
સુરત: ધિરાણની રકમ પરત મેળવ્યા બાદ વધુ 6 લાખની માંગણી કરનાર ફાઇનાન્સર વિરૂધ્ધ ફરિયાદ
સુરત, તા. 01 ડિસેમ્બર 2020 મંગળવાર
ઉધના વિસ્તારમાં રહેતી પરિણીતાએ 3 ટકાના દરે વ્યાજે લીધેલા 3 લાખની સામે એટીએમ કાર્ડની મદદથી ટુકડે-ટુકડે 6.50 લાખ લઇ લીધા બાદ પણ ધાક-ધમકી આપી વધુ 6 લાખની માંગણી કરનાર સગરામપુરાના ફાઇનાન્સર વિરૂધ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
ઉધના ઝોન ઓફિસની બાજુમાં સત્યનગરની સામે સુમન આવાસમાં રહેતા હર્ષીદાબેન સુરેશ સોલંકી (ઉ.વ. 39) એ વર્ષ 2017માં સગરામપુરા મલેકવાડી ખાતે ઓફિસ ધરાવતા ફાઇનાન્સર કિરણ લક્ષ્મણ બારૈયા પાસેથી 3 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયા લીધા હતા.
વ્યાજે રૂપિયા લેતી વખતે હર્ષીદાબેન પાસે કિરણ બારૈયાએ લખાણ કરાવ્યું હતું. 3 ટકાના વ્યાજ દરે લીધેલા 3 લાખની સામે કિરણે ટુક્ડે-ટુક્ડે હર્ષીદાબેનના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી ફાઇનાન્સર કિરણે 6.50 લાખ ઉપાડી લીધા હતા. જેથી હર્ષીદાબેને વ્યાજે રૂપિયા લેતી વખતે જે લખાણ કર્યુ હતું તે પરત આપવા માટે ફાઇનાન્સરને વારંવાર કહ્યું હતું. પરંતુ કિરણ લખાણ પરત આપવા માટે વાયદા પર વાયદા કરતો હતો અને ખોટો કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વધુ 6 લાખની માંગણી કરી હર્ષીદાબેનના પતિ સુરેશ બાબુભાઇ સોલંકીને માર માર્યો હતો. જેથી છેવટે હર્ષીદાબેને ફાઇનાન્સર કિરણ બારૈયા વિરૂધ્ધ માર મારવા અને ગુજરાત નાંણા ધીરાણ એક્ટ હેઠળ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lrDFce
0 Response to "સુરત: ધિરાણની રકમ પરત મેળવ્યા બાદ વધુ 6 લાખની માંગણી કરનાર ફાઇનાન્સર વિરૂધ્ધ ફરિયાદ"
Post a Comment