
તા.21ના 400 વર્ષ પછી ગુરુ અને શનિ એકદમ નજીક આવશે
- સૂર્યગ્રહણ રાત્રિના હોઈ ભારતમાં દેખાશે નહીં
- સૂર્યમાળામાં ગુરુ તેના નામ મૂજબ બધા ગ્રહોથી બમણો!
- શનિ-ગુરુ યુતિના લાભાલાભ ફળકથન જ્યોતિષીઓ કહેશે ખગોળપ્રેમી માટે અદ્ભૂત નજારો
રાજકોટ, તા.11 ડિસેમ્બર 2020,ગુરુવાર
ઈ.સ.૨૦૨૦નું વર્ષ આમ તો મહામારીનું રહ્યું છે પણ ખગોળપ્રેમીઓ માટે આકાશમાં અનેક અનૌખી અદ્ભૂત, રોમાંચક ઘટનાઓવાળુ રહ્યું છે. આગામી સોમવાર તા.૧૪ ડિસેમ્બરે સોમવતી અમાસ અને સૂર્યગ્રહણ છે તો પછીના સોમવાર તા.૨૧ના સદીઓમાં ક્યારેક જેનો યોગ સર્જાય છે તે સૂર્યમાળાના પાંચમા ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ અને છઠ્ઠા ગ્રહ શનિ મહારાજ ચારસો વર્ષ પછી (કેટલાકના મતે ૭૯૬ વર્ષ પછી) એકદમ નજીક આવશે. આ બન્ને ગ્રહોનું જ્યોતિષવિદ્યામાં અનેરું મહત્વ છે તે સર્વવિદિત છે અને શનિ દેવના તો વિખ્યાત મંદિરો પણ આવેલા છે.
આકાશમાં તારા અને ગ્રહોનું દર્શન ૩૬૦ ડિગ્રીમાં થતું હોય છે, આ બન્ને ગ્રહો આમ તો અત્યારથી નજીક આવી રહ્યા છે પણ તા.૨૧ના એટલા નજીક હશે કે પૃથ્વી પરથી નિહાળતા બન્ને વચ્ચે માત્ર ૦.૧ ડિગ્રીનું જ અંતર હશે, કહો કે ભાઈબંધની જેમ એક સાથે દેખાશે. આ પહેલા આ બન્ને ગ્રહો ઈ.સ.૧૬૨૩માં અને તેના પહેલા ઈ.સ.૧૨૨૬માં આવ્યાનું જાણકારો નોંધે છે.
ગુરુ (જ્યુપિટર) અને શનિ (સેટર્ન) આમ તો દર ૨૦ વર્ષે એકબીજાની નજીક આવતા હોય છે પણ આટલા નજીક ભાગ્યે જ આવે છે. આ બન્ને ગ્રહોને હવે નજીક જોવા હશે તો તે ઓક્ટોબર-૨૦૪૦માં જોવા મળશે અને તે પણ તા.૨૧ ડિસે.જેટલા નજીક નહીં હોય. આ વાતે ખગોળપ્રેમીઓમાં અનેરો રોમાંચ છે.
વળી, ગુરુ એ સૂર્યમાળાનો સૌથી વિશાળકાય ગ્રહ છે, તમામ ગ્રહોને ભેગા કરો તો તે બધાના સરવાળા કરતા તેનું કદ બમણાંથી વધારે છે. સૂર્યથી તે ૭૭૮૫ લાખ કિ.મી.ના અંતરે છે અને તેના એક છેડેથી બીજા છેડે સીધી લીટીમાં જવા ૬૯,૯૧૧ કિલોમીટરનું અંતર કાપવું પડે એટલું વિશાળ તેનું કદ છે. પૃથ્વી પર ૧૧.૮૬ વર્ષ થાય ત્યાર ેતેનું એક વર્ષ પૂરું થાય છે. તો શનિ ગ્રહ તેના વલયોના કારણે અને ભારતમાં ન્યાયપ્રિય દેવતાના રૂપમાં અનેરું સ્થાન ધરાવે છે.
ગ્રહોની આ યુતિ કઈ રાશિને શુ સારી-નરસી અસર પહોંચાડશે તેના ફળકથન, લાભાલાભ તો જ્યોતિષીઓ કહેશે અને તે કેટલું સાચુ પડશે તે ભવિષ્ય કહેશે પરંતુ, આ બન્ને ગ્રહોની યુતિનો નજારો પ્રેક્ષણીય રહેશે અને સર્વ શક્તિઓના કારણરૂપ ઈશ્વરની મહાન સત્તાનો અહેસાસ પણ કરાવશે.
તો આ પહેલા તા.૧૪ના સોમવતી અમાસના દિવસે સાંજે ૭થી ૧૨ વાગ્યા દરમિયાન સૂર્યગ્રહણ છે, પરંતુ, સાંજે સાત પહેલા ભારતમાં હાલ સૂર્ય આથમી જતો હોય છે ત્યારે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં અને તેથી તે પાળવાનું રહેશે નહીં તેવો મત છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37QpqZP
0 Response to "તા.21ના 400 વર્ષ પછી ગુરુ અને શનિ એકદમ નજીક આવશે"
Post a Comment