
આજે ભારત બંધ : ગુજરાતમાં ખેડૂત સંગઠનોનો ટેકો, પોલીસ સ્ટેન્ડ ટુ
વિસનગર, વાંકાનેર, અમરેલીમાં બજારો બંધ રહેશે, અમદાવાદમાં રિક્ષાઓ બંધમાં જોડાશે, AMTS- BRTS ચાલુ રહેશે
અમદાવાદ, તા. 7 ડિસેમ્બર, 2020, સોમવાર
કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલાં આંદોલનને દેશભરમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યુ છે.ખેડૂતોએ 8મી ડિસેમ્બરે ભારત બંધનો કોલ આપ્યો છે જેને ગુજરાતના ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપ્યો છે.
આ ઉપરાંત બંધને સમર્થન આપી સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ય એપીએમસી-માર્કેટયાર્ડ પણ બંધ રહેશે.વેપારી સંગઠનો ઉપરાંત કોંગ્રેસ,એનસીપી, આમ આદમી પાર્ટીએ પણ બંધના એલાનને સમર્થન આપી બંધમાં જોડાવવા લોકોને અપીલ કરી છે.
આ તરફ, ભારતીય કિસાન સંઘ અને ભાજપ પ્રેરિત એપીએમસી બંધથી અળગા રહેશે. જોકે, બંધને પગલે કોઇ અનિચ્છિય ઘટના ન બને તેની તકેદારી રૂપે રાજ્ય ગૃહ વિભાગે તમામ જિલ્લા પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનરોને કાયદો વ્યવસૃથા જળવાઇ રહે તે માટે આદેશ આપ્યો છે.
ભારત બંધને સફળ બનાવવા માટે અમદાવાદમાં ખેડૂત આગેવાનોની બેઠક મળી હતી જેમાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા નક્કી કરાઇ હતી. આ ઉપરાંત આજે સુરતમાં ય ખેડૂત સમાજની બેઠકનુ આયોજન કરાયુ હતું જેમાં બંધને સમર્થન જારી કરાયુ હતું. 23 સંસૃથાઓ એ પણ બંધને ટેકો જાહેર કર્યો હતો.
અમરેલી ઉપરાંત રાજકોટ, ગોડલ, ધ્રોલ , જસદણ , જામ જોધપુર , જૂનાગઢ , વિસાવદર, જામ ખંભાળિયા , હળવદ, ઉપલેટા ,કાલાવડ , જામનગર સહિતના શહેરોમાં માર્કેેટિંગ યાર્ડ ઉપરાંત એપીએમસી ભારત બંધના સમર્થનમાં બંધ પાળશે. આ ઉપરાંત મોરબી , વાંકાનેર, વિસનગર સહિતના શહેરોમાં વેપારીઓ બજાર બંધ રાખવા નક્કી કર્યુ છે. અમરેલીમાં ડાયમંડ એસોસિએશને પણ બંધ જોડાવવા નિર્ણય કર્યો છે. ભારત બંધને સૌરાષ્ટ્રમાં સમર્થન મળી રહ્યુ છે.
આ તરફ, ભાજપ પ્રેરિત એપીએમસી,ભારતીય કિસાન સંઘ ઉપરાં વેપારી મહાજનોને બંધથી અળગા રહેવા નક્કી કર્યુ છે. અમદાવાદ જમાલપુર , સાણંદ , બાવળા ,જેતલપુર ઉપરાંત ધોળકા એમપીએમસીએ બંધને સમર્થન આપ્યુ નથી બલ્કે નરેન્દ્ર મોદીના ફોટા સાથે કૃષિ કાયદાને સમર્થનને લગતા પોસ્ટરો લગાવાયાં હતાં. પેટ્રોલ પંપ એસોશિએસને પણ બંધમાં નહી જોડાવવા એલાન કર્યુ છે.
બંધને પગલે રાજ્ય ગૃહવિબાગે પોલીસને એલર્ટ રહેવા સુચના આપી દીધી છે. આંદોલનકારી ખેડૂત આગેવાનો પર પોલીસ નજર રાખી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોઇ અનિચ્છિય ઘટના ન બને તેની પોલીસ તકેદારી રાખી રહી છે. ખેડૂત સંગઠનોનો દાવો છેકે, ગુજરાતમાં બંધને જોરદાર સમર્થન મળશે જયારે રાજ્ય સરકારનો દાવો છેકે, ગુજરાતમાં બંધની કોઇ અસર નથી થાય.
આ તરફ, ગુજરાત ખેડૂત સંગઠન, કેમિકલ મઝદૂર સંઘ, કિસાન ક્રાંતિ સંગઠન, ગુજરાત કોંગ્રેસ કિસાન સેલ, અન્નદાતા હિત રક્ષક સમિતી,કિસાન એકતા સમિતી સહિત કુલ 23 ખેડૂત સંગઠનોએ બંધને ટેકો આપ્યો છે. સાથે સાથે અખિલ ભારતીય કોળી સમાજે પણ બંધમાં સૌ કોઇને જોડાવવાની અપીલ કરીને ટેકો આપ્યો છે. સુરતમાં ય ટેક્સટાઇલ લેબર યુનિયન-ટેમ્પો એસોસિએશને બંધને સમર્થન આપ્યુ છે.
અમદાવાદમાં ઓટોરીક્ષા યુનિયને બઁધને ટેકો આપી રીક્ષાઓ બઁધ રાખવા નક્કી કર્યુ છે. આ ઉપરાંત એવુ ય નક્કી કર્યુ છેકે, બંધ દરમિયાન કોરોનાના દર્દીઓને મફતમાં હોસ્પિટલમાં પહોચાડાશે.
રીક્ષા ચાલકોને ગુલાબનું ફુલ આપી ગાંધીગીરી કરી બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવશે. જોકે, મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બીઆરટીએસ અને એએમટીએસને રાબેતા મુજબ દોડાવવા આયોજન કર્યુ છે. આમ, ભારત બંધના એલાનને પગલે સરકાર-ગુજરાત પોલીસ એલર્ટમાં મોડમાં આવી ગઇ છે.
બંધને સફળ બનાવવા કોંગ્રેસે બેઠક યોજી, ધારાસભ્યોને સૂચના અપાઇ
ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસે સમર્થન આપ્યુ છે. બંધને સફળ બનાવવા કોંગ્રેસ પ્રદેશ નેતાઓની એક બેઠક મળી હતી જેમાં ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં હાઇવે ચક્કાજામ કરવા, વિરોધ પ્રદર્શન કરવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત પોલીસ સાથે ઘર્ષણમાં ન ઉતરવા પણ કાર્યકરોને આદેશ કરાયો છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, બઁધના એલાનના પગલે સરકાર ફફડી ઉઠી છે. આ બંધને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. કૃષિ કાયદાનો કોંગ્રેસ પહેલેથી વિરોધ કરી રહ્યુ છે. મુખ્યમંત્રી બંધમાં જોડાય નહી તે માટે ટીવીના માધ્યમથી લોકોને ડરાવી રહ્યાં છે. બંધમાં લોકો સ્વૈચ્છિક રીતે જોડાય તે માટે અપીલ કરવામાં આવી છે. એનસીપીએ પણ બેધને ટેકો આપી કાર્યકરો ને બજારો બંધ કરાવવા સૂચના આપી છે. જિલ્લા મથકોેએ એનસીપીએ ભાજપની ઠાઠડી કાઢી વિરોધ કરવા નક્કી કર્યુ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ બંધને સમર્થન આપ્યુ છે. આમ આદમી પાર્ટીએ પણ બંધને સમર્થન આપી રાજ્યભરમાં દેખાવો કરવા આયોજન કર્યુ છે.
બંધના એલાન વચ્ચે આજે શિક્ષકો અને મેડિકલ સ્ટુડન્ટસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન
ખેડુતોના આંદોલનમાં આવતીકાલે 8મીએ ભારત બંધનું એલાન અપાયુ છે ત્યારે ભારત બંધ વચ્ચે આવતીકાલે 8મીએ પ્રાથમિક શિક્ષકો અને મેડિકલ સ્ટુડન્ટસ પણ તેમના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરશે. સરકાર સાથે તાજેતરમા મળેલી છેલ્લી બેઠકમાં પણ 4200 ગ્રેડ પે મુદ્દે કોઈ નિર્ણય ન આવતા સરકારે હજુ સુધી કોઈ અમલ ન કરતા રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો આવતીકાલે ગાંધીનગર ખાતે પ્રતિક ઉપવાસ પર બેસશે અને ધરણા કરશે. જ્યારે બીજી બાજુ રાજ્યની વિવિધ સરકારી,જીએમઈઆરએસ તથા ખાનગી મેડિકલ કોલેજો ખાતે મર્યાદિત સંખ્યામાં યુજી-પીજી મેડિકલ સ્ટુડન્ટસ આયુર્વેદિક ડોક્ટરોને સર્જરીની મંજૂરી મુદ્દે કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે તથા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lUtmOb
0 Response to "આજે ભારત બંધ : ગુજરાતમાં ખેડૂત સંગઠનોનો ટેકો, પોલીસ સ્ટેન્ડ ટુ"
Post a Comment