કોરોના + ઠંડી : દેશી ઓસડિયાં, ઔષધોનો ઊપાડ 30 ટકા વધ્યો

કોરોના + ઠંડી : દેશી ઓસડિયાં, ઔષધોનો ઊપાડ 30 ટકા વધ્યો


રાજકોટ, તા.30 નવેમ્બર 2020, સોમવાર

કોરોના કાળમાં આયુર્વેદની બોલબાલા તો ગત માર્ચ મહિનાથી વધેલી છે જ. વચ્ચે દિવાળી પૂર્વે કેસોની સંખ્યા ઘટી ત્યારે ઉકાળા અને ઔષધિય કરિયાણાં સહિતના ઘરગથ્થુ ઉપાય પ્રત્યે પણ લાપરવાહી આવી ગઈ હતી પરંતુ તહેવારો પછી સંક્રમણ અને ઠંડીનું પ્રમાણ વધતાં ફરી એક વાર દેશી ઓસડિયાં - ઔષધોનું ચલણ એકાએક વધી ગયું છે. રાજકોટમાં તેનો ઉપાડ એકંદરે ત્રીસે'ક ટકા વધ્યાનું જણાયું છે, કેમ કે લોકો કોવિડ-૧૯ જેવી ઉપાધિ આવી પડતી રોકવા વધુ જાગૃત બન્યા છે. 

એક વાર કોરોના સંક્રમિત બની ગયા પછી ઉપચાર કરવો તેનાં કરતાં થાય જ નહીં એ માટે ઈમ્યુનિટી વધારવાની સજાગતા રાખવી સારી એવી માનસિકતાને લીધે દેશી ઓસડિયાં વેંચતી દુકાનો પર રોજ સોશ્યલ ડિસ્ટન્સિંગના કુંગાળા વચ્ચે કતારો લાગે છે. તુલસી, હળદર, આદુ અથવા સૂંઠ અને લીંબુયુક્ત ઉકાળામાં હવે ઠંડીની સીઝનમાં કાળા મરી, તજ વગેરે ઉમેરાય છે. ઈસ્માઈલ ગાંધી નામના ઓસડિયાંના જાણકાર કહે છે કે, બે મહિનાના અંતરાલ બાદ હવે શક્તિવર્ધક ઔષધ ઓસડિયાં માટે લાવ-લાવ થવા લાગી છે.

અત્યારે આમળા, લીંડી પીપર, કળું કળિયાતું, અરડૂસી, પીપરીમૂળ, કાળીજીરી વગેરે તરફ નવી પેઢીનો પણ ઝોક વધ્યો છે. છોટા ઉદેપુર, અમદાવાદ, દિલ્હી, અમૃતસરથી રો-મટિરિયલની આવકો ચાલુ છે. અલબત્, તાસીર ગરમ હોય તો અતિરેક ન થઈ જાય એ જોવું જોઈએ અને એવા કિસ્સામાં અઠવાડીયે બે વાર જ આવા ઓસડિયાં - ઔષધનું સેવન સીમિત રાખવું જોઈએ.

રાજકોટ - સૌરાષ્ટ્રમાં હવે નાડી વૈદ્યો તો જૂજ રહ્યાં હોવાથી અને એમબીબીએસ - એમડી તબીબોને ત્યાં ભીડ રહેતી હોવાથી નાની - નાની તકલીફો ઊભી થાય ત્યારે વૈદ્યરાજોનો આશરો લેવાય છે. વૈદ્યો મોટેભાગે સાઈડ ઈફેકટ વિનાંનાં અને ઘરગથ્થુ ઉપચાર જ સૂચવે છે. છાતીથી ઊપરની વ્યાધિ કફ, તેથી નીચે પેટ તરફ પીત્ત અને જંઘાથી નીચેની તકલીફ વાયુની એ સૂત્ર મુજબ કોરોનાને કફ સંબંધિત ગણાવી સૂંઠ-મરી- પીપરીમૂળ (ત્રિકટૂ) સૂચવાય છે. રાજકોટનાં એક નેચરોપથ ઉમેરે છે, 'ગળો, સુદર્શન રોજીંદા લઈ શકાય, ઉપરાંત સૂકી ઉધરસમાં જેઠી મધ પણ કારગત નિવડે. શિયાળામાં ચ્યવનપ્રાશ લેવાથી ઘણી તકલીફો ટળી શકે. આમળા એક જ એવું ફળ છે, જે દૂધ સાથે પણ લઈ શકાય છે.'

શિયાળો જામતાં અડદિયા માટે ગુંદ, કાટલું બનાવવાની સામગ્રી અશ્વગંધા શતાવરીનો પણ ઉપાડ વધ્યો છે. શરીર સીઝન ચેન્જ સહન કરી લે તો ફલ્યુ - ન્યુમોનિયા કે કોવિડની પણ શક્યતા ઘટી જાય. દેશી ભાષામાં સસણી કે ભરણી જેવા શબ્દો પણ શરદી- શળેખમની તીવ્રતા મુજબ વપરાય છે. રાજકોટ આયુર્વેદસભાનાં સદસ્ય એવા એક આયુર્વેદાચાર્યએ જણાવ્યું કે, નાક-કાન - ગળું અને છાતીનો ભાગ ઠંડો પડતાં શ્વાસ લેવામાં તકલીફ પડે એવું કોવિડ-૧૯માં પણ બનતું હોવાથી શ્વસન તંત્રને ગરમ રાખવું જરૂરી છે. આમળા- અશ્વગંધા આમાં નેચરલ સ્ટીરોઈડનું કામ કરે. ઉપરાંત, તુલસી- અરડુસી - આદુનો કાવો, કાન-નાક પાસે બામ લગાડવું, નીલગીરી કે કેમ્ફોર યા મેન્થોલનો બાફ લેવો સલાહભર્યું છે.

કફ વધવાના દિવસોમાં શરીર 'સીઝન ચેન્જ' સહન કરી શકે એવો આહાર જરૂરી

નાડીવૈદ્યો તો હવે જૂજ રહ્યા, આયુર્વેદાચાર્યો અને નેચરોપથ ઉપરાંત દેશી દવાના જાણકારોની લેવાતી મદદ

ખોરાક, પાણી અને આસપાસના વાતાવરણમાં'ય ગરમી જરૂરી

વૈદ્યો કહે છે કે હાલના દિવસોમાં ગરમ ખોરાક અને તેમાં પણ મગ-દાળ - શાકમાં તજ- લવિંગ - તીખાં- તમાલપત્ર જેવા તેજાનાનો ઉપયોગ વધારવો હિતાવહ છે. દિવસમાં એકાદવાર સૂપ પીવો જોઈએ. ગરમ પાણી પણ જરૂરી છે. ઉપરાંત, આસપાસનું વાતાવરણ ગરમ રાખવા ટયૂબલાઈટને બદલે પીળો લેમ્પ વાપરવો અને રૂમમાં સૂર્યપ્રકાશ આવવા દેવો, જેનાથી  ભેજવાળી જગ્યાએથી જીવાત - ફૂગ - બેકટેરિયા કે વાયરસનો નાશ થાય. આ સિવાય, નેચરલ ફયુમિગેશન માટે દિવસમાં બે વખત લીમડાના પાન અથવા ગૂગળ કે લોબાનનો ધૂપ કરવો જોઈએ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36ouqpd

0 Response to "કોરોના + ઠંડી : દેશી ઓસડિયાં, ઔષધોનો ઊપાડ 30 ટકા વધ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel