જિલ્લામાં કિલર કોરોનાએ એક જ દિવસમાં ચાર દર્દીઓનો ભોગ લેતા ફફડાટ ફેલાયો

જિલ્લામાં કિલર કોરોનાએ એક જ દિવસમાં ચાર દર્દીઓનો ભોગ લેતા ફફડાટ ફેલાયો


સુરેન્દ્રનગર, તા.30 નવેમ્બર 2020, સોમવાર

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દિવાળીના તહેવાર બાદ ફરી કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે ત્યારે જિલ્લામાં બીજી બાજુ કોરોનાથી મોતની સંખ્યા અન્ય જિલ્લાઓ કરતાં સૌથી વધુ જોવા મળી રહી છે જે સરકાર સહિત તંત્ર માટે ખુબ જ ચીંતાનો વિષય બન્યો છે. જેમાં તા.૩૦ નવેમ્બરના રોજ એક જ દિવસમાં જિલ્લામાં કોરોનાથી ૪ ના મોત નીપજ્યાં હતાં.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં ગત માર્ચ-૨૦૨૦થી કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે અને શરૂઆતના એક-બે મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ કોરોના વાયરસનો પોઝીટીવ કેસ નોંધાયો નહોતો. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે કોરોના વાયરસનું સંક્રમણ શહેરી વિસ્તારો સહિત સમગ્ર જિલ્લામાં વધ્યું હતું અને હાલ ૯ મહિનાના અંતે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક અંદાજે ૩૧૦૦ને પાર પહોંચી ચુક્યો છે ત્યારે દિવાળીના તહેવાર બાદ હજુ પણ જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી ગયાં છે ત્યારે બીજી બાજુ અન્ય જિલ્લાની સરખામણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાથી મોતનો આંક પણ ચીંતાજનક રીતે વધી ગયો છે.

દરરોજ જિલ્લામાં સરેરાશ અંદાજે ૩થી વધુ વ્યક્તિઓના કોરોનાથી મોત જઈ રહ્યાં છે જેના કારણે શહેરીજનો સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ કોરોના પ્રત્યે ડર જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાથી ૪ ના મોત નીપજ્યાં હતાં જેમાં સુરેન્દ્રનગર ખાતે રહેતા એક પુરૂષ, સુરેન્દ્રનગર ખાતે રહેતી એક મહિલા, સુરેન્દ્રનગરના રતપર ખાતે રહેતા એક પુરૂષ અને પાટડીના એક પુરૂષનો સમાવેશ થાય છે.

આ તમામ મૃતકોની શહેરના મુખ્ય સ્મશાન ગૃહ ખાતે કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉનના શરૂઆતના તબક્કામાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવામાં આવતું હતું અને લોકોમાં પણ કોરોના પ્રત્યે ગંભીરતા જોવા મળતી હતી પરંતુ ધીરે ધીરે તંત્ર દ્વારા ઢીલી નીતી રાખવામાં આવતાં ફરી કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. 

શહેરની બજારો સહિત જિલ્લાની સરકારી કચેરીઓમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ વગર ફરતાં જણાઈ આવે છે છતાં તેઓની સામે કોઈ જ પગલા લેવામાં આવતાં ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે બીજી બાજુ પોલીસ વિભાગ દ્વારા દુકાનદારો સહિત વાહનચાલકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂા.૧૦૦૦નો કડકાઈથી દંડ વસુલવામાં આવી રહ્યો છે. આમ રાજ્ય સરકાર સહિત સ્થાનિક વહિવટી તંત્રની બેદરકારીના કારણે જિલ્લામાં ફરી કોરોના વાયરસનું સંક્રમણ વધતાં લોકોમાં ચીંતા જોવા મળી રહી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37jJqUE

0 Response to "જિલ્લામાં કિલર કોરોનાએ એક જ દિવસમાં ચાર દર્દીઓનો ભોગ લેતા ફફડાટ ફેલાયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel