
રાજકોટ અંશતઃ પણ સ્વયંભૂ બંધ,100થી વધુ કોંગી નેતાની અટક
- ગુંદાવાડી,જંક્શન, સોનીબજાર, ધર્મેન્દ્રરોડ, ચુનારાવાડ સહિત બજારોમાં બંધની અસર,અન્યત્ર આંશિક દુકાનો બંધ
- અગાઉ ભાજપ સામે નોંધવા માંગણી કરનાર કોંગ્રેસ પક્ષના નેતાઓ સામે સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ ગુનાઓ નોંધાયા
- મવડી બ્રીજ પર ચક્કાજામ, જંક્શન, ચુનારાવાડ,યુનિ. રોડ,પૂષ્કરધામ સહિત ઠેરઠેર કાર્યકરોની કરાતી અટકાયત
- પોલીસ ભાજપના ઈશારે લોકશાહી મૂલ્યોને નેવે મુકી વાંક વગર અટકાયત કર્યાનો કોંગ્રેસનો આક્રોશ
રાજકોટ, તા. 8 ડિસેમ્બર 2020, મંગળવાર
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓથી ખેડૂતો ઉદ્યોગપતિઓના ગુલામ થશે તેવા નિવેદનો અને મંતવ્યો વચ્ચે દેશની સાથે આજે રાજકોટ બંધનું એલાન અપાયું હતું જેને અંશતઃ પ્રતિસાદ મળ્યો છે.પોલીસે મક્કમતાપૂર્વક કોંગ્રેસના નેતાઓને બંધ માટે અપીલ કરાવવા નીકળતા અટકાવ્યા હતા છતાં અનેક દુકાનોના શટર નીચે પાડીને ખેડૂતોના પ્રશ્ને સહાનુભૂતિ દર્શાવી હતી. કોંગ્રેસના ૧૧૧થી વધુ કાર્યકરોની અટકાયત કરાઈ છે અને અર્ધો ડઝન જેટલા ગુના નોંધાયા છે.
દુકાનો પરાણે બંધ ન કરાવાય તે આશય દર્શાવીને માટે તે માટે આશરે ૨૦૦૦ પોલીસ કર્મીઓને મેદાને ઉતારી દેવાયા હતા. અનેક આગેવાનોની તો વહેલી સવારે તો કેટલાકની તો ગત રાત્રે જ અટકાયત કરી લેવાઈ હતી. કોરોના કાળની ભાષામાં પ્રથમવાર પ્રથમવાર પોલીસ દુકાનો બંધ રહે તે માટે નહીં પણ ખુલ્લી રહે તે માટે ઉત્સુક જણાતી હોવાની ચર્ચા લોકોમાં થતી જોવા મળી હતી.
રાજકોટમાં ગુંદાવાડી, પેલેસ રોડ, ધર્મેન્દ્ર રોડ, સોનીબજાર, જંક્શન પ્લોટ અને ગાયકવાડી, વોર્ડ નં.૧૫માં ચુનારાવાડ, મવડી રોડ, ભાવનગર રોડ સહિત અનેક ધમધમતી બજારોમાં બંધની અસર જોવા મળી હતી તો યાજ્ઞિાકરોડ, રૈયારોડ, સંતકબીર રોડ, યુનિવર્સિટી રોડ ઉપર સાંજે કોઈ બંધ કરાવનાર ન્હોતું છતાં અનેક દુકાનો બંધ જોવા મળી હતી તો તેની આજુબાજુમાં અનેક દુકાનો ખુલ્લી પણ નજરે પડી હતી.
પૂષ્કરધામ, યુનિ.રોડ વિસ્તારમાં બંધ માટે અપીલ કરવા નીકળેલા કોર્પોરેટર મનસુખ કાલરિયાની બાવડું પકડીને અટક કરાઈ હતી જેમણે પોલીસના આ વર્તનને ખેડૂતોનો અવાજ દબાવવાનું બીનલોકશાહી કૃત્ય કહી વખોડયું હતું. તો શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, કોર્પોરેટર મકબુલ દાઉદાણીની, તો ઈન્દિરા સર્કલે ઝપાઝપી વચ્ચે યુવક કોંગ્રેસ,એન.એસ.યુ.આઈ.ના કાર્યકરોની, મવડી રોડ પરના બ્રીજ ઉપર કોૅગી કાર્યકરોએ રસ્તા પર સુઈને ચક્કાજામ કરતા તેમની અટક કરાઈ હતી. જંક્શન પ્લોટ વેપારી એસો.ના પ્રમુખે જણાવ્યા પ્રમાણે વેપારીઓએ દુકાનો સ્વેચ્છાએ સજ્જડ બંધ રાખી છતાં પોલીસે કેટલાક તત્વોને દુકાનો ખુલ્લી કરાવવા દીધી હતી અને વેપારી મંડળના પ્રમુખ ગૌરવ પુજારા સહિત હોદ્દેદારોની અટકાયત કરી લીધી તેવો આક્ષેપ કર્યો હતો.
અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ મુલાકાત, પેટાચૂંટણીનો વિજયોત્સવ, લોધિકા સંઘ અને રાજકોટ ડેરીની ચૂંટણીની ઉજવણી સહિત ભાજપના કાર્યક્રમોમાં સોશ્યલ ડિસ્ટન્સનો ખુલ્લો ભંગ થયો તેમ કહીને કોંગ્રેસ પક્ષે ભાજપના નેતાઓ સામે સોશ્યલ ડિસ્ટન્સ ભંગની માંગણી કરી હતી જે પોલીસે ગ્રાહ્ય રાખી ન્હોતી. આજે કોંગ્રેસના નેતાઓના આ વિરોધ કાર્યક્રમમાં પોલીસે સોશ્યલ ડિસ્ટન્સના, જાહેરનામાના ભંગની જ કલમો લગાડીને અર્ધો ડઝન જેટલા ગુનાઓ નોંધ્યા છે અને અટકાયતો કરી છે.
ભાજપના નેતાઓએ બંધને જ નહીં, કોંગ્રેસને નિષ્ફળ ગણાવી છે તો કોંગ્રેસે બંધ સફળ રહ્યાનો દાવો કરીને જનતાનો આભાર માન્યો છે.
બંધ દરમિયાન જે સંગઠનો બંધને ખુલ્લો ટેકો આપતા ન્હોતા તેઓ પણ ખેડૂતોના પ્રશ્ને સહાનુભૂતિ દાખવી બંધનો ખુલ્લો વિરોધ કરવાનું પણ ટાળ્યું હતું.આજે ખેડૂતોને કંપનીઓના હવાલે કરીને ખંખેરવાનો ખેલ ચાલે છે અને ભવિષ્યમાં વેપારીઓની પણ આ હાલત થશે તેવી ભયમિશ્રિત સમજાવટથી બંધ રાખવા પણ અપીલો થતી હતી.
સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના
પ્રમુખને રાત્રે જ પકડી લીધા છતાં માર્કેટયાર્ડ સજ્જડ બંધ !
પ્રમુખની રાત્રે ઓડિયો ક્લીપથી ચકચાર જાગીઃ યાર્ડ ખુલ્યું પણ વેપારીઓ-ખેડૂતો જ ન આવ્યા
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડના વેપારી એસોસીએશનના પ્રમુખે ગઈકાલે બપોરે જ સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડ બંધ રહેવાનું જાહેર કરી ખેડૂતોના પ્રશ્ને આ પ્રશ્ને ટેકો આપવાનો 'ગુનો' કર્યાનું ધ્યાનમાં આવ્યું હોય તેમ પોલીસે રાત્રિના નવ વાગ્યે જ તેમની અટકાયત કરી લીધી હતી છતાં આશ્ચર્યની વાત એ છે કે સૌરાષ્ટ્રનું મોટુ ૂબેડી માર્કેટયાર્ડ સજ્જડ બંધ રહ્યું હતું
યાર્ડના ચેરમેન જે ભાજપના પૂર્વ જિ.પ્રમુખ છે તેમણે યાર્ડના દરવાજા તો રાબેતામૂજબ ખોલ્યા પણ ખેડૂતો અને વેપારીઓ જ આવ્યા ન્હોતા અને આજે આ કારણે યાર્ડના જણસીના ભાવ પણ જાહેર થયા નથી.
તો ગત મોડી રાત્રિના વેપારી એસો.ના પ્રમુખના નામે એક ઓડિયોક્લીપ કે જેમાં બંધને સમર્થન નથી આપતા તેવી વાત વાયરલ કરાતા કોના દબાણ હેઠળ આમ થયું તે બાબત ભારે ચર્ચાસ્પદ બની હતી.
રાજકોટમાં આજે બંધ કરાવવા નીકળેલા
કોંગ્રેસના ૨૫, સામ્યવાદી પક્ષના ૭ મળી કુલ ૩૨ સામે નોંધાયો ગુનો
એ-ડિવિઝનમાં ૩, માલવિયામાં ૧ અને ગાંધીગ્રામ-૨ પોલીસમાં પણ એક-એક ફરિયાદ નોંધી કરાઈ ધરપકડ
એ-ડિવિઝન પોલીસે સવારે ૯ વાગ્યે જ્યુબિલી વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના મનિષાબા વાળા, પ્રેમીબેન ગોહેલ, રીટાબેન વડેચા, પ્રફુલ્લાબેન ચૌહાણ, શાંતાબેન મકવાણા અને દીપ્તીબેન સોલંકી વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસે ત્રિકોણબાગ ચોક પાસેથી માર્ક્સવાદી (સામ્યવાદી) પાર્ટીના લલન શર્મા, સંતોષ મૌર્ય, કમલેશ ગૌતમ, સુરેન્દ્ર ગૌતમ, રાજમણી ગૌતમ, પંકજ યાદવ અને દીપક પરમારની પણ સભા-સરઘસ રૂપે બંધનો વિરોધ કરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ જ રીતે ડો.યાજ્ઞિાક રોડ પર દુકાનો બંધ કરાવવા નીકળેલા મુકુંદ ટાંક, ચેતર ભારડિયા, કિશોરસિંહ જાડેજા અને જયદીપ મકવાણાની પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. આ ત્રણેય ગુના પોલીસે આઈપીસી કલમ ૨૬૯ અને જીપીએક્ટ કલમ ૧૩૫ મુજબ નોંધ્યા હતા.
મવડી ઓવરબ્રીજ પર એકત્રિત થઈ જાહેર માર્ગ પર બેસી જઈ વાહનોને રોકી ટ્રાફિક જામ કરવા અંગે માલવિયાનગર પોલીસે કોંગ્રેસના સંજય અજુડિયા, કનકસિંહ જાડેજા, જગદીશ સખીયા, નિલેશ ભાલોડી, કિશન પરસાણીયા, ભરત સીંધવ અને મહેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૪૧, ૧૮૮, ૧૧૪, જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
ઈન્દિરા સર્કલ પાસે બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સાથે જીભાજોડી થઈ હતી. આ અંગે ગાંધીગ્રામ-૨ પોલીસે કોંગ્રેસના આગેવાન રાજદીપસિંહ જાડેજા, મુકેશ વિભાભાઈ ચાવડા, આદિત્યસિંહ ગોહિલ, દર્શન શિયાળ, દીગપાલસિંહ જાડેજા, સુરજ બગડા, કર્મદીપસિંહ જાડેજા અને માધવ મિયાત્રા વિરુદ્ધ ટોળાં સ્વરૂપે ભેગા થઈ ચાર કરતા વધુ વ્યક્તિઓ એકત્રિત થવા પર મનાઈ ફરમાવતા જાહેરનામાનો ભંગનો આઈપીસી કલમ ૧૮૮, જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
જ્યારે કોઈપણ નિયમ અનેકાયદાનો ભંગ કર્યા વગર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસી કાર્યકરોની જીપીએક્ટની કલમ ૬૮ મુજબ અટકાયત કરી અવસર વિત્યે જીપીએક્ટની કલમ ૬૯ મુજબ છોડી દેવામાં આવ્યા હતા.
રાજકોટના પેડક રોડ પર બંધના આગલા દિવસે રાત્રે
ટાયરો સળગાવવાના કાવતરાંખોર તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખની ધરપકડ
ભક્તિનગર પોલીસે અટકાયત કર્યા બાદ બી-ડિવિઝન પોલીસે હેડક્વાર્ટર ખાતેથી લઈ આવી ગુનામાં ધરપકડ કરી
પેડક રોડ પર ગઈકાલે રાત્રે બે ટાયર સળગાવાયાની ઘટના બાદ સ્થળ પર દોડી ગયેલી બી-ડિવિઝન પોલીસે તત્કાળ તપાસ કરતા કોંગ્રેસના કાર્યકર તુષાર ગોવિંદ નંદાણી (ઉ.વ.૪૨, રહે. સરદાર પટેલ કોલોની, શેરી નં.૧નો ખુણો, કુવાડવા રોડ)નું નામ ખુલતા તેને ઘરેથી લઈ આવતા નશાખોર હાલતમાં હોવાનું જણાયું હતું.
પોલીસ ફરિયાદમાં નોંધાયા મુજબ તુષારે એવી કબૂલાત આપી હતી કે, આજે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આકસ્મિક મીટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં આશરે ૫૦ થી ૬૦ કાર્યકરો હાજર હતા. આ મીટિંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે (વાસ્તવમાં શહેર કોંગ્રેસ પ્રમુખ છે) એવી સૂચના આપી કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને લગતા જે બીલ પસાર કરવામાં આવ્યા છે, તેના પગલાં આપણે આવતીકાલે ભારત બંધના એલાનનું પાલન કરાવડાવાનું છે.
જેની જવાબદારી જે તે વોર્ડના હોદ્દેદારોને સોંપવામાં આવી હતી. મીટિંગના અંતે પોત-પોતાના વોર્ડમાં કરફયુ દરમિયાન ટાયર સળગાવી જનમાનસમાં ભયનો માહોલ પેદા કરવા કે જેથી વેપારીઓ આવતીકાલે ભારત બંધના એલાનનું પાલન કરે તેવી સૂચના આપી હતી. સાથો-સાથ એમ પણ કહ્યું હતું કે, આવતીકાલે પોતપોતાના વોર્ડ વિસ્તારમાં ૩૦-૩૦ માણસો એકઠા કરી બંધનું પાલન કરાવવું. આ ઉપરાંત ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ચક્કાજામ કરાવવાનું છે.
ત્યારબાદ તે પોતાના વોર્ડ વિસ્તારમાં પહોંચ્યો હતો અને કાર્યકરો સાથે મળી વિસ્તારના વેપારીઓને બીજા દિવસે દુકાન બંધ કરાવવા અપીલ કરી હતી. રાત્રે ૯ વાગ્યા પછી કોંગ્રેસના કાર્યકર જગદીશ ઉર્ફે જાલો ગીરીશ ઠુંગા (રહે. મોરબી રોડ, સેટેલાઈટ ચોક)ને કોલ કરી બે ટાયર લઈ આવવાની સૂચના આપતા થોડીવારમાં જ બાબુ કમા વરૂ (રહે. મંછાનગર, માર્કેટીંગ યાર્ડ પાછળ) સાથે બંને ટાયર લઈને આવતા ત્રણેયે પેડક રોડ પર જઈ પેટ્રોલ છાંટી ટાયર સળગાવ્યા હતા. આ પછી તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.
આ માહિતીના આધારે કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બી-ડિવિઝન પોલીસે બપોરે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની અટકાયત કરી હતી. તે પહેલાં તેની ભક્તિનગર પોલીસે પોતાના વિસ્તારમાંથી એક્ટિવા પર ફરતા હતા ત્યારે અટકાયત કરી હેડક્વાર્ટર રવાના કરી દીધા હતા, ત્યાંથી બપોરે બી-ડિવિઝન પોલીસે લઈ આવી ધરપકડ કરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓ જામીન ઉપર છૂટી ગયા હતા. એક આરોપી બાબુની પોલીસે શોધખોળ જારી રાખી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IsHwZg
0 Response to "રાજકોટ અંશતઃ પણ સ્વયંભૂ બંધ,100થી વધુ કોંગી નેતાની અટક"
Post a Comment