
માનવીય રાત્રિ કર્ફયુ સાથે કુદરતી દેખો ત્યાં 'ઠાર'! રાજકોટ ઠીંગરાયું
- ગિરનાર પર ૯, રાજકોટ ૯.૮ ડિગ્રી સે. : નલિયા ૨.૫ ડિગ્રીએ શિતાગાર દરિયાકાંઠાના પોરબંદર, વેરાવળ, દ્વારકા, ઓખા, દિવમાં હૂંફાળું વાતાવરણ
રાજકોટ, તા. 18 ડિસેમ્બર 2020, શુક્રવાર
સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડી બોકાસો બોલાવી રહી છે. રાજકોટમાં થર્મોમીટરનો પારો ફરી ૧૦ ડિગ્રીથી નીચે સરકી ગયો છે અને કોરોનાલક્ષી રાત્રિકર્ફયુ ન હોય તો પણ અત્ર તત્ર સર્વત્ર ઠારને લીધે માનવીય ચહલપહલ નહિવત બની જાય એવું ટાઢુંબોળ વાતાવરણ સર્જાયું છે. હજુ બે દિવસ સૌરાષ્ટ્ર - કચ્છમાં શિતલહેર જારી રહે એવું અનુમાન છે.
આજે જામનગરને બાદ કરતાં અન્યત્ર પવની રફતાર ધીમી પડી હતી. જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો દિનપ્રતિદિન વધતો જાય છે. છેલ્લા ત્રણ દિવસથી બર્ફીલો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં ાજે ઠંડીમાં વધારો નોંધાયો છે. વહેલી સવારે ઉષ્ણતામાનનો પારો ૧૨.૫ ડિગ્રી સુધી નીચે ચાલ્યો જતાં કડકડતી ઠંડી પડી રહી છે. શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓ પણ ઠંડીની ધુ્રજારી અનુભવી રહ્યાં છે.
મોડી સાંજથી જ શહેરના મુખ્ય માર્ગો સુમસામ નજરે પડે છે. અને લોકોએ ઘરમાં ભરાઈ રહેવાનું પસંદ કર્યું છે. શહેરમાં પવનની સરેરાશ ગતિ ૩૦ કિ.મી. પ્રતિકલાક રહી, જે વધીને અમુક તબક્કે ૩૫ કિ.મી. પ્રતિ કલાકની થઈ ગઈ હતી.
રાજકોટ, પોરબંદર, દ્વારકા, નલિયા, કુંડલામાં નોર્થ ઈસ્ટ દિશાના તથા અનેક સ્થળે ઉતરીય પવન ફૂંકાયા હતાં. રાજકોટમાં પરોઢે ૯.૮ ડિગ્રી અને બપોરે ૨૮.૬ ડિગ્રી સે. તાપમાન નોંધાતા ૧૮.૮ ડિગ્રીનો તફાવત હતો. આવી જ સ્થિતિ કેશોદ, નલિયા, કંડલા, અમરેલી સહિત અનેક વિસ્તારોમાં રહેતી હોવાથી તાપમાનમાં ભારે ચઢાવ- ઉતારને લીધે શરદી - ઉધરસની વ્યાધિ વ્યાપક બની રહી છે.
આજે રાજયભરમાં સૌથી વધુ ઠંડી નલિયામાં રહી હતી, જયાં સવારનું ઉષ્ણતામાન માત્ર ૨.૫ ડિગ્રી થઈ જતાં નગર જાણે શિતાગારમાં ફેરવાઈ ગયું હતું. કચ્છના અન્ય નગરો પૈકી કંડલામાં ૧૨.૫ અને થોડે જ અંતરે કંડલા એરપોર્ટ ખાતે ૯ ડિગ્રી, તો ભુજમાં ૧૦.૨ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં અમરેલી ૧૦.૨, સુરેન્દ્રનગર ૧૨.૫, કેશોદ ૧૦.૪, ભાવનગર ૧૩.૫ ડિગ્રી સે. તાપમાન સાથે ઠંડીનું લખલખું અનુભવતા રહ્યા હતાં. જૂનાગડમાં ૧૪થી ૨૯.૫ ડિગ્રી તાપમાન નોંધાયું અને ગિરનાર પર્વત પર પારો ૯ ડિગ્રી સુધી જઈ પહોંચ્યાનું અનુમાન છે. બીજી તરફ, દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ઠંડી તો પડી જ રહી હોવા છતાં દીવ (૧૫.૬ ડિગ્રી સે.), પોરબંદર (૧૪), વેરાવળ (૧૫.૫) , દ્વારકા (૧૩.૫) જેવા નગરોમાં એકંદરે વાતાવરણ હુંફાળું અને માણવા જેવું રહ્યું હતું.
હવામાન વિભાગનું અનુમાન છ ેકે હજુ બે દિવસ આવું જ વાતાવરણ રહ્યા બાદ ન્યુનત્તમ તાપમાન ૨ થી ૪ ડિગ્રી ઊંચકાશે અને એ પછી ફરી ઠંડીનો દોર શરૂ તશે. આ દરમિયાન તાપમાનની વધઘટ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈન ેસોમવારથી ધૂમ્મસનો નજારો જોવા મળે તો નવાઈ નહીં.
નશો કરીને બહાર ઠંડીમાં પડયા રહેતા યુવકનું મોત
બાબરાના આંબેડકનગરમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા યુવકનું નશાની હાલતમાં બહાર પડયા રહેવાથી ઠંડી લાગી જતાં મૃત્યુ નિપજયું હતું.મળતી વિગત મુજબ દિલીપભાઈ કરશનભાઈ સોલંકી (ઉ.વ.૨૬)ની પત્ની છેલ્લા છ માસથી રીસામણે પિયર ગયેલ હોઈ અને દિલીપ નશો કરવાની ટેવ ના કારણે ખુલ્લામાં પડયા રહેવાથી ઠંડી લાગી જતા મોત થયાનું જાહેર થયું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37zbswJ
0 Response to "માનવીય રાત્રિ કર્ફયુ સાથે કુદરતી દેખો ત્યાં 'ઠાર'! રાજકોટ ઠીંગરાયું"
Post a Comment