પેરામેડિકલમાં બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ 9963 બેઠકો ખાલી

પેરામેડિકલમાં બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ 9963 બેઠકો ખાલી


અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર

ધો.12 સાયન્સ પછીના નીટ વગરના બોર્ડ પરિણામ આધારીત પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટેની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત બીજા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરી દેવાયુ છે અને જેમાં બેઠક ફાળવણી બાદ પણ હજુ 9963 બેઠકો ખાલી રહી છે.જ્યારે સરકારી કોલેજોના તમામ બેઠકો  હાલ ભરાઈ છે.

પેરામેડિકલમાં  ફીઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, જનરલ નર્સિંગ,ઓક્ઝલરી નર્સિંગ,ઓપ્ટોમેટ્રી, ઓર્થોટિક્સ અને ઓક્યુપેશનલ થેરાપી સહિતના 8 કોર્સનો સમાવેશ થાય છે.આ વર્ષે મેરિટમાં 33615 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.

પ્રથમ રાઉન્ડમાં  18457 બેઠકો સામે 15434 બેઠકોની ફાળવણી થયા બાદ 3023 બેઠકો ખાલી રહી હતી અને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓમાંથી 9 હજાર જેટલા વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ ન કરાવતા ખાલી રહેલી કુલ બેઠકો તેમજ હયાત કોલેજોની રીન્યુઅલ પરમિશન સાથે મંજૂર થયેલી ચાલુ કોલેજો તથા નવી કોલેજોની મંજૂરી સાથે 23207 બેઠકો સામે બીજો રાઉન્ડ કરવામા આવ્યો.

પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરાયેલા સીટ એલોટમેન્ટમાં 23207  બેઠકો સામે 13244 બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે જ્યારે હજુ પણ 9963 બેઠકો ખાલી રહી છે. જેમાં ઓક્ઝલરી નર્સિંગની 2092, ઓર્થોટિક્સની 192,  બીએસસી નર્સિંગની 1809 તથા જનરલ નર્સિંગની 2104 અને સૌથી વધુ  ફીઝિયોથેરાપીની 3766 બેઠકો ખાલી રહી છે. ખાલી રહેલી તમામ બેઠકો ખાનગી કોલેજોની જ છે .સરકારી કોલેજની એક પણ બેઠક ખાલી નથી. 

મહત્વનુ છે કે બીજા રાઉન્ડમાં 18797 વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગ જ નથી કર્યુ અને ભાગ જ નથી લીધો ત્યારે ચોઈસ ફિલિંગ કરી ભાગ લેનારા 15718 વિદ્યાર્થીમાંથી 13244 વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો છે.જેમાં 4520વિદ્યાર્થીઓનો અગાઉનો પ્રવેશ યથાવત રહ્યો છે અને 870 વિદ્યાર્થીના પ્રવેશ બદલાયા છે .જ્યારે  7854 વિદ્યાર્થીના નવા પ્રવેશ થયા છે. 

સરકારી કોલેજોમાં 2678 પ્રવેશ ફાળવાયા છે અને ખાનગી કોલેજોમાં 10566 પ્રવેશ થયા છે.ફાળવાયેલ 13244 પ્રવેશમાં ઓક્ઝલરી નર્સિંગમાં 2302, બીએનવાયએસ 30, ઓર્થોટિક્સમાં 96, ઓક્યુપેશનલ થેરાપીમાં 12, ઓપ્ટોમેટ્રીમાં 12, ફીઝિયોથેરાપીમાં 1508,બીએસસી નર્સિંગમાં 3812 તથા જનરલ નર્સિંગમાં 5472 બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.

બીજા રાઉન્ડમાં જુની અને નવી સહિત 37 કોલેજોની બેઠકો ન ઉમેરાઈ

નર્સિંગ અને ફીઝિયોથેરાપીની 55 કોલેજોની રીન્યુઅલ પરમિશન ન આવતા પ્રથમ રાઉન્ડમાં ઉમેરાઈ ન હતી .જ્યારે બીજા રાઉન્ડ પહેલા 50 કોલેજની મંજૂરી આવી ગઈ છે અને જુની કોલેજોમાંથી હજુ પણ 5 કોલેજની મંજૂરી બાકી હોવાથી બીજા રાઉન્ડમાં સમાવવામા આવી નથી. જ્યારે નવી મંજૂર થયેલી 66 નર્સિંગ કોલેજોમાંથી 34 કોલેજોના ડોક્યુમેન્ટ સમિતિ પાસે આવી જતા 34 કોલેજો જ બીજા રાઉન્ડમાં ઉમેરાઈહતી અને 32 કોલેજો બીજા રાઉન્ડની ફાળવણીમાં ઉમેરાઈ ન હતી.આમ હજુ 37 કોલેજો બેઠક ફાળવણીમાથી બાકાત છે.

વધુ 14 કોલેજને મંજૂરી સાથે આ વર્ષે 66 નવી નર્સિંગ કોલેજ મંજૂર

નર્સિંગની 2150 બેઠકો વધી: નવી કોલેજો સાથે પેરામેડિકલની કુલ કોલેજો વધીને હવે 553 થઈ

કોરોનામાં નર્સિંગ સ્ટાફની ડિમાન્ડ વધતા આ વર્ષે નવી અનેક નર્સિંગ કોલેજો મંજૂર થઈ છે. અરજી કરનારી સંસ્થાઓમાંથી કુલ 66 સંસ્થાઓને નવી કોલેજ માટે મંજૂરી અપાઈ છે. નર્સિગમાં પ્રથમ તબક્કામાં નવી  45 અને ત્યારબાદ 7 અને છેલ્લે વધુ 14 કોલેજને મંજૂરી અપાઈ છે.આમ કુલ 66 નવી નર્સિંગ કોલેજોને મંજૂરી મળી છે.

જેમાં  ઓક્ઝલરી નર્સિંગની 19 કોલેજોની 400 બેઠકો છે,બીએસસી નર્સિંગની 29 કોલેજોની 1090 બેઠકો છે અને જનરલ નર્સિંગની 18 કોલેજોની 660 બેઠકો છે. કુલ 66 નવી કોલેજો સાથે નર્સિંગમા આ વર્ષે 2150 બેઠકો વધી છે.જ્યારે પેરામેડિકલમાં કોલેજો વધીને હવે 553 થઈ છે. મહત્વનું છે કે પેરામેડિકલના બીજા રાઉન્ડના સીટ એલોટમેન્ટમાં સૌથી વધુ નર્સિંગની જ બેઠકો ખાલી રહી છે.હજુ પણ રીપોર્ટિંગ પ્રક્રિયા બાદ વધુ બેઠકો ખાલી પડશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3goWCeQ

0 Response to "પેરામેડિકલમાં બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ 9963 બેઠકો ખાલી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel