
અધિકારીઓના કમિશનનો ભાંડાફોડ સૂત્રધારનાં પકડાવા પર આધારિત
- ૨૧ મહીને ૩૮૦ એકર સરકારી જમીન તો સરકારી ઠરી, પણ મુખ્ય આરોપીની ધરપકડ માટે કાનૂની લડત હજુ ચાલુ
- ક્વોશી જ્યુડિશિયરી મેટરનો પ્રશ્ન, બનાવટી પૂરાવા, ૭૬ વર્ષ જૂના દસ્તાવેજો વગેરેમાં પાર ઉતરી ચૂકેલો એસીબી
- સુનવણી વખતે સૂત્રધારની હાજરી, ફોનથી અધિકારીઓ સાથેનો સંપર્ક, વેચાણ કરારમાં સાહેદ જેવા પૂરાવા પર મદાર
રાજકોટ, તા. 5 ડિસેમ્બર 2020, શનિવાર
નિર્માણાધીન હીરાસર એરપોર્ટ નજીક બામણબોર અને જીવાપર ખાતેની ૩૮૦ એકર વિવાદાસ્પદ જમીન તો ૨૧ મહિનાની કાયદાકીય કાર્યવાહી પછી અંતે સરકારી ઠરી છે, પરંતુ અંદાજે ૧૧૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતની આ સકારી જમીનના કૌભાંડમાં મુખ્ય સુત્રધાર હજુ પકડાવો બાકી છે. આ પ્રકરણમાં ૭થી ૮ સરકારી પગારદારોએ જમીન ખાનગી આસામીને તબદિલ કરવા બદલ શું શું લાભ મેળવ્યા હતા, એ હકીકત મુખ્ય સૂત્રધારના પકડાવા પછી બહાર આવી શકે તેમ મનાય છે.
ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળનો ૪૫૦ એકર જમીનનો કેસ આમ તો ૧૯૭૭થી ચાલતો હતો, જેમાં ચોટીલા કૃષિપંચ (મામલતદાર)થી માંડીને નાયબ કલેકટર, કલેકટર, મહેસુલ પંચ, હાઈકોર્ટ અને છેક સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની લડતમાં મોટેભાગે સરકાર તરફી જ ચૂકાદા આવ્યા હતા અને ૩૯૬ એકર જેટલી જગ્યા ફાજલ ઠરાવવામાં આવી હતી પરંતુ વર્ષ ૨૦૧૭માં તત્કાલિક ચોટીલા મામલતદારે આસામીની અરજી પરથી કેસ ફરીથી ચલાવીને માત્ર ૭૨ એકર જ જગ્યા ફાજલ ગણી બાકીની બેશ કિંમતી જમીન ખેડૂત પરિવારના વારસોને યુનિટરૂપે ફાળવી દીધી હતી. સુપ્રીમના ચૂકાદાની ખોટું અર્થઘટન કરી પોતાની સત્તામર્યાદા બહાર કરાયેલી આ કાર્યવાહીમાં બે ઉપરી અધિકારી અને પાંચેક અન્ય કર્મચારીની પણ સંડોવણી જણાઈ હતી.
૨૦૧૯ના ફ્રેબુઆરીમાં તંત્રએ ફરિયાદ નોંધાવી પછી એન્ટી કરપ્શન બ્યૂરોએ આદરેલી તપાસ અનેક રીતે અભૂતપૂર્વ બની રહી હતી. પ્રમોલ્ગેશન વખતના એટલે કે ૭૫ વર્ષ જુના દસ્તાવેજી પૂરાવા સરકારી કચેરીઓમાંથી અંકે કરવાથી માંડીને એ.એલ.સી. કેસમાં થયેલા ગફલા પકડવા તપાસ લાંબી ચાલી હતી, જે દરમિયાન ખૂલ્યું કે જન્મ તારીખના પૂરાવામાં છેડછાડ કરાઈ હતી, આંબો ખોટો બનાવાયો હતો, સ્થળ રોજકામમાં ગોલમાલ હતી, કેસ હજુ પૂરો ન્હોતો થયો ત્યાં જમીન વેચાણ માટે મંજૂરી આપી દેવામાં આવી હતી, વગેરે.
મામલતદાર હોદ્દાની રૂએ એક્ઝક્યુટીવ મેજિસ્ટ્રેટ હોવાથી આવા અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે કે કેમ એ પ્રશ્ને ક્વોશિ જ્યુડિશિયરી મેટરનો મુદે પણ ઉઠાવાયો. આ પ્રકારનો આ પ્રથમ કેસ હતો, પણ સરકાર પક્ષે એડિશ્નલ એડવોકેટ જનરલ અને એ.સી.બી. ઓફિસરોએ જોરદાર કાનૂની લડત આપી. અંતે, એક કાર્યકારી મામલતદાર, અન્યત્ર બદલી પામેલા બીજા મામલતદાર, એક તલાટી, ૩ સર્કલ ઓફિસર-નાયબ મામલતદાર, નાયબ કલેકટર, અધિક કલાકેટરની ધરપકડો થઈ. અધિક કલેકટર સામે અપ્રમાણસર મિલ્કતનો અલગ કેસ પણ થયો. ચાર્જશીટ પણ સમયસર થયું અને આખરે ૩૮૦ એકર જમીન તાજેતરમાં સરકારી ઠરતાં તપાસને અનુમોદન પણ મળ્યું.
બીજી તરફ, તપાસમાં ખુલ્યું હતું કે આસામીઓએ અરજી મુખ્ય સૂત્રધાર મારફત જ કરી હતી, અને સુનવણી વખતે પણ તેની હાજરી રહેતી. અમૂક અધિકારીઓ સાથે તેના સંપર્ક પણ પ્રસ્થાપિત થયા. જમીનના પ્રથમ સોદામાં ખરીદારોએ નોટબંધી બાદ ચારેક કરોડનું ચૂકવણું રોકડથી કર્યું હતું ! સોદામાં સાહેદ સાક્ષી તરીકે તેનું નામ હતું. ચાર્જશીટમાં પણ નામોલ્લેખ કરાયો છે. જો કે, સુભાષ બોદરને આગોતરા જામીન મળ્યા તે સાથે એસીબી દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરાયેલી છે, જે હજુ પેન્ડિંગ છે. અમલદારોથી લઈને અન્યોને આ પ્રકરણમાં શું ભૂમિકા ભજવી તેની વધુ સ્પષ્ટતા સૂત્રધાર પકડાયા પછી થશે તેમ સૂત્રો જણાવે છે.
હજુ અન્ય કેટલાંકની સંડોવણી ખૂલવા સંભવ
વિશ્વસ્ત સૂત્રોનાં જણાવ્યા મુજબ, સૂત્રધારની ધરપકડ શક્ય બને અને તેની ઉંડાણ ભરી પૂછપરછ થાય તે પછી આ પ્રકરણમાં હજુ સુધી જેમના નામ બહાર નથી આવ્યા તેવા પણ અમુક ઉચ્ચ અધિકારીની સંડોવણી ખુલવા સંભવ છે. જો કડક અને તટસ્થ તપાસ આગળ વધે તો એવા અમુકની પણ ધરપકડ થઈ શકે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qEJyXJ
0 Response to "અધિકારીઓના કમિશનનો ભાંડાફોડ સૂત્રધારનાં પકડાવા પર આધારિત"
Post a Comment