
લગ્ન સમારોહમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓને હાજર રાખી શકાશે
(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 23 નવેમ્બર, 2020, સોમવાર
માસ્ક ન પહેરવો અને નાક ન ઢંકાય તે રીતે માસ્કને લટકાવી રાખવાના લોકોના વલણને પરિણામે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવાને પરિણામે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા માટે શહેર સહિત ગુજરાતના વિસ્તારોમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને સરકારે લગ્ન સમારોહમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓને હાજર રાખવાની છૂટ આપવાના નિર્ણય કર્યો છે.
અગાઉ લગ્ન સમારોહમાં બંને પક્ષના મળીને 200 જણને હાજર રહેવાની છૂટ આપવામાં આવતી હતી. આવતીકાલથી એટલે કે 24મી નવેમ્બર મંગળવારથી નવી વ્યવસ્થાને અમલમાં મૂકવામાં આવશે.
29મી અને 30મી નવેમ્બરે ગુજરાતના મોટા શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં મળીને હજારો લગ્નો થવાના છે. આ લગ્નસમારોહ પણ કોરોના સંક્રમણ માટે જવાબદાર ન બને તે માટે સરકારે આ પગલાં લીધા છે.
ડિસેમ્બર મહિનાની 9મી અને 10મી તારીખે પણ બહુ જ મોટી સંખ્યામાં લગ્નસમારોહ થવાના છે. તે વખતે પણ આ જોગવાઈ લાગુ કરવામાં આવશે. લગ્નમાં હાજરી આપવા માટે જેમને આમંત્રણ અપાઈ ચૂક્યા હશે તેમાંથી ઘણાંને હવે કાપવાની ફરજ પડશે. તેને પરિણામે પારિવારિક તનાવ પણ વધવાની સંભાવના રહેલી છે.
બીજીતરફ કોરોના સંક્રમણ કે અન્ય કારણોસર મૃત્યુ પામનારાઓની અંતિમ વિધિમાં અત્યાર સુધી માત્ર 20 જણને જ હાજર રહેવાની છૂટ આપવામાં આવતી હતી. આ રીતે હાજર રહેનારાઓની સંખ્યા 20થી વધારીને 50 કરી આપવાનો નિર્ણય પણ ગુજરાત સરકારે કર્યો છે.
બીજી તરફ કરફ્યુના નિયમોને ભંગ ન થાય તે માટે સવારના ભાગમાં જ લગ્ન સમારોહની યોજવાની ગુજરાત સરકારે આ અગાઉ જ સૂચના આપી દીધી છે. તેથી વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા જે શહેરોમાં રાતના નવ વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુનો અમલ હોય તે શહેરોમાં મોડી સાંજે લગ્ન સમારોહ ન યોજવાની સૂચના આપવામાં આવી છે.
એક તરફ સરકાર કોરોનાના સંક્રમણને અંકુશમાં લેવા જફા કરી રહી છે ત્યારે બીજી તરફ 57 કલાકના કરફ્યુ પછીયે સંખ્યાબંધ લોકો વ્યવસ્થિત માસ્ક પહેર્યા વિના જ ઘૂમી રહ્યા છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં અને જોધપુર વોર્ડમાં દરેક સોસાયટીઓમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
જોધપુર વોર્ડના સચિન પાર્કમાં આખાના આખા પરિવાર કોરોનાની ઝપટમાં આવી ગયા છે. આ સંજોગોમાં ઘરના બારણાં બંધ રાખીને હોમ ક્વોરન્ટાઈન રહેવાને બદલે તેઓ તેમના બંગલાની અને ગેલેરીમાં માસ્ક પહેર્યા વિના જ બેસી રહેતા હોવાની ફરિયાદ થઈ છે. તેમના કારણે આડોશપાડોશમાં કોરોનાના કેસ વધી જવાની શક્યતા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KA57rL
0 Response to "લગ્ન સમારોહમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓને હાજર રાખી શકાશે"
Post a Comment