
ઇન્કમટેક્સના રિટર્ન અને ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ લંબાવો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 14 ડિસેમ્બર, 2020, સોમવાર
ટેક્સ ઑડિટ રિપોર્ટ અને 2020-21ના આકારણી વર્ષનું રિટર્ન ફાઈલ કરવા માટેની તારીખ લંબાવી આપવાની માગણી કરવામાં આવી છે. કોવિડના વધેલા કેસો, કોવિડને કારણે નોટિસફિકેશન જાહેર કરવામાં થયેલા વિલંબ અને આવકવેરાના ફોર્મ્સ સુધારવામાં થયેલા વિલંબને ધ્યાનમાં રાખીને તેમણે માગણી કરી છે.
ઇ-ફાઈલિંગના પ્લેટફોર્મની સમસ્યાઓને આગળ કરીને રિટર્ન ફાઈલ કરવાની તારીખ 31મી ડિસેમ્બરથી આગળ લઈ જવાની માગણી કરવામાં આવી છે. ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં રિટર્ન ભરાવાની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
2019ના નવેમ્બર સુધીમાં 2019ના નવેમ્બરમાં 6.36 કરોડ રિટર્ન ફાઈલ થયા હતા. તેની સામે 2020ના નવેમ્બરના અંત સુધીમાં 3.51 કરોડ રિટર્ન જ ફાઈલ થયા છે. ઓડિટને પાત્ર કરદાતાઓમાંથી માત્ર 39 ટકા કરદાતાઓ 30મી નવેમ્બર સુધીમાં તેના રિટર્ન ફાઈલ કરી શક્યા છે.
2019માં ઇ-ફાઈલિંગની વેબસાઈટ પર ફાઈલ કરવામાં આવી રહેલી કુલ રિટર્નમાંથી 50થી 55 ટકા રિટર્ન ઑફિસ અવર્સ પછીના સમયગાળામાં ફાઈલ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના કહેરને પરિણામે 2020ના વર્ષમાં આ રીતે રિટર્ન ફાઈલ કરવા શક્ય જ નથી. રાત્રિ કરફ્યુ પણ તેમના કામમાં અવરધ ઊભો કરી રહ્યો છે.
ટેક્સના નિષ્ણાતોના એસોસિયેશનોએ કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે આમ તો ટેક્સ ઑડિટ રિપોર્ટ તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવેલા આર્થિક વહેવારોના ઑડિટ રિપોર્ટ રજૂ કરવા મોટની તારીખ લંબાવી આપી હતી.
ઓડિટને પાત્ર કરદાતાની કેટેગરીમાં આવતા કરદાતાઓનેત મના રિટર્ન ફાઈલ કરવા માટે 31મી જાન્યુઆરી 2021 સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વેરા નિષ્ણાતોના એસોસિયેશનોએ જણાવ્યું હતું કે દિવાળી પછી કોરોનાના કેસોમાં મોટો ઊછાળો આવ્યો છે. એકલા અમદાવાદ જિલ્લામાં 2000થી વધુ વ્યક્તિઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.
છેલ્લા વીસેક દિવસથી અમદાવાદમાં રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. 20મી નવેમ્બરથી 57 કલાક માટે દિવસનો અને રાત્રિનો કરફ્યુ શર- કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાતના નવથી છ વાગ્યા સુધીના નવ કલાક માટે ગુજરાતના મહાનગરો અને શહેરોને કરફ્યુ હેઠળ મૂકી દેવામાં આવ્યા છે. એકલા અમદાવાદમાં 100થી વધુ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂના ગઢ અને ગાંદીનગરમાં જ કોરોનાને કારણે અન્ય વિસ્તારોની સરખામણીમાં વધુ મૃત્યુ થયા છે. સાત દિવસ પહેલાની સ્થિતિની વાત કરવામાં આવે તો રોજના 0.81 ટકાના દરે કોવિડના દર્દીઓની સંખ્યા શહેરી વિસ્તારોમાં વધતી જોવા મળી હતી. દિવાળીના તહેવારોમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વિના જ ઉજવણી કરતાં કેસો વધ્યા છે.
સરકારે અવરજવર માટે કેટલાક અંકુશો પણ લગાવ્યા છે. બીજી તરફ મુંબઈ, મહારાષ્ટ્ર અને દેસના અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ સારી નથી. ઉત્તર ભારતના રાજ્યોમાં પણ સ્થિતિ સારી નથી. તેથી કરદાતાઓએ રિટર્ન ફાઈલ કરવું હોવા છતાંય તેઓ ફાઈલ કરી શકે તેવી સ્થિતિમાં નથી. પરિણામે તારીખ લંબાવી આપવાની માગણી કરવામાં આવી છે.
CBDTએ રિટર્નના ફોર્મ અપલોડ કરવામાં ખાસ્સો વિલંબ કર્યો
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે રિટર્નના ફોર્મ અપલોડ કરવામાં પણ ખાસ્સો વિલંભ કર્યો છે. 31મી જુલાઈએ આઈટીઆર-1 ભરતા કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવાના હતા, તેની યુટિલિટી-ભરવાનું ફોર્મ મોડે મોડે બીજી જૂને અપોલડ કરવામાં આવ્યું હતું. તેની સ્કીમ તો 22મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવી હતી. આઈટીઆર 2 ફાઈલ કરવાની 31મી જુલાઈની છેલ્લી તારીખ સામે 26મી જૂને ફોર્મ અપલોડ કરવામાં આવ્યું હતું. તેની સ્કીમ તો ચોથી નવેમ્બરે અપડેટ કરવામાં આવી હતી. આઈટીએસ 4 ફાઈલ કરવા માટેનું ફોર્મ 15મી ઓક્ટોબરે અપોલડ કરવામાં આવ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mhsQu0
0 Response to "ઇન્કમટેક્સના રિટર્ન અને ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ લંબાવો"
Post a Comment