રાજકોટમાં મધરાત્રે એક સાથે પાંચ વાહનો સળગાવાતા દહેશત

રાજકોટમાં મધરાત્રે એક સાથે પાંચ વાહનો સળગાવાતા દહેશત


- સીસીટીવી અને બાતમીદારોની મદદથી કૃત્ય આચરનારાઓની શોધખોળ : એક શખ્સને પોલીસે ઉપાડયો, પરંતુ તેની સંડોવણી ન ખુલી

રાજકોટ, તા. 22 ડિસેમ્બર 2020, મંગળવાર


શહેરમાં અવારનવાર દારૂડિયા કે અસામાજીક તત્ત્વો દ્વારા રાતના સમયે એક સાથે વધુ વાહનોમાં તોડફોડ કે તેને આગ લગાડવાની ઘટનાઓ બહાર આવે છે. ગઈકાલે મધરાત્રે જિલ્લા ગાર્ડન પાસે બાપા સિતારામ ચોકમાં સ્લમ ક્વાર્ટરની બહાર પડેલા ચાર ટુ-વ્હીલર અને એક રીક્ષામાં આગ લગાડવાની ઘટનાથી વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગઈકાલે મધરાત્રે સ્લમ ક્વાર્ટર વિસ્તારમાં બે એક્ટિવા, બે બાઈક અને એક રીક્ષાને આગ લગાડી દેવાઈ હતી. જાણ થતાં વિસ્તારના રહીશોએ ઘરની બહાર નીકળી જોતા ભળભળ સળગતા વાહનો જોઈ ચોંકી ઊઠયા હતા. તત્કાળ તેમણે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. જો કે આ કૃત્ય કોણે કર્યું તેનો કોઈ પતો મળ્યો ન હતો. તત્કાળ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ભક્તિનગર પોલીસ દોડી ગઈ હતી અને પ્રાથમિક તપાસ કરી હતી. પરંતુ આગ કોણે લગાડી તેના વિશે કોઈ માહિતી મળી ન હતી. 

ઈમીટેશનની મજૂરી કરતા ઈમ્તીયાઝ ધાનાણીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મધરાત્રે ૩ઃ૩૦ વાગ્યાની આસપાસ ઘરની બહાર અવાજ આવતા તે તથા પરિવારના સભ્યો જાગી ગયા હતા. બહાર આવીને જોયું તો ઘર પાસે પાર્ક તેના એક્ટિવા સહિત બે વાહનો સળગતા હતા. પાડોશમાં રહેતા રફીકભાઈ મલેકના પણ બે ટુ-વ્હીલર સળગતા જોવા મળ્યા હતા. તેની નજીક નૌશાદભાઈની રીક્ષા પણ સળગતી હતી. પાડોશીઓએ ભેગા મળી પાણી છાંટી આગ બુઝાવી નાખી હતી. 

આગમાં લગભગ તમામ વાહનો સળગીને ખાખ થઈ ગયા હતા. સવારે ભક્તિનગર પોલીસે સ્થળ વિઝિટ કરી આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ નજરે પડયો હતો. જેથી તેની ઓળખ મેળવી પૂછપરછ કરતા તેની સંડોવણી બહાર આવી ન હતી. આ સ્થિતિમાં ખરેખર કોણે આગ લગાડી તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી. સંભવતઃ ત્રણ શખ્સોનું આ કૃત્ય હોવાનું પોલીસનું માનવું છે.

પોલીસે બાતમીદારો ઉપરાંત આસપાસના સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓનો પતો મેળવવા પ્રયાસો જારી રાખ્યા છે. તમામ વાહનોને તેમાં રહેલા પેટ્રોલથી જ સળગાવવામાં આવ્યાનું બહાર આવ્યું છે. જેના વાહનો સળગાવાયા તેમની પોલીસે પૂછપરછ કરતા તેમણે પોતાને કોઈની સાથે પણ તકરાર કે દુશ્મનાવટ હોવાનો ઈનકાર કર્યો છે. આ સ્થિતિમાં કોઈ ટીખ્ખળી તત્ત્વોએ આ કૃત્ય કર્યાની સંભાવના પોલીસ નકારતી નથી, આરોપી પકડાયા પછી જ આ કૃત્ય કરવા પાછળના હેતુ અંગે ખુલાસો થશે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mC1HlC

0 Response to "રાજકોટમાં મધરાત્રે એક સાથે પાંચ વાહનો સળગાવાતા દહેશત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel