
ટાઇપ કલાસની દુકાનમાં ફર્નિચર સળગાવી દેનાર 4 સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગુન્હાખોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરની મધ્યમાં બાલાહનુમાન રોડ પર આવેલ એક ટાઈપ કલાસની દુકાનમાં ચાર થી પાંચ શખ્સો દ્વારા દુકાન ખાલી કરાવવાની ધમકી આપી દુકાનમાં રહેલ માલ-સામાન તેમજ ફર્નીચર સળગાવી નુકશાની અંગેના આક્ષેપ સાથે એ ડિવીઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે લેખીત ફરિયાદ નોંધાવી હતી તેમજ આ અંગે જીલ્લા કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ પણ લેખીત રજુઆત કરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના બાલા હનુમાન રોડ પર સર્વોદય ટાઈપ કલાસ નામની ભાડુઆત તરીકે દુકાન ધરાવતાં અલ્તાફભાઈ મીરજા જેઓ છેલ્લા ૩૫ વર્ષથી માસીક ભાડા પેટે દુકાન ધરાવે છે અને આ દુકાન અગાઉ રસીકલાલ માણેકચંદ શાહ પાસેથી તેમજ તેમના અવસાન બાદ હંસાબેન શાહને વારસાઈથી મળે છે અને નિયમીત નક્કી કર્યા મુજબનું ભાડું ચુકવે છે ત્યારે છેલ્લા ૧૫-૨૦ દિવસથી આ દુકાન ખાલી કરાવવા તેમજ જો ખાલી કરવામાં નહિં આવે તો જાનથી મારી નાંખવાની ધમકી તેમજ માનસીક અને શારીરિક ત્રાસ ચાર જેટલાં શખ્સો જુસબભાઈ, હંસાબેન, અજયભાઈ તથા હિનાબેન સહિતનાઓ ટાઈપ કલાસની દુકાન પર આવી આપતાં હોવાનો આક્ષેપ કર્યો હતો અને તાજેતરમાં ટાઈપની દુકાનમાં અચાનક આગ લાગતાં દુકાનમાં રહેલ ૮ કોમ્પ્યુટર, એક ઝેરોક્ષ મશીન, ૬ પ્રીન્ટર, લેમીનેશન મશીન, બાઈન્ડીંગ મશીન, ટાઈપ મશીન, ટેબલ-ખુરશી, એસી સહિત જરૂરી દસ્તાવેજો સહિતનો મુદ્દામાલ ખાખ થઈ ગયો હતો અને અંદાજે રૂા.૪.૫ લાખના નુકશાની અંગે એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેમજ દુકાન ખાલી ન કરવાથી તે અંગેનું મનદુઃખ રાખી ચાર શખ્સો દ્વારા દુકાનને સળગાવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w34zxH
0 Response to "ટાઇપ કલાસની દુકાનમાં ફર્નિચર સળગાવી દેનાર 4 સામે ફરિયાદ"
Post a Comment