
ગિરનાર પર્વત પર બની રહેલો ગુજરાતનો સૌથી ઉંચો ઉકરડો !
- જંગલ વિસ્તાર હોવા છતાં પ્રવાસીઓ બેજવાબદારી પૂર્વક કચરો ફેંકી જતા રહે છે, સફાઈના અભાવે દિવસે-દિવસે વધતો કચરો
જૂનાગઢના ગિરનાર પર્વત પર ગોરખનાથ શિખર સૌથી ઉંચુ શિખર છે. આ સ્થળે આવતા યાત્રિકો દ્વારા આડેધડ પ્લાસ્ટીકની બોટલ, સહિતની વસ્તુઓ ફેંકવામાં આવતા હવે ગિરનાર પર્વતના આ શિખર પર રાજયનો સૌથી ઉંચો ઉકરડો બની રહ્યો છે. જંગલ વિસ્તાર હોવા છતાં અમુક પર્યટકો બેદરકારી પૂર્વક કચરો ફેંકી જતા રહે છે અને સફાઈના અભાવે દિવસે દિવસે કચરો વધી રહ્યો છે.
ગિરનાર પર રોપ-વે શરૂ થયો એ સાથે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. અને દિવાળી પર્વ નિમીતે હજારો પ્રવાસીઓ રોપ-વેમાં તથા પગથિયા ચડી ગિરનાર પર ગયા હતાં. તેમાંના સેંકડો પ્રવાસીઓ ૩૬૭૨ ફુટની ઉંચાઈ પર આવેલા ગુજરાતના સૌથી ઉંચા ગોરખનાથ શિખરે પણ ગયા હતાં. અને તેમાંના કેટલાક બેજવાબદાર પ્રવાસીઓએ પ્લાસ્ટીકની બોટલ, થેલી સહિતનો કચરો આ સ્થળે જયાં ત્યાં ફેંકી દીધો હતો. જેના લીધે આ સ્થળે ગુજરાતનો સૌથી ઉંચો ઉકરડો બની રહ્યો છે.
રોપ-વેમાં પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ છે. પરંતુ અંબાજીથી ગોરખનાથ પગથિયા પર થઈ જતા યાત્રિકો પાણીની બોટલ કે પ્લાસ્ટીકના પાઉચ લઈને જાય છે. તેને કોઈ રોકવાવાળુ નથી અને તેઓ કોઈ રોક-ટોક વગર પ્લાસ્ટીકનો કચરો ત્યાં ફેંકીને જતા રહે છે.
યાત્રિકો તો જયાં ત્યાં કચરો ફેંકી પર્વતને પ્રદુષિત કરે છે. પરંતુ તંત્ર દ્વારા પણ આ સ્થળે સફાઈ કરવામાં આવતી નથી. શિખર ઉપરાંત ગિરનારની સીડી આસપાસ પણ આવી જ સ્થિતી છે. છતાં તંત્ર કે શાસકોને કોઈ દરકાર ન હોય તેવી સ્થિતી છે.
ગિરનાર પર સૌથી લાંબો રોપ-વે હોવાની ઓળખ મળી છે. પરંતુ કચરાના ઢગલા ખડકાતા રહેશે અને સફાઈ નહી થાય તો આગામી સમયમાં ગિરનાર પર ગુજરાતનો સૌથી ઉંચો ઉકરડો પણ બની જશે. આથી આ સ્થલે પ્રવાસીઓ કચરો ફેંકે નહી તે માટે તેમજ ત્યાં સફાઈ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે એ જરૂરી બન્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W0F6Ed
0 Response to "ગિરનાર પર્વત પર બની રહેલો ગુજરાતનો સૌથી ઉંચો ઉકરડો !"
Post a Comment