
જીએસટીના નવા રજિસ્ટ્રેશન માટે હવે બાયોમેટ્રિક ઓળખ લેવાશે
(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 23 નવેમ્બર, 2020, સોમવાર
ગુડ્સ અને સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન મેળવવા માટે અરજી કરનારાઓને હવે જીએસટી કચેરીના ફેસિલિટેશન સેન્ટરમાં બોલાવીને તેની બાયોમેટ્રિક્સ ઓળખના પુરાવાઓ લેવામાં આવશે.
તેમ જ ખોટું રજિસ્ટ્રેશન લીધું હશે તો તેને કેટલી અને કયા કારણોસર જેલની સજા થઈ શકે તેની સમજણ પણ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે દેશભરના રાજ્યના જીએસટી અધિકારીઓની બેઠકમાં ચર્ચા ચાલી રહી છે. આ પગલું લઇને બોગસ બિલિંગ પણ અટકાવી શકાશે તેવી આશા જીએસટી અધિકારીઓ રાખી રહ્યા છે.
જીએસટી રજિસ્ટ્રેશન લેવા આવનારાઓ દ્વારા રજૂ કરવામાં આવનારા આવકવેરાના રિટર્નની જેન્યુઈનનેસ પણ ચકાસીને પછી જ રજિસ્ટ્રેશન આપવાાં આવશે. જેના આવકવેરાના રિટર્ન વ્યવસ્થિત જણાશે અને આવકવેરા ખાતા દ્વારા તેને સમર્થન આપવામાં આવશે તે પછી જ તેને જીએસટી રજિસ્ટ્રેશન આપવામાં આવશે.
બોગસ બિલિંગ કરનારાઓ દ્વારા પ્યુન કે સ્લમમાં રહેનારાઓને પાંચ દસ હજાર આપી દઈને તેમના આધારકાર્ડનો ઉપયોગ કરીને જીએસટી રજિસ્ટ્રેશન કરાવી લેવામાં આવે છે.
આ સંજોગોમાં જીએસટી રજિસ્ટ્રેશનમાં બોગસ પુરાવાઓને આધારે રજિસ્ટ્રેશન લેનારાઓ પર બ્રેક લગાવવા માટે જ તંત્ર કમર કસી રહ્યું છે. તેઓ અરજદારને તેમની કચેરીના ફેસિલિટેશન સેન્ટરમાં રૂબરૂ બોલાવીને તેમના બાયોમેટ્રિક્સ લેશે. પરિણામે બોગસ રજિસ્ટ્રેશન લઈને બોગસ બિલિંગ કરનારાઓ પર અંકુશ આવવાની શક્યતા છે.
ખોટું રજિસ્ટ્રેશન લેનારાઓને જેલની સજા કરવામાં થઈ શકે તેવી કાનૂની જોગવાઈઓ છે તેવું ફેસિલિટેશન સેન્ટર પર લખીને પણ રજિસ્ટ્રેશન લેવા માટે આવનારાઓને ચેતવવામાં આવશે.
આ રીતે અન્ય વ્યક્તિના આધારકાર્ડનો દુરૂપયોગ કરવાની પ્રવૃત્તિ પર બ્રેક લાગી જશે. આ સાથે જ જીએસટી રજિસ્ટ્રેશન નંબર આપવાની કામગીરીને પાસપોર્ટ ઇશ્યૂ કરવા જેટલી કાળજી લઈને કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. ગુજરાતની આ દરખાસ્તને ઘણાં રાજ્યો તરફથી સમર્થન મળી રહ્યું છે.
રજિસ્ટ્રેશન કેન્સલ-સસ્પેન્ડ કરવાની વ્યવસ્થાને પણ વધુ ચુસ્ત બનાવવામાં આવશે. જીેસટી રજિસ્ટ્રેશન લીધા પછી છ માસ સુધી રિટર્ન ફાઈલ ન કરનારાઓના રજિસ્ટ્રેશન કેન્સલ કરી દેવામાં આવશે. જીએસટી રજિસ્ટ્રેશન લીધા પછી કોઈ જ પ્રવૃત્તિ ન કરતાં હોય તેવા છ લાખ રજિસ્ટ્રેશન હોવાનું જીએસટી કાઉન્સિલના ધ્યાનમાં આવ્યું છે. કુલ 1.20 કરોડ વેપારીઓ જીએસટી રજિસ્ટ્રેશન લીધા છે. તેમાંથી પાંચ ટકા લગભગ નિષ્ક્રિય છે.
જીએસટી રજિસ્ટ્રેશન લેનારાઓએ આપેલા સરનામે જઈને સ્થળ તપાસ કરવા માટે 21 દિવસનો સમય આપવામાં આવેલો છે. 21 દિવસ ઓછા પડતા હોવાથી ઘણાંને રજિસ્ટ્રેશન આપી દેવાની ફરજ પડે છે. પરિણામે સમય જતાં ખબર પડે છે કે જે સ્થળના સરનામે રજિસ્ટ્રેશન લેવામાં આવ્યું છે તે સ્થળે તેવું કોઈ જ એકમ નથી. પરિણામે જે તે રજિસ્ટ્રેશન નંબરનો દુરૂપયોગ થાય છે.
આ દુરૂપયોગ અટકાવવા માટે 21 દિવસમાં સ્થળ તપાસ કરીને જીએસટી રજિસ્ટ્રેશન આપવાની વાતને સાઈડ પર મૂકીને 60 દિવસનો સમયગાળો કરી આપવાની લાગણી પણ ગુજરાતના અધિકારીઓએ વ્યક્ત કરી છે. ગુજરાત સહિત દેશભરમાં બોગસ બિલિંગનો અને સ્લમમાં વસનારા, પ્યૂન કે પછી ચોકીદારના નામે રજિસ્ટ્રશન લઈને બોગસ બિલિંગ કરીને કરોડોની ટેક્સ ક્રેડિટ મેળવી લેનારાઓને અંકુશમાં લેવા માટે આ પગલાં લેવાઈ રહ્યા છે.
વિશ્વસનીય વેપારીઓને જ બે અઠવાડિયામાં રજિસ્ટ્રેશન અપાશે
આવકવેરાના સંગીન રિટર્ન હોય તેવા વેપારીઓને જીએસટી રજિસ્ટ્રેશન મેળવવા માટે વિશ્વસનીય ગણવામાં આવશે અને તેમને એક જ અઠવાડિયામાં રજિસ્ટ્રેશન આપી દેવામાં આવશે. અન્ય વેપારીઓને રજિસ્ટ્રેશન આપતા પહેલા પૂરી ખરાઈ કરવામાં આવશે અને તેમને 60 દિવસ બાદ રજિસ્ટ્રેશન મળી શકશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nWxpv3
0 Response to "જીએસટીના નવા રજિસ્ટ્રેશન માટે હવે બાયોમેટ્રિક ઓળખ લેવાશે"
Post a Comment