાં આવ્યું છે. પોલિસી ધારકોને અત્યધિક સુરક્ષા પ્રદાન કરવાની સાથે પ્રીમિયમના રૂપે એકત્રિત થયેલ નાની બચતોને આધારે દેશના ઝડપી ઔદ્યોગિકીકરણ કરવાના ઉદેશ્ય સાથે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. વિનિવેશિકરણ એલઆઇસીના ખાનગીકરણ તરફનું પ્રથમ પગલું હશે જેના વિરોધમાં તા.૧૮ના રોજ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પો. એમ્પ્લોઇઝ યુનિયનના કર્મી હડતાલ પર રહેવા નિર્ણય કર્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/310e8Py
0 Response to "વિમા ક્ષેત્રે થયેલ ઘોષણાનો વ્યાપક વિરોધ યુનિયનના કર્મચારીઓ આજે હડતાલ પર"
Post a Comment