
બે લાખ ખ્રિસ્તી પરિવાર ઓનલાઈન 'માસ પ્રેયર' કરીને ક્રિસમસ ઉજવશે
અમદાવાદ, તા. 14 ડિસેમ્બર, 2020, સોમવાર
કોરોનાના કારણે વર્ષ દરમિયાન આવેલા તમામ તહેવારોની ઉજવણીના આનંદમાં અંકુશ આવ્યો છે. હવે, તા. 25ના ક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી પણ સાદગીસભર રહેશે. અમદાવાદના બે લાખ ખ્રિસ્તી પરિવાર શહેરના 100 ચર્ચામાં એકત્ર થવાના બદલે ઓનલાઈન માસ પ્રેયર કરીને ક્રિસમસની ઉજવણી કરશે.
શહેરના રોમન કેથોલિક, મેથોડીસ્ટ અને પ્રોટેસ્ટન્ટ સહિતની જુદા જુદા પંથ સાથે સંકળાયેલા ખ્રિસ્તી પરિવારો કોરોના ગાઈડલાઈનનું પાલન કરશે. શહેરના ચર્ચમાંથી ફાધરના મેસેજીસ અને નાતાલ સોંગ્સ સોશિયલ મિડિયા પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે. ખ્રિસ્તી પરિવારો ગેધરિંગની દૂર રહીને કોરોનાને મ્હાત આપવામાં નોંધપાત્ર યોગદાન આપશે.
કોરોનાની આડઅસરો આ હદની હશે તેવી ધારણા કદાચિત કોઈએ રાખી નહીં હોય. અગાઉ વિવિધ ધર્મના તહેવારો પર કોરોનાની ઘેરી અસર જોવા મળી હતી. ખ્રિસ્તી પરિવારોમાં નાતાલની ઉજવણીની તૈયારી શરૂ થઈ ગઈ છે પણ પહેલી વખત જ શહેરના બે પરિવારો ગેધરિંગથી દૂર રહેશે. શહેરના અંદાજે બે લાખ ખ્રિસ્તી પરિવારો મેરી ક્રિસમસના અહેસાસ માટે ઓનલાઈન કનેક્ટ થશે.
અમદાવાદમાં રોમન કેથોલિક, પ્રોટેસ્ટન્ટ, મેથોડીસ્ટ, સીએનઆઈ, અલાયન્સ, સાલ્વેસન આર્મી, માર્થોમા એમ અલગ-અલગ પંથને માનતા બે લાખ જેટલા ખ્રિસ્તી પરિવારો રહે છે. સામાન્યત: નાતાલના 10-15 દિવસ પહેલાંથી ક્રિસમસની વધામણી માટેના કેરોલ સોંગ્સનું ગાન ઘરઘરમાં થતું હોય છે.
કેરોલ સોંગ્સની પરંપરામાં કોરોનાના કારણે ઓટ આવી છે. આ વર્ષે ખૂબ ઓછા પરિવારોએ કેરોલ સોંગ્સના આયોજન કર્યાં છે અને તેમાં પણ સિમિત લોકો જ હાજર રખાય છે. કેરોલ સોંગ્સનું સોશિયલ મિડિયા પર લાઈવ કરવામાં આવે છે. ખાસ તો, તા. 24ની રાતે ખ્રિસ્તી પરિવારો ચર્ચમાં એકત્ર થાય છે અને રાત્રે માસ પ્રેયર યોજાય છે.
ચર્ચમાં ફાધર મેસેજીસ આપે છે અને એ પછી નાતાલ સોંગ્સ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાના કારણે ખ્રિસ્તી પરિવારો ઓનલાઈન માસ પ્રેયર કરીને ક્રિસમસ ઉજવશે. સૂત્રોએ જણાવ્યું કે, શહેરના જુદા જુદા વિસ્તારમાં અલગ-અલગ સંપ્રદાયના 100 જેટલા ચર્ચ છે. લગભગ તમામ ચર્ચમાં ક્રિસમસની સાદગીભરી ઉજવણી કરવામાં આવશે.
ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલાં લોકો ચર્ચમાં એકત્ર નહીં થાય. દસ લોકોની ઉપસિૃથતિમાં ધાર્મિક પરંપરા નિભાવવામાં આવશે અને તેનું સોશિયલ મિડિયા પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. શહેરના બે લાખ ખ્રિસ્તી પરિવારોમાંથી મોટાભાગના પરિવાર ઘર બેઠાં ઓનલાઈન માસ પ્રેયર કરી ક્રિસમસની ઉજવણી કરશે.
ક્રિસમસ, તા. 25થી ન્યૂ યર તા. 31 સુધી ઉજવણી માટે અઠવાડિયાનું વેકેશન હોય છે. આ વર્ષે ખ્રિસ્તી પરિવારો ન્યુ યર વિશ માટે એકબીજાને મળવાનું ટાળીને મોબાઈલ ફોન પર શુભકામનાઓ પાઠવશે. ખ્રિસ્તી પરિવારો ક્રિસમસ અને ન્યૂ યર ઉજવણીમાં ધાર્મિક મેળાવડા યોજવાનું ટાળી સરકારી ગાઈડલાઈનનું પાલન કરશે. આ રીતે શહેરના બે લાખ ખ્રિસ્તી પરિવારો કોરોનાને મહાત આપવા માટે પોતાનું સામાજીક યોગદાન આપશે.
કોરોનામાં મૃત્યુ થયા પછી અંત્યેષ્ઠીમાં બે પરંપરાનું મિલન
બ્રધર સાઉલ એબ્રિલના અગ્નિસંસ્કાર કરી અસ્થિ આણંદના ચર્ચમાં દફનાવ્યાં
કોરોનાના કારણે એવી ઘણી ઘટનાઓ બની છે કે જેની કલ્પના પણ ન કરવામાં આવી હોય. આણંદના બ્રધર સાઉલ એબ્રીલનું કોરોનામાં મૃત્યુ થવાથી તેમના અગ્નિ સંસ્કાર કરવા પડયા હતા. પરંપરા જાળવી રાખવા તેમની અસ્થિ આણંદના ચર્ચમાં દફનાવવામાં આવી છે.
આણંદ પ્રેસના મેનેજર તરીકે કાર્યરત અને નામના ધરાવતા 89 વર્ષના બ્રધર સાઉલ એબ્રીલને કોરોના થયો હતો. કરમસદ હોસ્પિટલમાં સારવાર બાદ તબિયત લથડતાં નરોડાની શેલ્બી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં રવિવારે વહેલી સવારે 3 વાગ્યે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
કોરોના થયો હોવાથી તેમની દફનવિધીના બદલે અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી હતી. અગ્નિસંસ્કાર કરાયા પછી બ્રધર સાઉલ એબ્રીલના અસ્થિને આણંદના ચર્ચામાં દફનાવીને પરંપરા જાળવી રાખવામાં આવી છે. કોરોનામાં મૃત્યુ નિપજ્યા પછી અંત્યેષ્ઠીમાં બે પરંપરાનું મિલન થયાની સંભવત: આ પહેલી ઘટના છે.
ક્રિસમસ અને ન્યૂ યરની ઘરબેઠાં ઉજવણી અને હોમમેઈડ કેક
કેરોલ સિંગિંગ વધામણી ફેસબૂક લાઈવ કેકની ડિમાન્ડ અડધી થઈ જશે
ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી સાદગીપૂર્વ અને કોરોનાના જોખમરહીત રહે તે માટે ખ્રિસ્તી પરિવારો આયોજન કરી રહ્યાં છે. સામાન્યત: તા. 25 ડીસેમ્બરના પખવાડિયા પહેલાંથી યુવકોની ટીમ ઘરે-ઘરે જઈને કેરોલ સિંગિંગ કરી ઈસુ ખ્રિસ્તના વધામણાં કરતાં હોય છે.
પણ, આ વર્ષે કેરોલ સિંગિંગની પરંપરામાં ખાસ્સો ઘટાડો આવ્યો છે. અમુક ખ્રિસ્તી પરિવારોનું કહેવું છે કે, સામાન્યત: કેરોલ સિંગિંગ દરમિયાન નજીકના સ્વજનો કે પાડોશી એકત્ર થતાં હોય છે. પણ આ વર્ષ ેકોરોનાના કારણે સિમીત લોકોની હાજરીમાં કેરોલ સિંગિંગ ગોઠવીને તેનું ફેસબૂક લાઈવ કરવાની નવી પરંપરા શરૂ થઈ છે.
કેસ વગર ક્રિસમસની ઉજવણી શક્ય નથી. પણ, કોરોનાના કારણે કેકની ખરીદીમાં અડધો ઘટાડો થવાના અણસાર મળી રહ્યાંનું બેકરી ઉદ્યોગ સાથે સંકળાયેલાં સૂત્રો કહે છે. આ વર્ષે અનેક ખ્રિસ્તી પરિવારો હોમમેઈડ કેકથી ક્રિસમસ ઉજવશે. નાતાલ અને ન્યૂ યર દરમિયાન મહેમાનો ઓછા આવવાના હોવાથી કેકની જરૂરીયાત ઓછી રહેશે.
31મીએ રાત્રે નવ વાગ્યા સુધીમાં નવું વર્ષ ઉજવજો!
રાત્રિ કર્ફ્યૂથી 'ન્યૂ યર નાઈટ'ની ઉજવણી નહીં : પોલીસનો હુકમ
અમદાવાદ, તા. 14 ડિસેમ્બર, 2020, સોમવાર
વર્ષ 2020... આગમન એન્ટ્રી શાનદાર હતી એક્ઝિટ સાવ ફિક્કી રહેશે. તા. 31 ડીસેમ્બરે પણ રાત્રી કર્ફ્યૂ હોવાથી લોકો રાતે 12 વાગ્યે ન્યૂ યર ઉજવણી નહીં કરી શકે.
પોલીસે આજે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, રાતે 9 વાગ્યા પછી કોઈ બહાર નીકળશે તો તેની સામે રાત્રી કર્ફ્યૂ ભંગનો ગુનો નોંધાશે. શહેરના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દેવાશે અને નશાખારોને ઝડપી લેવાશે.
વર્ષ 2020ના અંતિમ દિવસ, 31 ડીસેમ્બરની રાતે નવા વર્ષની ઉજવણી નહીં થાય. શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના ડીસીપી હર્ષદ પટેલે આજે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, કોરોનાને અંકુશમાં રાખવા માટે માર્ચ મહિના પછી કોઈપણ ધાર્મિક પ્રસંગોની ઉજવણી થઈ નથી અને લોકોને સહકાર મળ્યો છે.
કોરોનાના કારણે રાત્રે 9 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં છે. 31 ડીસેમ્બરે પણ રાત્રી કર્ફ્યૂ હોવાથી ઉજવણી કરી શકાશે નહીં. જો 31મીએ રાત્રે 9 વાગ્યા પછી કોઈ ઉજવણી કરશે તો નિયમભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવશે.
અમદાવાદના એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પર ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે. ઉલ્લેખનિય છે કે, 31મી ડીસેમ્બરની રાતે 9 વાગ્યાથી એક વાગ્યા સુધી લાખો નાગરિકો સીજી રોડ, એસજી હાઈવે, મણીનગર, સિન્ધુ ભવન રોડ સહિતના માર્ગ પર ફરવા નીકળી પડતાં હતાં. આ વર્ષે લોકો રાત્રે 9 વાગ્યા પછી બહાર નીકળી શકશે નહીં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KuiOrZ
0 Response to "બે લાખ ખ્રિસ્તી પરિવાર ઓનલાઈન 'માસ પ્રેયર' કરીને ક્રિસમસ ઉજવશે"
Post a Comment