
કોરોના માટે ખાનગી હોસ્પિટલોને 450 થી 500 કરોડ ચૂકવાયા : ખોટા બિલોનું વ્યવસ્થિત કૌભાંડ
અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર
કોરોના મહામારીમાં નાગરિકોને સારવાર મળી તે માટે ખાનગી હોસ્પિટલોને પણ અત્યાર સુધીમાં આશરે 450થી 500 કરોડ જેટલી માતબર રકમની ચૂકવણી કરવામાં આવી છે. જોકે, પારદર્શીતાના અભાવને કારણે સારવાર લેનારા દર્દીઓ અને નાગરિકોને આ નાણાંનો કોઈ હિસાબ મળતો નથી.
કોરોનાના કપરા કાળમાં ભ્રષ્ટ અધિકારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા ખાટો બિલો મૂકીને કરોડોનું કૌભાંડ આચર્યું હોવાની છાની ચર્ચા ચાલી રહી છે.ત્યારે મ્યુનિસિપાલિટી અને સરકારે જ આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ કરાવીને કઈ હોસ્પિટલની પાછળ કેટલો ખર્ચ થયો અને કેટલી રકમના બિલો પાસ થયા તેની વિસ્તૃત યાદી સમયાંતરે જાહેર કરવી જોઈએ.
આ પ્રકારની યાદી તૈયાર થાય તો આપોઆપ ખોટા બિલોની વિગતો સ્વાભાવિક રીતે સામે આવવા માંડશે અને તે પછી યોગ્ય તપાસ બાદ દોષિત ઠરે તેને કડકમાં કડક સજા થવી જોઈએ. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીની પાસેથી ઊંચા ચાર્જ વસૂલવામા આવતા હોવાની ફરિયાદો વાંરવાર ઉઠતી રહી છે. ચોક્કસ ધારા-ધોરણ નક્કી કરવામાં આવ્યા હોવા છતાં પણ વસૂલવામાં આવતા વધારાના ચાર્જ તેમજ બીલો અંગેની વિગતોને જાહેરજનતાની સામે મૂકવાની જરૂર જણાઈ રહી છે.
તાજેતરમાં પ્રકાશમાં આવેલા સિમ્સ હોસ્પિટલના કોરોના દોઢ કરોડના મેડિકલ બીલમાં 10 ટકાની કટકી ઉત્તર પશ્ચિમ ઝોનના ડે. હેલ્થ ઓફિસર ડો. અરવિંદ પટેલ વતી ભુયંગદેવ વિસ્તારની આદિત્ય હોસ્પિટલના ડો. નરેશ મલ્હોત્રાએ માગી હોવા અંગે એસીબીમાં થયેલી ફરિયાદને પગલે ઘણા સવાલો ઉભા થયા છે. સરકારે અને મ્યુનિસિપાલિટીએ કોરોના માટે અત્યાર સુધી થયેલા તમામ ખર્ચનું જાહેર ઓડિટ કરાવીને તેના હિસાબોને જનતા સમક્ષ મૂકવા જોઈએ.
તેમાંય ખાસ કરીને કઈ હોસ્પિટલમાં, કયા દર્દીની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો અને તેમાંથી કેટલી રકમના બીલો પાસ થયા તેની યાદી પણ પ્રતિ માસ જાહેર કરવાની વ્યવસ્થા જ ગોઠવી દેવામાં આવે તો ભ્રષ્ટાચારને નાથી શકાય તેમ છે.આખી ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી શકે છે. ડો. મલ્હોત્રાએ વચેટિયા તરીકે અન્ય કઇ કઇ હોસ્પિટલના બિલો પાસ કરાવવા આ રીતે લાંચ માગી હતી, તેની ઈન્ક્વાયરી થાય તે પણ જરૂરી છે.
અન્ય કયા કયા હેલ્થના અધિકારીઓ આ પધ્ધતિથી પોતાની તિજોરી ભરી રહ્યાં છે અને તેમાંથી કયા કયા ઉચ્ચ અધિકારીઓને તેમાંથી હિસ્સો પહોંચે છે વગેરેની તપાસ થાય તો ઘણી ચોંકાવનારી વિગતો પણ પ્રકાશમાં આવી શકે તેમ છે. હજુ થોડા દિવસ પહેલા જ તપન હોસ્પિટલમાં મોટું બિલ બનાવવાની, પૂર્વની બે હોસ્પિટલોએ દર્દીઓને 7 દિવસ રાખ્યા અને 15 દિવસના બિલો બનાવ્યાની ઘટના હજુ બે દિવસ પહેલાં જ બહાર આવી છે.
આદિત્ય હોસ્પિટલ આ પહેલાં પણ મેડિકલ વેસ્ટ અને કોરનાનો કચરો સાદી કચરાગાડીમાં નાખતો હોવાની બાબત ઘાટલોડિયાના કોર્પોરેટરે જ પકડીને સ્ટેન્ડિંગમાં મૂકતા હોબાળો મચી ગયો હતો.
ડેપ્યુટી હેલ્થ ઓફિસરો પાસે દર્દીઓને હોસ્પિટલમાં મોકલવાની સત્તા હતી ત્યારે બંગલા અને કારવાળા દર્દીને હપ્તો લઇને કોર્પોરેશનની બેડમાં દાખલ કર્યાના, પસંદગીની હોસ્પિટલ આપવા કટકી કર્યાના સહીત અનેક બાબતો ચર્ચામાં આવી છે. કેટલાંકને તો નોટિસો પણ મળી હતી પણ ભીનું સંકેલાઇ ગયું હતું.
હોસ્પિટલો અને હોટેલોને એક્વાયર કરવાથી લઇને જુદા જુદા તબક્કે થયેલી કીટ સહીતની ખરીદીમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કરી વિપક્ષો આ અંગેની તમામ વિગતો પારદર્શક રીતે વેબસાઇટ પર મૂકવા અને ભ્રષ્ટાચાર કરતાં પકડાય તેની સામે કડક પગલાં લેવા માગણી કરી છે. ભાજપના ભ્રષ્ટાચારને મુદ્દે ઝીરો ટોલરન્સની ગુલબાંગો પોકારીને સત્તાસ્થાને બેઠેલાં હોદ્દેદારો આ મુદ્દે મૌન રહેશે તો ચૂંટણીમાં આ મુદ્દો તેમને નડશે તેમ પણ જણાય છે.
અધિકારીઓ સામે ઊભા થયેલાં પાંચ સવાલો
વિપક્ષે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી પાંચ સવાલો ઊભા કર્યા છે, જે નીચે મુજબ છે.
(1) તમામ પ્રકારની ખરીદી ઊંચા ભાવે કરાઇ છે. મળતીયા કોન્ટ્રાક્ટરોને તુરત પેમેન્ટ કરાયું છે, સિન્ડીકેટ બહારનાને હેરાન કરાયા છે. (2) એક જ પ્રકારનું મટિરિયલ જુદાં જુદાં ભાવે ખરીદાયું છે. પીપીઇ કીટ - ટેસ્ટની કીટના ભાવ બજારભાવ કરતાં ઊંચા અપાયા છે. (3) મોટા ભાગની ખરીદીમાં અધિકારીઓએ 2થી લઇને 10 ટકા સુધી કમિશન ખાધુ છે, સત્તાધીશોએ મૌન રહી સહયોગ આપ્યો છે. (4) ખાનગી હોસ્પિટલોના મ્યુનિ. ક્વોટાના બિલો ખોટા બન્યા છે, જે કમિશન લઇ પાસ કરાયા છે. (5) એસવીપીની ખરીદીમાં પણ પારદર્શીતા જણાતી નથી. મોટાભાગના બેડ ખાલી રાખવા પાછળનો તર્ક સમજાતો નથી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33U0nnv
0 Response to "કોરોના માટે ખાનગી હોસ્પિટલોને 450 થી 500 કરોડ ચૂકવાયા : ખોટા બિલોનું વ્યવસ્થિત કૌભાંડ"
Post a Comment