
જૂનાગઢમાં ત્રણ એ.ટી.એમ. તોડી ચોરીનો પ્રયાસ, બે તસ્કર પકડાયા
- કેશબારી તોડી પણ એકે'ય એ.ટી.એમ.માંથી પૈસા ન નીકળ્યા, કામમાં મંદી અને નશાની આદતનાં કારણે ચોરીનાં રવાડે ચડયાની કબૂલાત
જૂનાગઢમાં દિવાન ચોક વિસ્તારમાં બે તથા બસ સ્ટેન્ડ નજીક આવેલા એક એ.ટી.એમ.ને તોડી ચોરીનો પ્રયાસ થયો હતો. અજાણ્યા શખ્સે કેશબારી તોડી હતી. પરંતુ એકેય એ.ટી.એમ.માંથી પૈસા નીકળ્યા ન હતા. આ મામલે ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરીને બે તસ્કરોને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના દિવાન ચોક વિસ્તારમાં પંજાબ નેશનલ બેંક અને એસ.બી.આઇ.નું એ.ટી.એમ. બાજુ બાજુમાં આવેલું છે. ગત રાત્રીના પોણા બે વાગ્યા આસપાસ અજાણ્યા શખ્સે પંજાબ નેશનલ બેંકના એ.ટી.એમ.માં ઘૂસી કેશબારી તોડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકરનો દરવાજો તૂટયો ન હતો અને પૈસા નીકળ્યા ન હતા. આથી આ શખ્સે નજીકમાં આવેલા એસબીઆઇ બેંકના એટીએમમાં ઘૂસી તેની પણ કેશબારી તોડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાંથી પણ પૈસા નીક્ળ્યા ન હતા.
આ અંગે પંજાબ નેશનલ બેંકના મેનેજર રવિભાઇ ધુ્રવરાજભાઇ સરોજે ફરિયાદ કરતા એ-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ બન્ને એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર શખ્સ સીસી ટીવીમાં કેદ થઇ ગયો હતો. તેના આધારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.
જ્યારે જૂનાગઢના બસ સ્ટેન્ડ નજીક ડોકટર હાઉસ બિલ્ડીંગમાં કેનેરા બેન્કનું એ.ટી.એમ. આવેલું છે. ગઇકાલે બપોર બાદ પ્રોબેશનરી ઓફિસર એ.ટી.એમ.માં કેશ નાખવા ગયા ત્યારે આ એ.ટી.એમ.ની પણ કેશબારી તુટેલી હતી. પરંતુ પૈસા નીકળ્યા ન હતા. પ્રોબેશન ઓફિસર અભિષેક દિગવાલે તેનો ફોટો પાડી રાજકોટ પોતાની ઓફિસને જાણ કરી હતી. આજે તેઓએ આ અંગે બી-ડિવીઝનમાં ફરિયાદ કરી હતી. આ એ.ટી.એમ.માં ગઇકાલે સવારે ૬.૨૦ થી ૬.૩૫ વચ્ચે ચોરીનો પ્રયાસ થયો હતો. તે શખ્સ સીસી ટીવીમાં કેદ થયો હતો.
આ ઘટના મામલે એ-ડિવિઝનનાં ઈન્ચાર્જ પીઆઈ વી. યુ. સોલંકી સહિતના સ્ટાફે તપાસ શરુ કરીને બિલાલ હુસેન અંસારીને પકડી પાડયો હતો. તેની પુછતાછ કરતા પોતાની સાથે એટીએમ તોડવામાં હાર્દિક મનોજ ધોબી પણ સામેલ હોવાની કબૂલાત આપતા તેને પણ રાઉન્ડઅપ કરી લેવાયો હતો. પોલીસની પુછતાછમાં બિલાલને ફેબ્રીકેશનનાં કામમાં મંદી હોય અને નશાની આદત હોવાથી એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કર્યાની કબૂલાત આપી હતી. એ સમયે સાયરન વાગતા આસપાસમાં પોલીસ પોઈન્ટ હોવાથી પોતે બાજુની ગલીમાં જઈ ઓટલા પર સુઈ ગયો હતો. અગાઉ પણ સી-ડિવિઝન અને માંગરોળમાં મંદિર ચોરીમાં પકડાયો હોવાની પણ કબૂલાત આપી હતી.
જૂનાગઢમાં મોટાભાગના એટીએમ વોચમેન વગરના હોવાથી રાત્રે તો ઠીક દિવસે પણ રેઢા પટ્ટ સમાન છે. ત્યારે આવી ઘટના ફરી ન બને તે માટે એટીએમમાં વોચમેન રાખવામાં આવે એ જરૂરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36AP4Cz
0 Response to "જૂનાગઢમાં ત્રણ એ.ટી.એમ. તોડી ચોરીનો પ્રયાસ, બે તસ્કર પકડાયા"
Post a Comment