
ધંધુકા અને ધોળકા સહિતના તાલુકાઓ કોરોનાના ભરડામાં
ધંધુકા,તા.23 નવેમ્બર 2020, સોમવાર
ધંધુકા અને ધોળકા તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના અન્ય તાલુકાના કોરોના પોઝીટીવ કેસના આંકડા અમદાવાદ જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા છુપાવવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના અગ્રણી દ્વારા કરવામાં આવ્યો છે. જયારે સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જિલ્લામાં રોજના ૧૦૦ જેટલા પોઝીટીવ કેસ સામે ૨૦ કેસનો આંકડો જાહેર કરાય છે.
અમદાવાદ જિલ્લામાં દિવાળી બાદ કોરોનાના પોઝીટીવ કેસમાં મોટો વધારો થયો છે. પરંતુ અમદાવાદ જિલ્લા પંચાયતનું આરોગ્ય ખાતુ કોરોનાના ૧૦૦ કેસ આવતા હોવા છતા તેની સામે ૨૦ કેસ બતાવી નાગરિકોને અંધારામાં રાખતા હોવાનો અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યોએ ગંભીર આક્ષેપ કર્યો હોવાના અહેવાલો મળ્યા છે.
વૈશ્વિક અને જિલ્લા કક્ષાએ સારી કામગીરી બાવવા માટે અમદાવાદ જિલ્લાના નાગરીકોનો ભોગ લેવાઈ રહ્યો હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. અમદાવાદ જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીના વડપણ હેઠળ જિલ્લાનું આરોગ્ય તંત્ર કોરોનાના સાચા આંકડા રાજય સરકારના ઈશારે ન દર્શાવી ખોટા આંકડા દર્શાવતા હોવાનુ તેઓએ ઉમેર્યુ હતુ.
આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીંગની કામગીરી પણ ઘટાડી દીધી હોવાનો આક્ષેપ પણ જિ.પં.ના ડેલીગેટોએ કર્યો હતો.જિલ્લાના તાલુકાઓમાં ટેસ્ટીંગ માટે વધુ સુવિધા ઉભી કરાય તેવી રજુઆત પણ કરી હતી.પરંતુ દિવાળીના તહેવારમાં વ્યસ્ત સરકારના આરોગ્ય અધિકારીઓ લાપરવાહી દાખવતા નાગરિકોને ટેસ્ટીંગ માટે જિલ્લા કક્ષાએ આવવુ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
આરોગ્ય સ્ટાફની લાપરવાહી
દિવાળીના તહેવારમાં તાલુકા કક્ષાએ પી.એચ.સી.માં કોઈ તબીબો હાજર ન હતા, તેમજ તેઓ હેડ કવાર્ટરમાં પણ ન હતા.જિલ્લા કન્ટ્રોલ રૂમમાં પણ કોઈ ફોન ઉપાડતુ જ ન હતુ. તેમ છતા જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગેરહાજર તબીબો અને સ્ટાફ સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. તેથી અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણએ આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J2i8ts
0 Response to "ધંધુકા અને ધોળકા સહિતના તાલુકાઓ કોરોનાના ભરડામાં"
Post a Comment