
પૂર પાટ જતા ડમ્પરે બાઈકને અડફેટે લેતા મહિલાનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત
ધ્રાંગધ્રા, તા.30 નવેમ્બર 2020, સોમવાર
ધ્રાંગધ્રા-અમદાવાદ બાયપાસ હાઈવે પર અકસ્માતોના બનાવો સતત વધી રહ્યાં છે જેમાં ગુરૂકુળ પાસે અવાર-નવાર અકસ્માતોના બનાવો બની ચુક્યાં છે ત્યારે ફરી ધ્રાંગધ્રા-હળવદ રોડ પર ગુરૂકુળ પાસે અકસ્માત અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.
ધ્રાંગધ્રા-અમદાવાદ બાયપાસ હાઈવે પર ગુરૂકુળ પાસે અવાર-નવાર અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે જ્યારે આ સ્થળ પર રાજગઢ તેમજ કંકાવટી સહિત આસપાસની સોસાયટી અને વાદીપરા વિસ્તારમાંથી પણ લોકોની અવર-જવર રહેતી હોય છે ત્યારે ધ્રાંગધ્રા-હળવદ રોડ પર ગુરૂકુળ પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ ડમ્પરના ચાલકે બાઈક પર જઈ રહેલ સોમાભાઈ અમરશીભાઈ પાટડીયા તથા પત્ની ચંપાબેન સોમાભાઈ પટડીયા બંન્ને રહે.
રાજગઢવાળા તથા લાભુબેન દેવાભાઈ વિંઘાણી રહે.કંકાવટી તા.ધ્રાંગધ્રાવાળાને અડફેટે લીધા હતાં જેમાં લાભુબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે સોમાભાઈ અને ચંપાબેનને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે પ્રથમ ધ્રાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યારે આ બનાવની જાણ થતાં ઠાકોર સમાજના ધનાભાઈ, ટીકુભાઈ, નારાયણભાઈ, સનદભાઈ ડાભી સહિતનાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં તેમજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં લઈ વાહનવ્યહાર ફરી શરૂ કરાવ્યો હતો. આ બનાવથી મૃતકના પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ તકે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલના આરએમઓ દ્વારા સારવાર અર્થે લાવવામાં આવેલ દર્દીઓ તેમજ તેમના સગા-સબંધીઓને ઘમકાવી અપમાનજનક વર્તન કરી સારવાર આપવાને બદલે અન્ય હોસ્પીટલે રીફર કરવામાં આવતાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JuKhJI
0 Response to "પૂર પાટ જતા ડમ્પરે બાઈકને અડફેટે લેતા મહિલાનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત"
Post a Comment