
ઊંઝામાં કતલખાને લઇ જવાતા 21 વાછરડા સાથે બે ઝડપાયા
ઊંઝા,તા.04 ઓક્ટોબર 2020, રવિવાર
ઊંઝા હાઈવે ઉપરથી ગઈકાલે બપોરે બેથી અઢી વર્ષના ગાયના ૨૧ વાછરડા ભરેલી આઈશર ગાડી પોલીસ ચેકીંગ દરમિયાન ઝડપાતાં ટ્રકના કંડક્ટર તથા ડ્રાઈવરની અટકાયત કરી પાડા સાથે ગાડીને કબજે લીધા હતા. પાંચ લાખની ગાડી તથા ૬૩૦૦૦ની કિંમતના ગાયના ૨૧ વાછરડા સાથે મુદ્દામાલ સાથે બે સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ઊંઝા હાઈવે પોલીસ ચોકી સામે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન પસાર થતી આઈશર ગાડી શંકાસ્પદ જણાતાં તપાસ કરતાં ગાડીમાં પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા વિના ગાયના બે થી અઢી વર્ષના ૨૧ નંગ વાછરડા ભરેલા મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ સંદર્ભે ગાડીનો ડ્રાઈવર આબેદઅલી અમજદઅલી સૈયદ (ઉ.વ.૪૯ મહોમદપુરા, ગવાડી, ડીસા) તથા કંડક્ટર અબ્દુલવાહીસ અબ્દુલરસીદ શેખ (ઉ.વ.૨૩ પુરગ્રસ્ત કોલોની ડીસા)ની અટકાયત કરી હતી. પ્રાથમિક પુછપરછ કરતાં જાણવા મળેલ કે ઉપરોક્ત ૨૧ નંગ ગાયના વાછરડા ગવાડી ડીસાના અસમલ મહમદભાઈ શેખના વાડામાંથી ટ્રકમાં ભરીને નંદાસણ ખાતે સઈદ શેખના કતલખાનામાં લઈ જવાતા હતા. કોઈપણ ઘાસચારા કે પાણી વિના ઠોસી ઠોસીને ભરેલા અબોલ ૨૧ જીવોનો તથા આઈશર ગાડીનો કબજો લઈ ઉપરોક્ત ડ્રાઈવર તથા કંડક્ટર વિરુદ્ધ પોલીસ પ્રાણીઓની સાચવણી અંગેનો તથા પશુઓ પરત્વે ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ આર.કે.પાટીલ ચલાવી રહ્યા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cWGZJO
0 Response to "ઊંઝામાં કતલખાને લઇ જવાતા 21 વાછરડા સાથે બે ઝડપાયા"
Post a Comment