
યાત્રાધામ પાલિતાણાની જય તળેટી ખાતે આવતીકાલથી પૂજા-સેવાનો થશે પ્રારંભ
ભાવનગર, તા. 15 ઓક્ટોબર2020, ગુરૂવાર
કોરોનાની મહામારીને અનુલક્ષીને જાહેર કરાયેલા પ્રથમ લોકડાઉન અને અનલોકના ૨૦૫ દિવસના લાંબા સમયગાળા બાદ તા.૧૭ ઓકટોબરને શનિવારથી યાત્રાધામ પાલિતાણામાં જય તળેટી ખાતે પૂજાસેવાનો પ્રારંભ થનાર હોય શ્રધ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે.
તીર્થનગરી પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજની યાત્રાએ વર્ષ દરમિયાન દેશ અને વિદેશમાંથી મળી લાખો આબાલવૃધ્ધ ભાવિકો દર્શનાર્થે અને સેવાપૂજાર્થે આવતા હોય છે. દરમિયાન કોરોનાની મહામારીને અનુલક્ષીને ગત ૨૨ માર્ચથી જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાતા ભારતભરના તમામ ધર્મસ્થાનકો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. સાવચેતીના એક ભાગરૂપે ત્યારથી યાત્રાધામ પાલિતાણામાં પણ જૈન દેરાસરો સહિતના યાત્રાધામો બંધ રાખવામાં આવ્યા હતા.દરમિયાન કોરોનાનો કહેર ક્રમશ ઘટતા તબકકાવાર છુટછાટ આપવામાં આવી રહી છે.
જે મુજબ હાલ તમામ મંદિરો અને દેરાસરો સહિતના ધર્મસ્થાનકો ખોલવા અને પૂજા અર્ચનાની મંજુરી મળતા ભાવિકોમાં ખાસ કરીને આરાધકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામેલ છે. હાલ ચાતુર્માસ ચાલુ હોય પાલિતાણા ખાતે યાત્રા નિષેધ હોય અને જય તળેટી ખાતે પૂજા અર્ચના બંધ હતી.ત્યારે આજે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ એક માર્ગદર્શિકા બહાર પાડી જેમાં ૨૦૫ દિવસ બાદ તા.૧૭ ઓકટોબરને શનિવારથી જય તળેટી ખાતે સેવા પૂજા શરૂ થશે. સેવા પૂજા સવારે ૭.૩૦ થી સાંજે ૪ કલાક સુધી જ ચાલુ રહેશે.
જય તળેટીએ પ્રક્ષાલ, ફૂલ, ધૂપ, દીપ, અક્ષત, ફળ નેવૈદ્ય,ચામર પુજા હાલમાં શરૂ કરાયેલ નથી. યાત્રિકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ,માસ્ક સહિત કેન્દ્ર અને રાજય સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ જય તળેટીએ ચૈત્યવંદના માટે બેસવુ નહી તેવો અનુરોધ કરાયો છે. ટૂંક સમયમાં મુંબઈની ટ્રેન શરૂ થતા ફરી ભાવિકોનો અવિરતપણે પ્રવાહ પાલિતાણા તરફ વળશે તેમ જણાય છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3o5Yuga
0 Response to "યાત્રાધામ પાલિતાણાની જય તળેટી ખાતે આવતીકાલથી પૂજા-સેવાનો થશે પ્રારંભ"
Post a Comment