અમદાવાદમાં વધુ 125 લોકો કોરોનાની ઝપેટમાં, બે દર્દીનાં મોત

અમદાવાદમાં વધુ 125 લોકો કોરોનાની ઝપેટમાં, બે દર્દીનાં મોત


અમદાવાદ, તા. 9 જાન્યુઆરી, 2021, શનિવાર

અમદાવાદમાં કોરોનાનો ઉપદ્રવ બહુ જ ઝડપથી નિયંત્રણમાં આવી રહ્યો છે. હાલ ખાનગી હોસ્પિટલોના 90.40 ટકા પ્રાઈવેટ બેડ ખાલી પડયા છે. સરકારી સીવીલ અને મ્યુનિ.ની એસ.વી.પી. હોસ્પિટલમાં પણ ગણ્યાગાંઠયા દર્દીઓ રહ્યાં છે. દરમ્યાનમાં આજે સરકારી યાદી મુજબ વધુ 125 કેસો નોંધાયા છે, જ્યારે સારવાર દરમ્યાન બે દર્દીઓના કરૂણ મૃત્યુ નોંધાયા છે.

બીજી તરફ સાજા થઇ ગયેલાં 147 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનની હદમાં અત્યાર સુધી નોંધાયેલાં કુલ દર્દીઓનો આંકડો 60075ને આંબી ગયો છે.

જેમાંથી 2214 દર્દીઓએ સારવાર દરમ્યાન તેમની મહામુલી જીંદગી ગુમાવી છે. જ્યારે કોરોનાને હરાવીને 50417 લોકો સાજા થઇ ગયા છે. ખાનગી હોસ્પિટલોમાં દિવાળી ઉપર જ્યાં વેઇટીંગ ચાલતું હતું ત્યાં 3440 પ્રાઈવેટ બેડમાંથી માત્ર 330 જ ભરાયેલાં છે, 3110 બેડ ખાલી પડયા છે.

આઈસીયુના 52 બેડમાં દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, 493 બેડ ખાલી છે. 36 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે, 224 વેન્ટીલેટર ખાલી પડયા છે. અમેરિકા જેવા દેશોમાં જ્યારે રોજ રોજ દર્દીઓ મોટાપ્રમાણમાં નોંધાઈ રહ્યાં છે, ત્યારે નીચે ગયેલા આ આંકડા રાહત પહોંચાડનાર છે. ઉપરાંત એક્ટિવ કેસો સારવાર હેઠળના દર્દીઓનો આંકડો 2400ની પણ અંદર જઇને 2366નો થઇ ગયો છે.

જેમાં પશ્ચિમ કાંઠાના પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના 1131 અને નદીના પૂર્વકાંઠાના મધ્યઝોન, પૂર્વઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોનના 1235 દર્દીઓનો સમાવેશ થવા જાય છે. માઇક્રો-કન્ટેન્મેન્ટ પણ 300 ઉપર જતાં રહ્યાં હતા તે ઘટીને હવે 20ની અંદર જતાં રહ્યાં છે. ડોક્ટરો, મેડિકલ કોલેજના પ્રોફેસરો, પેરામેડિકલ સ્ટાફની સાથે મેડિકલના સ્ટુડન્સને પણ રાહત પહોંચી છે. રેપિડ-ટેસ્ટીંગના ડોમમાં ભાગ્યે જ ગણ્યાગાંઠયા લોકો નજરે પડે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LfYewg

0 Response to "અમદાવાદમાં વધુ 125 લોકો કોરોનાની ઝપેટમાં, બે દર્દીનાં મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel