
ચાંગોદરમાં સિક્યોરિટી ગાર્ડે જ 44.50 લાખની લૂંટનો પ્લાન બનાવ્યો હતો
અમદાવાદ, તા. 9 જાન્યુઆરી, 2021, શનિવાર
પોલીસની નિષ્ક્રયતાના કારણે અમદાવાદ શહેર અને જિલ્લામાં લૂંટારૂ ટોળકી તરખાટ મચાવી રહી છે અને નિર્દોષ લોકોને માર મારીને લાખોની મત્તાની લૂંટ ચલાવી રહી છે. ચાંગોદરમાં ગઇકાલે સાંજે ખાનગી કંપનીના બે કર્મચારી પર ઘાતક હુમલો કરીને રૂા.44.50 લાખ રોકડની લૂંટ ચલાવી હતી. જો કે મોેબાઇલ લોકેશન આધારે પોલીસે ત્રણ કલાકમાં જ છ આરોપીને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પડયા હતા. ચોેંકાવનારી બાબત એ છે કે કંપનીના સિક્યુરિટી ગાર્ડે જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
અમદાવાદ જિલ્લા એસ.પી, વિરેન્દ્ર સિંહ યાદવના જણાવ્યા મુજબ સાણંદ તાલુકાના ચાંગોદર ગામ પાસે કોલટ રોડ પર શ્રીજી રેસીડેન્સીમાં રહેતા અને તાજપુર પાટીયા પાસે મધુ ફ્રેગ્નેન્સ પ્રા. લી. નામની કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરતા સંદિપકુમાર બલીરામ યાદવે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે આ કંપનીમાં તેમના ભાઇ રાજકુમાર પણ ઓપરેટર તરીકે નોકરી કરે છે.
આ કંપનીમાં ઠેકેદાર તરીકે કામ કરતા હરેન્દ્ર શર્મા કંપનીમાં મજૂરો લાવવા લઇ જવાની કામગીરી કરે છે. ગઇકાલે સાંજે સાત વાગે હરેન્દ્ર શર્માએ કહ્યુ હતું કે મારો ભાઇ સનોજ કુમાર શર્મા કંપનીના મજૂરોના પગારના રૂપિયા લઇને ચાંગોદર અમારા ઘરે જાય છે, તો તુ તેની સાથે જા તેમ કહેતા ફરિયાદી અને સનોજ કુમાર બાઇક ઉપર બેસીને જતા હતા જ્યાં સનોજ કુમાર પાસે રૂા. 44.50 લાખ ભરેલો થેલો હતો.
ત્યાંથી તાજપુર પાટિયા થઇ ચાંગોદર બ્રિજ નીચેથી રેલવે ફાટક પાસે પહોચ્યા હતા , ચાર રસ્તા પાસે પાંચ શખ્સો ઉભા હતા અને તેઓએ ફરિયાદીના હાથ પર દંડો મારતાં બન્ને જણા નીચે પડી ગયા હતા. આરોપીઓએ સનોજ કુમારને માથામાં દંડા માર્યા હોવાથી તેઓ બેભાન થઇ ગયા હતા અને તેમના હાથમાથી રૂપિયા ભરેલા થેલા લઇને ભાગી ગયા હતા જ્યારે બીજા ત્રણ શખ્સોએ ફરિયાદીને મારમારી છરી બતાવીને ડરાવ્યા બાદ તેઓ પણ બાઇક પર ફરાર થઇ ગયા હતા.
આ બનાવની જાણ થતાં એસીપી કે.ટી. કામરીયાએ તુરંત પોલીસે ટીમો બનાવીને નાકા બંધી શરૂ કરી હતી અને પોલીસે મોબાઇલ લોકેશન આધારે તપાસ કરતાં કંપનીનો સિક્યુરિટી ગાર્ડ શંકાના દાયરામાં આવી ગયો હતો પોલીસે તેની અટકાયત કરી હતી. તેમજ મોબાઇલ લોકેશન આધારે તપાસ હાથ ધરી હતી અને રેલવે ક્રોસીંગ પાછળની ઝાડીમાં ઝાડ પર છુપાયેલા આરોપીઓ પકડી પાડયા હતા.
પકડાયેલા શખ્સોમાં મોરૈયા ખાતે સિધ્ધી કેસર સોસાયટીમાં રહેતા અને કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા જીતેન્દ્રભાઇ બાબુભાઇ પરમાર તથા તેનો ભાઇ હરદેવભાઇ પરમાર તેમજ મોરૈયાદગામમાં સોેમનાથ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ દિનેશભાઇ વાણીયા તથા સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર રહેતા ભાવેશભાઇ બકુલભાઇ બામ્ભા અને ધોલેેરા વાણંદાગામના રાકેશભાઇ રમેશભાઇ મેર ( કો.પટેલ ) તેમજ સુરેન્દ્રનગરના સુરેશભાઇ પોપટભાઇ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં લૂટનો પ્લાન કંપનીમાં નોકરી કરતા સિક્યુરિટ ગાર્ડે જ બનાવ્યો હતો. જેથી ગઇકાલે સાંજે કંપનીમાંથી રૂપિયા લઇને ફરિયાદી નીકળ્યા ત્યારે સિક્યુરીટી ગાર્ડે તેના ભાઇને ફોન કરીને જાણ કરી હોવાનું બહાર આવ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s7hwEO
0 Response to "ચાંગોદરમાં સિક્યોરિટી ગાર્ડે જ 44.50 લાખની લૂંટનો પ્લાન બનાવ્યો હતો"
Post a Comment