
AMC ચૂંટણી : ભાજપ સક્રિય કાર્યકરોને જ ટિકિટ આપશે, ભ્રષ્ટાચારી કપાશે
અમદાવાદ, તા. 14 ડિસેમ્બર, 2020, સોમવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી જતાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ પોતપોતાની રીતે તૈયારીઓ કરવા માંડી છે. ભાજપની સંકલન સમિતિની મિટીંગ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગઇકાલે મોડીરાતના મેયર બંગલે યોજાઈ હતી.
જેમાં છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ભાજપ દ્વારા પાંચ વર્ષ દરમ્યાન ભાજપ દ્વારા અમદાવાદમાં થયેલાં વિકાસકામોના લેખા-જોખાની પુસ્તિકા બહાર પાડી લોકો સુધી વિગતો પહોંચાડવાનો નિર્ણય લેવાયો હતો. સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તૈયાર કરાવેલ પ્રેઝન્ટેશન પણ રજુ થયું હતું.
ઉપરાંત 2015ની ચૂંટણી સમયે પટેલ આંદોલનની અસર પરાકાષ્ઠાએ હતી. આ વખતે એવું કશું જ ના હોવાથી તમામ વોર્ડમાં ઉમેદવારની પસંદગી તટસ્થ રીતે કરવાની પ્રાથમિક ચર્ચા થઈ હતી.
આ સમીક્ષામાં ત્રણ મુદ્દા ઉપસી આવ્યા હતાં. (1) જ્ઞાાતિ જાતિથી ઉપર ઉઠીને ઉમેદવારના નામ નક્કી થશે. (2) પક્ષની અંદર જે કાર્યકરો સક્રીય હશે તેમને જ ટિકીટ મળશે. પેરાશૂટની જેમ ઉપસી આવતા અને વર્ષો જૂના કાર્યકર હોવા છતાં નિષ્ક્રિય રહેતા હોય તો તેમને ટિકીટ મળવાની સંભાવના નહિવત છે. (3) વર્તમાન કોર્પોરેટરોમાંથી જેમના નામો ક્યાંય પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાં હશે, તેમના પર કાતર ફરશે.
ઉપરાંત આ ચૂંટણીમાં બીજા પરિમાણો પણ ઉમેરાયા છે. (1) પ્રદેશનું નેતૃત્વ બદલાયું છે. જીતુભાઈ વાઘાણીના સ્થાને પ્રદેશ પ્રમુખ પદે સી.આર. પાટીલ છે. અને (2) નવા સિમાંકનના કારણે અનામત બેઠકો અને જ્ઞાાતિ-જાતિના સમિકરણો કેટલાંય વોર્ડમાં ફરી ગયા છે.
ભ્રષ્ટાચાર સામે પગલાંની ગુલબાંગો દર વખતે પોકારાય છે પણ છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન રોડ કૌભાંડ, આઇઓસીના ડામરના ખોટા બિલો, નગરી અને એલ.જી.નો અંધાપાકાંડ, નિકોલ ડિમોલીશનમાં 3 વેપારીના મૃત્યુ, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ, ઓઢવના આવાસો 14 જ વર્ષમાં પડી ગયા તેની કોઈ તપાસ પણ ના થઈ વગેરે બાબતોને કેન્દ્રમાં રાખીને વિપક્ષે વારંવાર પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલાં પુસ્તીકા પણ બહાર પાડી હતી. એટલે ''ભ્રષ્ટાચારની બાબતે ઝીરો ટોલરન્સ''એ ખરેખર મુદ્દો છે કે દેખાવ પૂરતો મુદ્દો છે તે, બાબત સમજી શકાતી નથી. જોકે આજે કમલમમાં નવનિયુક્ત ચૂંટણી ઇન્ચાર્જ અને પ્રવક્તાઓની મીટીંગ છે.
બીજી તરફ કોંગ્રેસે પણ આ વખતે ઝીણું કાંતવાનું શરૂ કર્યું છે, તેવા દાવા તેના આગેવાનો કરી રહ્યાં છે. મહાનગર પાલિકાની ચૂંટણી ઢંઢેરા પહેલાં બહાર પડશે અને તે એસી ઓફિસમાં બેસીને તૈયાર કરવાના બદલે લોકોની વચ્ચે જઈને, તેમની સમસ્યાનો અભ્યાસ કરીને, તેના ઉકેલ સાથે સાથે બહાર પડાશે. રાજીવ સાતવના રોકાણ દરમ્યાન ઘણું બધું પેપરવર્ક અને તૈયારીઓ થઈ ગયાનું તેઓ જણાવે છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gLnxlg
0 Response to "AMC ચૂંટણી : ભાજપ સક્રિય કાર્યકરોને જ ટિકિટ આપશે, ભ્રષ્ટાચારી કપાશે"
Post a Comment