
જામનગર જિલ્લાનાં શહેરી વિસ્તારોમાં થયેલા ટેસ્ટમાં 5.14 ટકાને કોરોના
- અત્યાર સુધીમાં 2.80 લાખ ટેસ્ટિંગ કરાતા 9335 લોકો પોઝિટિવ નીકળ્યા, સંક્રમિત દર્દીઓમાંથી 95 ટકા રિકવર
જામનગર, તા.11 ડિસેમ્બર 2020, શુક્રવાર
જામનગર જિલ્લામાં હાલમાં કોરોના મહામારી બીજા ચરણમાં છે. જામનગરમાં એવરેજ લગભગ ૧.૫ ટકા ગ્રામ્ય વિસ્તારના અને ૫.૧૪ ટકા શહેરી વિસ્તારના લોકો પોઝિટિવ આવી રહ્યા છે, તેમ જણાવીને જિલ્લા કલેકટર શ્રી રવિશંકરે ઉમેર્યુ હતું કે, જામનગર જિલ્લામાં હાલ સુધીમાં ૨.૮૦ લાખ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેમાંથી ૯૩૩૫ જેટલા લોકો પોઝિટિવ આવેલા છે. સંક્રમિત થયેલા દર્દીઓમાંથી ૯૫ ટકા લોકો રિકવર થઇ ચૂકયા છે.
વધુમાં તેમણે કહયું કે, હાલમાં લોકો સંયમપૂર્વક વર્તી, બીજાને પણ સાવધાન કરી તકેદારીના પગલાં લેશે તો આ બીજા ચરણમાં પણ કોરોના સંક્રમણને ખાળી શકાશે અને સંક્રમણ વધતા અટકાવી પણ શકાશે. આ સાથે જ લોકોને માસ્ક વગર ન નીકળવા અને અન્ય પણ માસ્ક વગર નિકળતા જોવા મળે તો તેમને સમજાવવા વિનંતી કરીને ઉમેર્યુ કે, કોરોના મહામારી સામે લડવા હવે રસીકરણ નામક હથિયાર થોડા જ સમયમાં આવવાની આશા છે, ત્યારે જામનગર જિલ્લામાં રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપરના વડીલોને પ્રાથમિકતા આપી પ્રથમ તબક્કામાં જ વિનામૂલ્યે રસી આપવામાં આવશે.
આજથી આ માટેના સર્વેનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. જામનગર જિલ્લામાં હજુ ત્રણ દિવસ આ સર્વે કરવામાં આવશે. આમ કુલ ચાર દિવસ બાદ રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપરના તેમજ ૫૦ વર્ષની અંદરના વયજૂથના કોઈ અતિ ગંભીર બીમારી ધરાવતા જેમ કે કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, થેલેસેમિયા, એઇડસ વગેરે ધરાવતા લોકોને પણ આ રસીકરણ ઝુંબેશમાં સાંકળી લેવા માટે સર્વે દ્વારા યાદીમાં ઉમેરવામાં આવશે.
આજથી શરૂ થયેલી આ ઝુંબેશમાં જામનગરના વિવિધ વિસ્તારોમાં બીએલઓ અને આશા વર્કર બહેનોની ટીમ યાદી તૈયાર કરવા માટે સજ્જ થઈ ગઈ છે. આ રસીકરણ ઝુંબેશમાં નામ નોંધાવવા માટેના સર્વેની કમગીરી હજુ ત્રણ દિવસ કરવામાં આવશે ત્યારે લોકોને પોતાનું ઓળખકાર્ડ, મોબાઈલ નંબર જેવી આવશ્યક વસ્તુઓ સાથે રાખી ઘરે આવનાર સર્વેયરને સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37URBXN
0 Response to "જામનગર જિલ્લાનાં શહેરી વિસ્તારોમાં થયેલા ટેસ્ટમાં 5.14 ટકાને કોરોના"
Post a Comment