બે સંતાનો સાથે પિતાએ કર્યો સામુહિક આપઘાત

બે સંતાનો સાથે પિતાએ કર્યો સામુહિક આપઘાત


- છેલ્લા ૧ માસથી પત્નિ પોતાના પિયર ઉંડવી ગામે રહેતી હતી : એસ.પી. સહિતનો કાફલો દોડી ગયો

- અઢી વર્ષના દિકરા અને ૪ વર્ષની દિકરીને પાઇપ સાથે ફાંસો આપ્યા બાદ પિતાએ પણ પંખા સાથે લટકી જઇ અંતિમ પગલું ભરી લેતા નાનકડા ગામમાં ભારે અરેરાટી

ભાવનગર, તા. 15 ઓક્ટોબર 2020, ગુરૂવાર

પાષાણ હૃદયના માનવીને પણ પીગળાવી મુકતી વધુ એક કરૂણાંતીકા ભાવનગર જિલ્લાના નવાગામ ચિરોડામાં ઘટવા પામી હતી. ઘર કંકાસના કારણે પત્નિ છેલ્લા ૧ માસથી પોતાના પિયર ઉંડવી ગામે જતી રહી હતી. ત્યારે બે-બે સંતાનોનો નિભાવ કરતા પિતાએ થાકી હારી આજે સમી સાંજેના બે માસૂમ સંતાનોની સાથે સામૂહિક આત્મહત્યા કરી લેતા નાનકડા ચિરોડા ગામમાં ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી અને જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. માત્ર અઢી વર્ષના પુત્ર અને ચાર વર્ષની દિકરીને છાપરાના પાઇપ સાથે ફાંસો આપી દિધા બાદ પિતાએ પંખા સાથે લટકી અંતિમ પગલુ ભરી લીધુ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું.

બનાવની જાણવા મળતી સનસનીખેજ વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના મુળ કરદેજ ગામના વતની, હાલ નવાગામ (ચિરોડા) ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા અને ટ્રક ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા લાલજીભાઇ નાગજીભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨)એ આજે ગુરૂવારે સાંજના ૪ કલાકના અરસા દરમિયાન તેના અઢી વર્ષની માસૂમ પુત્ર માનવ, ૪ વર્ષની દિકરી પ્રતિક્ષાની સાથે સામૂહિક આપઘાત કરી લેતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. બે સંતાનો સાથે પિતા લાલજીભાઇનો છત સાથે લટકતા મૃતદેહ નિહાળી ગ્રામજનોએ પણ આંખો ફાટીને ફાટી રહી ગઇ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા હતા. જ્યારે બનાવના પગલે જિલ્લા પોલીસ વડા, એ.એસ.પી., મામલતદાર, વરતેજ પી.એસ.આઇ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને પિતા અને બે સંતાનોના મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. અર્થે ભાવનગર ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન છેલ્લા ૧૦ વર્ષથી ટ્રક ચલાવવાનો વ્યવસાય કરતા લાલજીભાઇ ચૌહાણ તેના પત્ની અને બે સંતાનો સાથે નવાગામ ચિરોડામાં છેલ્લા ૩ વર્ષથી સ્થાઇ થયા હતા. ઘરમાં ચાલતા કંકાસના કારણે તેમના પત્ની પાયલબેન એક માસથી તેઓના પિયર ઉંડવી ગામે હતા. ત્યારે લાલજીભાઇ બન્ને સંતાનોનો નિભાવ કરી રહ્યા હતા. દરમિયાન આજે સમી સાંજના બન્ને બાળકોને છાપરાના પાઇપ સાથે સાડી બાંધી ફાંસો આપી દીધા બાદ પંખે લટકી તેઓએ પણ જીવન ટુંકાવી લીધું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. ઉક્ત કરૂણાંતિકાના પગલે ભારે અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઇ જવા પામી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31cSxnJ

0 Response to "બે સંતાનો સાથે પિતાએ કર્યો સામુહિક આપઘાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel