
આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો : કુલ આંક 2000ને પાર
- જિલ્લામાં કુલ 146730 વ્યક્તિઓના ટેસ્ટિંગ કરાયા : 2099ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પુનઃ કોરોનાના કેસોમાં વધારો નોંધાતા તંત્રની ચિંતા વધવા પામી છે. ગત સપ્તાહ દરમ્યાન કોરોનાનો ગ્રાફ નીચે ગયા બાદ રવિવારના રોજથી પુનઃ સરેરાશ કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે.
તેમાંય ગઈકાલે જિલ્લાના આણંદ, ખંભાત અને બોરસદમાં કોરોનાનું સંક્રમણ વધતા નગરજનોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. જિલ્લામાં પુનઃ કોરોનાનું સંક્રમણ વધતા કુલ દર્દીઓનો આંક ૨૧૦૦ને પાર કરી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી આણંદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પ્રકોપ જારી રહેવા પામ્યો છે. તેમાંય હવે જિલ્લાના બોરસદ તેમજ ખંભાત તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસો નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે.
ગતરોજ આણંદ જિલ્લામાંથી કોરોનાના ૨૦ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં આણંદ પાસેના ચિખોદરા ગામેથી ૩ કેસ મળી આવ્યા હતા. સાથે સાથે આણંદ તાલુકાના બોરીઆવી, વડોદમાંથી ૧-૧ તથા બાકરોલ ખાતેથી ૨ કેસ મળી આવ્યા હતા. જ્યારે બોરસદ તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતા બોરસદના પામોલ, સીસ્વા, વાસણા, ગુલેલ, ભાટીયેલ, ભાદરણ તેમજ બોરસદ શહેર ખાતેથી પણ કોરોનાના કેસ નોંધાયા હતા. બીજી તરફ જિલ્લાના હોટસ્પોટ બની ચુકેલ ખંભાત તાલુકામાં પણ હવે કોરોનાએ પુનઃ માથુ ઉચક્યું છે અને ગતરોજ ખંભાત તાલુકાના કંસારી, ખંભાતની કડીયાની ખડકી, સુથારવાડો ખાતેથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. ઉપરાંત સોજિત્રાના મલાતજ તેમજ આંકલાવના બામણગામ ખાતેથી પણ કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા હતા.
જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ બુધવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૪૬૭૩૦ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૨૦૯૯ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૮૭ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૧૦ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૭૭ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wo6X1B
0 Response to "આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો : કુલ આંક 2000ને પાર"
Post a Comment