
યુ.જી.-3, 5 અને પી.જી-3ની પરીક્ષા અંગે યુનિવર્સિટીમાં આપ્યો આખરી ઓપ
- કોવિડ ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે લેવાશે પરીક્ષા : ૨૨૦૦ વિદ્યાર્થીને વતન નજીકના સેન્ટર અપાયા
આગામી ૭મીથી શરૂ થનારી યુ.જી-૩, ૫ અને પી.જી.-૩ની પરીક્ષા અંગે યુનિ. સત્તાધિશોએ તૈયારી પૂર્ણ કરી દેવાઇ છે અને ૨૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને નજીકના સેન્ટર પણ ફાળવી દેવાયા છે અને પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો હતો.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે તા.૭-૧૨ થી ત્રીજા તબક્કામાં યુ.જી. સેમેસ્ટર-૩ અને ૫ તેમજ પી.જી. સેમ્સ્ટર-૩ની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે જે પરીક્ષાઓ ત્રણ સેશનમાં લેવામાં આવશે જેમાં પ્રથમ સેશન સવારે ૯ થી ૧૦.૩૦ દરમિયાન, બીજુ સેશન ૧૧.૩૦ થી ૧ વાગ્યા સુધીનો રહેશે તેમજ ત્રીજુ સેશન ૩ કલાકથી ૪.૩૦ સુધી રહેશે. આ પરીક્ષાઓ શહેરના ૧૯ અને ગ્રામ્યના ૧૯ એમ ૩૮ સેન્ટર પર પરીક્ષા લેવાનાર છે જેની બધી તૈયારીઓ યુનિવર્સિટી તરફથી પુરી થઇ ગયેલ છે અને ૨૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને પોતાના વતનની નજીકના સેન્ટરમાં પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. નવા સેન્ટરના નામ સાથેની હોલ ટીકીટ પણ વિદ્યાર્થી ડાઉનલોડ કરી શકે છે.
પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રો દ્વારા સેનેટાઇઝેશનની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય એ રીતે પરીક્ષામાં બેઠક વ્યવસ્થા રહેશે તેમજ યુનિવર્સિટી સંલગ્ન સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ઇમ્યુનિટી વધે તેવી હોમિયોપેથીક પલ્સનો બુસ્ટર ડોઝ પણ આપવામાં આવનાર છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની હોલ ટિકિટ પર કોલેજના સહી સિક્કા કરવાની જરૂરિયાત નથી પરંતુ પરીક્ષા દરમિયાન કોલેજનું આઇકાર્ડ અવશ્ય (ફરજિયાત) સાથે રાખવાનું રહેશે.
આઉટ સોર્સનો આર્થિક બોજો ઘટાડવા
યુનિ. પરીક્ષામાં શૈક્ષણીક અને વહિવટી કર્મચારીને પણ કામગીરી સોંપી શકાય
શિક્ષણ કમિશનરનો પરિપત્ર હોવા છતાં ઘણા કર્મચારીઓ કામગીરીથી અળગા
એમ.કે. ભાવનગર યુનિવર્સિટીને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના ઠરાવ મુજબ યુનિ.ના શૈક્ષણિક અને વહિવટી કર્મચારીઓને પરીક્ષા દરમિયાન સોંપાતા કામને ફરજના ભાગરૂપે બખુબી નિભાવવાનું જણાવ્યું છે અને કર્મચારી જો કામગીરીનો ઇન્કાર કરે તો શિક્ષાત્મક પગલાની ફરજ પડે તેવો ઉલ્લેખ કરેલ છે પરંતુ યુનિવર્સિટીની પરીક્ષાઓમાં કેન્દ્રો પર મોટાભાગે આઉટ સોર્સથી સુપરવીઝન કરાવાય છે અને તેનું મહેનતાણુ પણ ચુકવાય છે જેથી યુનિ. પર સ્વાભાવિક જ આર્થિક બોજો ભોગવવો પડે છે પરંતુ કર્મચારી, પ્રાધ્યાપકોને પણ પોતાની ફરજના ભાગરૂપે કામગીરી સોંપાય તો તે ખર્ચને ઓછો ચોક્કસ કરી શકાય.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VBt8Rm
0 Response to "યુ.જી.-3, 5 અને પી.જી-3ની પરીક્ષા અંગે યુનિવર્સિટીમાં આપ્યો આખરી ઓપ"
Post a Comment