
કોરોના કાળમાં લોનના મોકૂફ રાખેલા હપ્તાનું વ્યાજ સબસિડી પેટે ચૂકવાશે
સ્પિનિંગ અને વિવિંગ માટે GSTની મુદત વધારાઈ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 22 જાન્યુઆરી, 2021, શુક્રવાર
વેપાર ધંધા માટે લોન લેનારા વેપારીઓની લોનના મુદ્દલ અને વ્યાજના નાણાં કોરોનાના કહેરને પરિણામે છ મહિના માટે ન લેવાના કેન્દ્ર સરકારે કરેલા આદેશ બાદ પણ વેપારીઓના ખાતામાં ઉધારી દેવામાં આવેલા વ્યાજની ગુજરાત સરકાર દ્વારા સબસિડી પેટે ચૂકવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ માટેની એક દરખાસ્ત તૈયાર કરીને નાણાં મંત્રીને મોકલી આપવામાં આવી છે. આગામી થોડા દિવસોમાં જ આ અંગેની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે તેવા નિર્દેશ મળ્યા છે.
આજે ગુજરાત ચેમ્બરમાં વેપાર ઉદ્યોગના પ્રશ્નોને સાઁભળવા માટે આવેલા ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા કરવામાં આવેલા સવાલના જવાબમાં ઉપર મુજબનો અણસાર આપ્યો હતો.
તેમણે કહ્યું હતં કે આ અંગે તેમના વડપણ હેઠળની કમિટીએ નિર્ણય લઈને તે અંગેની એક દરખાસ્ત ગુજરાત સરકારના નાણાં વિભાગને મોકલી આપી છે. નાણાં ખાતા દ્વારા તેને મંજૂરી મળી જતાં ટૂંક સમયમાં તે અંગે જાહેરાત કરવામાં આવશે.
બીજીતરફ ટેક્સટાઈલ ઉદ્યોગને વેટના સમયગાળામાં વેચાણ પર ઉઘરાવવામાં આવેલા 5 ટકા પ્રમાણેની રકમ જમા કરાવ્યા પછી વેપારીઓને રિફંડ અપાતી હતી. પરંતુ જીએસટી આવ્યા પછી આ રકમ ઘટી ગઈ હતી.
કારણ કે જીએસટીમાં એસજીએસટી અને સીજીએસટી બંનેનો હિસ્સો આવતો હોવાથી વેપારીઓને પહેલા જે 5 ટકા મળતા હતા તેને બદલે જીએસટી આવ્યા પછી 2.5 ટકા નાણાં રિફંડ તરીકે પરત મળે છે. આ રીતે તેમને આઠ વર્ષ સુધી રિફંડ આપવામાં આવતું હતું. નવી ટેક્સટાઈલ પોલીસીમાં આ જોગવાઈમાં ફેરફાર કરીન ેતેમને 12 વર્ષ સુધી આ નાણાં રિફંડ પેટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટેક્સટાઈલ ઉદ્યોગે આ લાબ સ્પિનિંગ ઉપરાંત વિવિંગ અને પ્રોસેસિંગ સહિતના ટેક્સટાઈલના તમામ સેગમેન્ટને આપવાની માગણી કરી છે. આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તો યોગ્ય વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે તેવી બાંયધરી આજે ઉદ્યોગ કમિશનરે વેપારી આલમને આપી હતી.
ગુજરાતમાં દેશની અને દુનિયાની મોટી બ્રાન્ડને આકર્ષવા માટે સરકાર તરફથી તેમને પ્રોત્સાહન આપવાનું આયોજન કરવામાં આવે તેવી માગણી આજે ઉદ્યોગ કમિશનર સમક્ષ ગુજરાત ચેમ્બરના વેબિનારમાં ઉપસ્થિત વેપારીઓએ મૂકી હતી.
આજે મોટી બ્રાન્ડ ગુજારતમાં ગારમેન્ટ લેવા માટે આવતી ન હોવાથી ગુજરાતના માલની દુનિયાના બજારમાં ઊભી થવી જોઈએ તેના કરતાં ઓછી ડિમાન્ડ ઊભી થઈ રહી છે. તેનો જવાબ આપતા રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે વેપાર-ઉદ્યોગ દ્વારા લોકલ બ્રાન્ડને પ્રમોટ કરવાની મૂકવામાં આવેલી માગણી વાજબી હોવાનું ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું.
સોલર પેનલ બેસાડવા અંગેની લીઝડીડ માટે અશાંતધારાની મંજૂરી જરૂરી
સોલાર પોલીસી જાહેર થયા પછી સોલાર પેનલ બેસાડવા માટે અરજી કરનારાઓને પણ અશાંતધારા હેઠળ મંજૂરી લેવાની આવી રહી છે. ઘણી કંપનીઓમાં જમીનની માલિકી એકના નામે હોય અને ભાગીદાર અને ડિરેક્ટર તરીકે બીજી વ્યક્તિઓ પણ તેમાં હોય તેવા સંજોગોમાં લીઝડીડ કરવાની ફરજ પડે છે. આ લીઝ ડીડ કરે ત્યારે તેને માટે અશાંત ધારાની મંજૂરી લેવી પડે છે.
આ મિલકત અશાંતધારાના વિસ્તારમાં નથી આવતું તેવું પ્રમાણપત્ર મામલતદાર પાસેથી લેવાની ફરજ નારોલના પ્રોસેસ હાઉસોને ફરજ પાડવામાં આવી રહી છે. શાહવાડીના વિસ્તારોને અશાંતધારો લાગુ પડે છે. તેની સામે સૈજપુર ગૌપાલપુરને અશાંતધારો લાગુ પડતો નથી. પરંતુ સૈજપુર ગોપાલપુરની મિલકત અશાંતધારાના વિસ્તારની 500 મીટરની હદમાં આવે છે કે નહિ તે પ્રમાણપત્ર મામલતદાર પાસેથી લેવાની ફરજ પડી રહી છે.
પ્લાન્ટ મશીનર પર લીધેલી લોનના વ્યાજની સબસિડી મેન્યુઅલી અપાશે
ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા પ્લાન્ટ અને મશીનરી ખરીદવા માટે લેવામાં આવેલી ઓનલાઈન આપવાની 2019ની ટેક્સટાઈલ પોલીસીમાં જાહેરાત કરવામાં આવી તે પછીય ઓનલાઈન અરજીઓ પર કામકાજ થતું નથી. આજ રીતે પ્રોડક્શનની પ્રક્રિયામાં વપરાતા પાવર-વીજળીના યુનિટદીઠ ખર્ચમાં બે રૂપિયાની સબસિડી આપવાની કામગીરી પણ ન થતી હોવાથી મેન્યુફેક્ચરર્સના સબસિડીના નાણાં સલવાયેલા પડય છે.
આ નાણાં છૂટા થાય તે માટે યોગ્ય પગલાં લેવાની માગણી આજે વેપારી આલમે ચેમ્બરના વેબિનારમાં મૂકી હતી. આ માગણીના પ્રતિભાવમાં ઉદ્યોગ કમિશનરે જણાવ્યુ ંહતું કે જેમની અરજીઓ પ્રોસેસ ન થઈ હોય તેઓ આ અરજીઓ મેન્યુઅલી મૂકી શકે છે. તેમની અરજીઓ પ્રસોસ કરીને તેમને સબસિડીના નાણાં મળી જાય તેવી ગોઠવણ કરવામાં ઉદ્યોગ કમિશનરની કચેરી મદદરૂપ થશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sZ1NZ0
0 Response to "કોરોના કાળમાં લોનના મોકૂફ રાખેલા હપ્તાનું વ્યાજ સબસિડી પેટે ચૂકવાશે"
Post a Comment