
સમુદ્રના ખારા પાણીને મીઠુ પાણી બનાવવાના 100 એમ.એલ.ડી. પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે થનારૂ ખાતમુહૂર્ત
ભૂજ, તા. 12 ડિસેમ્બર 2020, શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી આગામી તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે ખારા પાણી ને મીઠુ પાણી બનાવવાના ૧૦૦ એમ.એલ.ડી. ડીસેલીનેશન પ્લાન્ટનું ડીજીટલ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
રાજયના ૧૬૦૦ કી.મી.ના દરિયાઇ જળરાશીનો ઉપયોગ કરીને ખારા પાણીને મીઠુ પાણી બનાવવા સ્થાનિક જરૂરીયાત મુજબ વિવિધ સ્થળોએ ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા અને એક માત્ર નર્મદા યોજના પર અવલંબિત ન રહેતા ચાર સ્થળોએ આવા પ્લાન્ટસ સ્થાપવા માટે સરકાર દ્વારા નિર્ણય કરાયો હોવાનું કચ્છના પાણી પૂરવઠા વિભાગના મુખ્ય ઇજનેર એ.જી.વનરાએ જણાવ્યું છે.
ગુંદીયાળી ગામે સ્થપાનાર આ પ્લાન્ટમાંથી રોજનું ૧૦ કરોડ લીટર પાણી પ્રવર્તમાન પાણી પૂરવઠા ગ્રીડ નેટર્વક સાથે જોડી માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણાના ૩૦૦થી વધુ ગામો-શહેરી વિસ્તારોની અંદાજે ૮ લાખની જનતાને પાઇપલાઇન દ્વારા પાણી આપી શકાશે. આ પ્લાન્ટ માટે પંપહાઉસ, પાઇપલાઇન ઇલેકટ્રીક અને મિકેનીકલના આનુસંગીક કામો ઉપરાંત ૫૦ એમ.એલ. ભૂગર્ભ સંપનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુંદીયાળીનો પ્લાન્ટ ફેબુ્રઆરી ૨૦૨૩માં પૂર્ણ થશે. આ વિસ્તારની જળ સલામતીમાં વધારો થતા ભચાઉ અને રાપર વિસ્તારને નર્મદાનું વધારાનું પાણી ફાળવી શકાશે તેમ પણઉમેર્યું હતું.
0 Response to "સમુદ્રના ખારા પાણીને મીઠુ પાણી બનાવવાના 100 એમ.એલ.ડી. પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે થનારૂ ખાતમુહૂર્ત"
Post a Comment