
વઢવાણ વોર્ડ નં-6માં ઘણા સમયથી ગંદા પાણીનું વિતરણ થતા રજૂઆત
સુરેન્દ્રનગર, તા. 30 જાન્યુઆરી, 2021, શનિવાર
સુરેન્દ્રનગર સંયુકત નગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં રહેતા રહીશોને રોડ-રસ્તા-પાણી-ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે પરંતુ વઢવાણ વિસ્તારના જુના વોર્ડ નં.૬માં આવેલ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી ગટર સાથે મિશ્ર પાણી આપવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે અંગે પાલિકાના પૂર્વ સદસ્યએ ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી હતી.
આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ વઢવાણ નગરપાલિકાના જુના વોર્ડ નં.૬માં આવેલ સંતોષપાર્ક, વિરાટનગર, સુર્યનગર, ચંદ્રનગર સહિતના વિસ્તારમાં અનેક પરિવારો છેલ્લા ઘણાં સમયથી વસવાટ કરી રહ્યા છે પરંતુ આ વિસ્તારમાં છેલ્લા ૬ મહિનાથી પાલિકા તંત્ર દ્વારા શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવતું નથી. જેના કારણે રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે. હાલ ગટર સાથે મિશ્રિત ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વિતરણ કરવામાં આવે છે જેના કારણે લોકોના આરોગ્યને જોખમ ઉભું થયું છે અને બહારથી વેચાતું પાણી લાવવું પડે છે. જે અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા પાલિકાના પૂર્વ સદસ્ય પુષ્પાબેન વી. મકવાણા અને વિપુલભાઈ મકવાણા સહિતનાઓએ ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી હતી અને તાત્કાલીક યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pySexR
0 Response to "વઢવાણ વોર્ડ નં-6માં ઘણા સમયથી ગંદા પાણીનું વિતરણ થતા રજૂઆત"
Post a Comment