
અમદાવાદ શહેરમાં કરફ્યૂ બાદ પુન: જનજીવન ધબકતું થયું
કરફ્યૂના અમલ પર પાણી ફરી વળ્યું
અમદાવાદ, તા. 23 નવેમ્બર, 2020, સોમવાર
દિવાળીના તહેવારોમાં કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકારે 57 કલાકનો વિકેંડ કરફ્યુ અમલી બનાવ્યો હતો. આ કરફ્યુના અંત બાદ સોમવારથી ફરી એકવાર અમદાવાદ શહેરનું જનજીવન પુન: ધબકતુ થયું હતું.
છેલ્લા બે દિવસથી સૂમસામ ભાસતા અમદાવાદ શહેરના રસ્તા વાહનોની અવરજવરથી ધમધમતા થયા હતા. જો કે ક્યાંક કોરોનાની માર્ગદશકાની શિસ્ત જોવા મળી હતી, તો ક્યાંક લોકો ફરી એકવાર વોહી રફતાર સાથે માસ્ક વિના બિન્દાસ પણે ફરતા જોવા મળ્યા હતા. સોમવારની વહેલી સવારથી જ લોકો નોકરી ધંધે પહોંચ્યા હતા. જેના લીધે શહેરના માર્ગો પર ટ્રાફિક પૂર્વવત થયો હતો.
શહેરના કાલુપુર, દરિયાપુર, જમાલપુર સહિત કોટ વિસ્તાર ઉપરાંત ગીતામંદિર, વટવા, નારોલ, જુહાપુરા, સરખેજ સહિતના વિસ્તારોમાં તો લોકો શાકભાજી - કરિયાણું ખરીદવા ઉમટી પડયા હતા જેના કારણે બજારોમાં એટલી ભીડ ઉમટી હતી કે, કોરોના નિયમોના ચીંથરા ઉડયા હતા. સોશિયલ ડિસ્ટનસનો ભારોભાર અભાવ જોવા મળ્યો હતો. કોરોનાના આટલા કેસો વધ્યા હોવા છતાં કેટલાક લોકોએ માસ્ક પહેરવાની તસ્દી લીધી ન હતી.
બજારોમાં લોકો માસ્ક પહેરે તે માટે પણ પોલીસે પણ કોઈ કડકાઈ દાખવી ન હતી. લોકો બિન્દાસપણે બજારોમાં હરતા ફરતા નજરે પડયા હતા. કોરોનાના કેસો ઘટે તે માટે રાજ્ય સરકારે શનિ અને રવિ વારે કર્ફ્યુ લાદવાની ફરજ પડી હતી તે આખી વાત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.
આ તો અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ બજારો અને મોલ ખુલ્યા હતા જ્યાં ખરીદદારોની સંખ્યા જોવા મળી હતી. પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક રાબેતા મુજબ રહ્યો હતો. બે દિવસ સુધી ઘરમાં પુરાયેલી અમદાવાદીઓએ જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની ખરીદી કરી હતી જેના કારણે જનજીવન રાબેતા મુજબનું રહ્યું હતું.
એસટી બસ સ્ટેશન પર પણ મુસાફરોની ભારે આવવા-જવર રહી હતી કારણકે કરફ્યુને કારણે કેટલાય લોકો અમદાવાદમાં અટવાઇ પડયા હતા જેના કારણે સોમવારે વહેલી સવારથી લોકો અમદાવાદથી અન્ય શહેરો તરફ જવા માટે એસટી સ્ટેન્ડ પહોંચ્યા હતા જેથી એસટી બસોમાં પણ ભીડ જોવા મળી હતી. બીઆરટીએસ અને એએમટીએસ બસો મા પણ મુસાફરોની અવરજવર રહી હતી.આમ, અમદાવાદ શહેરનું જનજીવન ફરી એક વખત પાટા પર દોડતુ થયું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KA5eDH
0 Response to "અમદાવાદ શહેરમાં કરફ્યૂ બાદ પુન: જનજીવન ધબકતું થયું"
Post a Comment