
સિંહોએ રાજપરાની સીમમાં વધુ એક મારણ કર્યું, લોકોમાં ભયનો માહોલ
- માલધારીનાં વાડામાં દુજણી ગાયને શિકાર બનાવી, ખેડૂતોમાં દિવસે વીજળી આપવા ફરી માગણી ઉઠી
ભાયાસર અને રાજપરાની વીડીમાં છેલ્લા વીસેક દિવસથી ત્રણ સાવજો આંટા ફેરા કરી રહયા છે. સિંહોનું આ ટોળુ શાપર - વેરાવળર સુધી પહોંચી ગયા બાદ ફરી આ વીડીમાં પરત ફર્યુ છે. ગઈ રાત્રે રાજપરાની સીમમાં એક માલધારીનાં વાડામાં ત્રાટકીને સિંહોએ એક ગાયનું મારણ કરતા સ્થાનિક લોકોમાં ફરી એક વાર ભયનો માહોલ ઉભો થયો છે.
કોટડાસાંગાણી તાલુકાની હદમાં આવેલા રાજપરાની સીમમાં સિંહો ફરી એક વાર પહોંચી ગયા હતા. ગઈ રાત્રે એક માલધારીનાં વાડામાં વીસેક ગાયો હતી.આ વાડામાં સિંહોએ ત્રાટકી એક દુજણી ગાયનું મારણ કરતા માલધારી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આ માલધારી પરિવાર દુઘનાં ઉત્પાદનથી ઘરનું ગુજરાન ચલાવે છે. સવાર - સાંજ પાંચ લીટર દૂધ આપતી ગાયનું સિંહોએ મારણ કરતા પરિવારનાં કોઈ સભ્ય પર હુમલો થયો હોય તેવુ દુખ વ્યકત કરી રહયા છે. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો.
આસપાસનાં વિસ્તારમાં મારણ કરી સિંહોનું ટોળુ ફરી ભાયાસર - લોઠડાની વીડીમાં જતુ રહે છે. મારણ મળી રહેતા સિંહોએ આ વીડીમાં મુકામ લંબાવ્યો છે. આ પંથકનાં ખેડૂતોને સિંહોના ભયથી ખેડૂતોને ફરી દિવસે વીજળી આપવાની રાજપરાનાં સરપંચે સતાધિશોને રજુઆત કરી છે. વન વિભાગે માલઢોર ને ઉંચી દિવાલ વાળા વાડામાં રાખવા અને સિંહોને ન છંછેડવા અને ખેતરો ફરતે વીજ તારમાં કરંટ ચાલુ ન કરવા અપીલ કરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38GE06P
0 Response to "સિંહોએ રાજપરાની સીમમાં વધુ એક મારણ કર્યું, લોકોમાં ભયનો માહોલ"
Post a Comment