
કોરોનાનો ભય ઓસર્યો : ઈમ્યુનિટી બૂસ્ટરની ડિમાન્ડ 70 ટકા ઘટી
દિવાળી પછી 60 ટકા ઘરોમાં કોરોના પ્રસર્યો હતો તે 10 ટકા થયો
લેબોરેટરીઓમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં પણ 80 ટકાનો ઘટાડો
અમદાવાદ, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર
કોરોના જાઉં... જાઉં... થઈ રહ્યો છે અને હવે વેક્સિન આવી ગયાનો આત્મવિશ્વાસ વધ્યો છે. કોરોનાનો ભય ઓસરતાં જ ખૂલ્લા બજારમાં ઈમ્યુનિટી બૂસ્ટર દવાઓ અને વસ્તુઓની માંગમાં 70 ટકા જેવો ધરખમ ઘટાડો નોંધાયો છે. લોકોને મોઢા ઉપર માસ્ક પહેરવાની આદત પડી ચૂકી છે. તો, કોરોના અટકાવવા માટે સેનેટાઈઝર, ઝીન્ક ટેબલેટ, વિટામીન-સી ઉપરાંત દેશી ઉકાળાની લોકોની આદત છૂટવા લાગી છે.
દિવાળી પછી સ્વયંશિસ્ત વધી તે સાથે જ ઠંડીમાં ગરમ વસાણા ઉપરાંત સાત્વિક ખોરાક અને પૂરતા આરામથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધી હોવાથી કોરોના ઉપર કન્ટ્રોલ મેળવી શકાયો છે. મેડીકલ લાઈનના સૂત્રો કહે છે કે, દિવાળી પછીના દિવસોમાં 100એ 60 ઘરોમાં કોરોનાની અસર વરતાઈ હતી તે ઘટીને હવે 10 ટકા જ રહેવા પામી છે.
કોરોનાએ દિવાળી પછી જે કહેર મચાવ્યો તે પછી લોકજાગૃતિ કેળવાઈ છે તે યથાવત રહેશે તો કોરોના ફરી ઉથલો મારે તેવી શક્યતા ઘટશે. આ જ સિૃથતિ જળવાયેલી રહેશે તો એક વર્ષમાં એટલે કે આવતા માર્ચ મહિના સુધી જનજીવન પૂર્ણત: રાબેતા મુજબ થઈ જશે જેનો ફાયદો બજારમાં અને લોકોની આિર્થક પરિસિૃથતિમાં છ મહિને જોવા મળી શકે છે.
કોરોના અંગેનો અભ્યાસ કરતાં રહેલા મેડીકલ લાઈનના સૂત્રો કહે છે કે, ગત જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન 1000 વ્યક્તિએ કોરોનાના 300 કેસ હતાં. ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં તે સરેરાશ ઘટીને 200 થવા પામી હતી. દિવાળી પછીના સમયગાળામાં ધરખમ અને ચિંતાજનક ઉછાળો આવતાં 1000એ કોરોના કેસની સંખ્યા 500થી 600 રહેવા પામી હતી.
લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને કોરોના સામે આવશ્યકત સાવચેતીનો દોર શરૂ થયો હતો. હાલમાં 1000 વ્યક્તિએ 100 વ્યક્તિ એટલે કે કોરોનાનું પ્રમાણ માંડ 10 ટકા જેવું રહેવા પામ્યું છે. કોરોનાનો ભય ઓસરી રહ્યો હોવાનું રસ્તાઓ અને બજારમાં શરૂ થયેલી ચહલપહલ ઉપરથી જોઈ અને જાણી શકાય છે.
મેડીકલ સ્ટોર્સ એસોસિએશનના જસુભાઈ પટેલનું કહેવું છે કે, દિવાળી પછી ઈમ્યુનિટી બૂસ્ટર અને કોરોના સંદર્ભે દવાની માંગમાં 200 ટકાનો ઉછાળો આવ્યો હતો. હાલમાં સામાન્ય ડીમાન્ડ કરતાં ઈમ્યુનિટી બૂસ્ટરની માંગ 70 ટકા ઘટી છે. ખાસ કરીને ઝીન્ક ટેબલેટ્સ, વિટામીન-સી ટેબલેટ્સ અને અન્ય વિટામીન ટેબલેટ્સની માંગમાં 70 ટકાનો ઘટાડો થયો છે.
તો, મેડિકલ સ્ટોર્સમાં સેનેટાઈઝરની માંગમાં 80થી 90 ટકાનો ઘટાડો નોંધાયો છે. શિયાળા દરમિયાન ગરમ વસાણા, લીલા શાકભાજી, લીંબુ અને ખટાશવાળા ફળો સહિતનો સાત્વિક ખોરાક લોકો વધુ પ્રમાણમાં લેતાં થયાં છે. સાથોસાથ, પૂરતો આરામ થવાથી રોગ પ્રતિકારકશક્તિમાં વધારો થયો છે.
સાથોસાથ, કોરોના સામે જનજાગૃતિ વધી છે અને મોટા ભાગના લોકો નિયમીતપણે માસ્ક પહેરતાં અને જરૂરી હોય ત્યાં સોશિયલ ડીસ્ટન્સ જાળવતાં થયાં છે તેનો ફાયદો જોવા મળી રહ્યો છે. જ્યારે, પેથોલોજીસ્ટ અને લેબોરેટરી એસોસિએશનના ડો. મુકેશ મહેશ્વરનું કહેવું છે કે, લેબોરેટરીઓમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં 70 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
જો કે, બીજા રાજ્ય કે દેશમાં જતાં પહેલાં કરવાના ફરજીયાત એવા આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યામાં 10 ટકા જેવો વધારો નોંધાયો છે. હવે, લેબોરેટરીઓમાં અન્ય રોગના સર્જીકલ ટેસ્ટનું પ્રમાણ વધ્યું છે. મતલબ કે, ડોક્ટર્સ હવે કોરોના મહામારીમાંથી હળવા થઈ બીજા રોગની સારવારમાં પ્રવૃત્ત બની રહ્યાં છે. શિયાળામાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધી છે.
તો, કોરોના સામે રસીકરણ શરૂ થવાથી લોકોના આત્મવિશ્વાસમાં વધારો આવ્યો છે તેની અસર પણ કોરોનાના ઘટાડામાં જોવા મળી રહી છે. કોરોના હજુ સાવ ગયો નથી. આવા તબક્કે લોકો રોગચાળાનો ભોગ બનવાના બદલે કોરોના થાય નહીં તે માટે જાગૃતિ જાળવી રાખે છે. કહેવાય છે કે, પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર.
લોકો માસ્ક પહેરતા થયા અંગે પ્રશ્નાર્થ દરરોજ 11 લાખના દંડનો ચાંદલો !
અમદાવાદ શહેરમાં આમ તો સંખ્યાબંધ લોકો માસ્ક પહેરીને નીકળેલાં જોવા મળે છે. પણ, પોલીસે એવી કડક કાર્યવાહી કરી છે કે, શુક્રવારે 1182 લોકો દંડાયા હતા. શુક્રવારે પોલીસે કુલ 11.82 લાખ રૂપિયાનો માસ્કદંડ વસૂલ્યો હતો.
જ્યારે, લોકડાઉન અને જાહેરનામા ભંગ બદલ 118 વાહનો ડીટેઈન કરીને 10.96 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, એક સમય હતો કે, અમદાવાદ શહેર પોલીસ દરરોજનો પચ્ચીસ લાખ રૂપિયાનો દંડ વસૂલતી હતી તે ઘટીને બાવીસ લાખ થયો છે.
કોરોના કાળમાં અત્યાર સુધીમાં કુલ 44692 લોકો સામે એફઆઈઆર નોંધીને 53825 લોકોની અટકાયત કરવામાં આવી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, શુક્રવારે કુલ 11 લોકો સામે જ એફઆઈઆર નોંધાઈ છે. એક તબક્કે દરરોજ 100 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાતી હતી. જો કે, 1182 લોકો દંડાતા લોકો માસ્ક પહેરતાં થયાં છે તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.
વિદેશ અથવા મહારાષ્ટ્ર કે રાજસ્થાન જવા ટેસ્ટ કરાવીને જવું પડે છે
કોરોનાનો ભય હજુ સાવ ઓસર્યો નથી ત્યારે ગુજરાતમાંથી અમુક રાજ્યમાં કે વિદેશ જતાં પહેલાં લોકોએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા પડે છે. ગુજરાતથી મહારાષ્ટ્ર કે રાજસૃથાન પહોંચો તેના 72 કલાક અગાઉના સમયગાળામાં કોરોના ટેસ્ટ કરાવેલો હોવો ફરજીયાત છે.
એ જ રીતે અમેરિકા, યુ.કે, સાઉદી અરેબિયા કે યુએઈ જવાનું થાય તેવા મુસાફરોએ સૌ પહેલાં કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવીને તે નેગેટિવ હોવાનો રિપોર્ટ સાથે રાખવો પડે છે.
આ રિપોર્ટ મળ્યાંના 72 કલાક સુધીમાં આ દેશોમાં પહોંચો તો જ તે માન્ય ગણવામાં આવે છે. ગુજરાતથી બે પાડોશી રાજ્યો કે વિદેશમાં જતાં પહેલાં કોરોના અંગે વિશેષ સતર્કતા રખાય છે. આવા રિપોર્ટ કરાવનારાંઓની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. મતલબ, ગુજરાતથી બહાર અવરજવર કરનારાંની સંખ્યા વધી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MAvfnk
0 Response to "કોરોનાનો ભય ઓસર્યો : ઈમ્યુનિટી બૂસ્ટરની ડિમાન્ડ 70 ટકા ઘટી"
Post a Comment