
કોરોનાકાળમાં ઇન્ટર્નની હડતાલથી સિવિલની સેવાઓ પર 'આડઅસર'
ગાંધીનગર,તા.14 ડિસેમ્બર 2020, સોમવાર
સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની સાથે મહત્વની ત્રણ માંગણી સાથે સમગ્ર ગુજરાતના ઇન્ટર્ન ડોક્ટરોએ હડતાલનો માર્ગ અપનાવ્યો હતો. કોરોનાકાળમાં દર્દી અને મુખ્ય ડોક્ટરો વચ્ચે કડીરૂપ ૧૫૦ જેટલા ઇન્ટર્ન ડોક્ટરો જ હડતાલ પર ઉતરી જતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલની કોવિડ તથા નોનકોવિડ બન્ને સેવાઓ પ્રભાવિત થઇ હતી. હેલ્પડેસ્ક અને કંટ્રોલરૂમથી લઇને આઇસીસીયુ વિભાગ સુધીની મહત્વની જગ્યાએ ઇન્ટર્ન ડોક્ટરો સેવા આપતા હતા તેઓ આજે ગેરહાજર રહેતા આ તમામ જગ્યાએ હાજર ડોક્ટરોની કામગીરી લગભગ ત્રણ ગણી વધી ગઇ હતી.ત્યારે જ્યાં સુધી સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ વધારવા સહિતના ઇન્ટર્ન ડોક્ટરોના પ્રશ્નોનું નિરાકણર નહીં લાવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે તેવી ચિમકી પણ ઇન્ટર્નના સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
કોરોના કાળમાં રાતદિવસ મહેનત કરતાં તબીબોને કોરોના વોરિયર્સની રીતે જોવામાં આવે છે પરંતુ ગુજરાતમાં ઇન્ટર્ન તબીબોની હાલત અન્ય રાજ્ય કરતાં ખુબ જ કફોડી છે અન્ય રાજ્યમાં ૩૯ હજાર સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. જ્યારે વધારે કલાક કામ કરે તો તેને ઇન્સેન્ટીવ પણ આપવામાં આવે છે પરંતુ ગુજરાતમાં આ કોરોનાકાળમાં પણ ઇન્ટર્ન તબીબોને ૧૨૮૦૦ જેટલું વેતન મહિને આપવામાં આવે છે. જેની સામે ઇન્ટર્ન તબીબો દ્વારા આજથી હડતાલનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. આ તબીબો દ્વારા મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ અને ડીનને આવેદનપત્ર આપ્યંુ છે.
જેમાં સ્ટાઇપેન્ડ વધારીને ૨૦ હજાર સુધી કરવાની માંગણી કરવામાં આવી છે. જ્યારે કોવિડ ડયુટીમાં કામ કરનાર ઇન્ટર્ન તબીબોને પ્રોત્સાહિત કરવા પ્રતિદિન એક હજાર લેખે ઇન્સેન્ટીવ આપવા અને ઇન્ટર્ન તબીબો કે જેમને છેલ્લા નવ મહિનાથી કોરોનાકાળમાં ડયુટી કરી છે તેમને બોન્ડમુક્ત ગણવા માટે રજુઆત કરવામાં આવી છે. આ વિવિધ માંગણીઓને લઇને સમગ્ર ગુજરાતની મેડિકલ કોલેજની સાથે સાથે ગાંધીનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૧૫૦ જેટલા ઇન્ટર્ન તબીબો હડતાલમાં જોડાયાં હતાં.
કોરોના કાળમાં આ ૧૫૦ જેટલા તબીબો એક સાથે ગેરહાજર રહેતાં ગાંધીનગર સિવિલની કોવિડ અને નોનકોવિડ સેવાઓ ખુબ જ પ્રભાવીત થઇ હતી. હેલ્પડેસ્ક અને કંટ્રોલરૂમથી લઇને ઇન્ટર્ન તબીબોને પોઝિટિવ વોર્ડ , શંસ્કાસ્પદ દર્દીઓનો વોર્ડ, ક્રિટીકલ કોવિડ વોર્ડ તેમજ આઇસીયુમાં ફરજ સોંપવામાં આવી હતી. આ ઇન્ટર્ન ગેરહાજર રહેતાં આ તમામ જગ્યાએ ડોક્ટરોની અછત ઉડીને આંખે વળગતી હતી. ઇન્ટર્નની હડતાલને લઇને હાજર અન્ય ડોક્ટરોના માથે કામગીરી વધી ગઇ હતી. જેના કારણે આ ડોક્ટરો દર્દીઓને પુરતો સમય ફાળવી શકતાં ન હતાં.
એક બાજુ ઇન્ટર્ન તબીબોની આ મહત્વની ત્રણ માંગ પુર્ણ નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે તો બીજી બાજુ સરકાર પણ આ તબીબોને હડતાલના દિવસો દરમિયાન ગેરહાજર ગણશે અને તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વારંવારની રજુઆત બાદ અત્યારે જ્યારે કોવિડના કેસો ઘટયાં છે ત્યારે આખરે ઇન્ટર્ન તબીબોએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/349s0Jh
0 Response to "કોરોનાકાળમાં ઇન્ટર્નની હડતાલથી સિવિલની સેવાઓ પર 'આડઅસર'"
Post a Comment