
હા..શ, હવે ત્રણ દિવસમાં રાજ્યમાં ચોમાસાની વિદાય
- બંગાળની ખાડીમાં ફરી વેલમાર્કડ લો પ્રેસર સર્જાયું! હવે ગુજરાતને અસર નહીં
- તા.૬ ઓક્ટોબરથી પોરબંદર-વલ્લભ વિદ્યાનગર પાસે જ અટકેલી 'વર્ષાઋતુ વિદાય રેખા' ૧૫ દિવસે આગળ વધી
રાજકોટ, તા. 21 ઓક્ટોબર 2020, બુધવાર
રાજ્યમાં ચાર માસનું ચોમાસુ પાંચ માસ સુધી ચાલ્યું ગત પખવાડિયામાં ખેડૂતોના પરસેવા પર પાણી ફેરવી દેનાર પાછોતરા ભારે વરસાદ બાદ અંતે હવે મેઘરાજા ગુજરાતને આવજો કહેવાના મુડમાં આવ્યા છે. અર્ધા ગુજરાતમાં ચોમાસાની અટકી ગયેલી વિદાયનો આરંભ પખવાડિયા બાદ આજે શરુ થયો છે અને દેશના અન્ય રાજ્યોમાંથી નૈઋત્યનું ચોમાસુ પાછુ ખેંચાયાનું હવામાન ખાતાએ જાહેર કર્યું છે.
કેરલથી પ્રવેશતું અને ગુજરાત-રાજસ્થાનથી વિદાય લેતુ ચોમાસુ જેટલા વિસ્તારમાં પાછુ ખેંચાય ત્યાં સુધીના વિસ્તારને જોડતી વિથડ્રોઅલ લાઈન (વર્ષાઋતુ વિદાય રેખા) તા.૬ ઓક્ટોબરથી આજ તા.૨૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગરથી પોરબંદર સુધીની છે, અર્થાત્ તેની ઉત્તરે આવેલા વિસ્તારો એટલે કે અર્ધા ગુજરાતમાં ચોમાસુ પાછુ ખેંચાયું છે, આઈ.એમ.ડી. અનુસાર આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ચોમાસુ પાછુ ખેંચાશે.આવતીકાલે છૂટાછવાયા વરસાદની જ્યારે શુક્રવારથી રાજ્યમાં સુકુ હવામાન રહેવા આગાહી કરાઈ છે.
આજે નૈઋત્યનું ચોમાસુ ઉત્તરપ્રદેશ, બિહાર તથા છત્તીસગઢ, સિક્કીમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડના ઉત્તર તરફના વિસ્તારોમાંથી પરત ખેંચાયું છે.
ગુજરાતમાંથી ચોમાસુ પૂરું થવાની સામાન્ય તારીખ અગાઉ કરતા દિવસો વધારીને ૨૫ સપ્ટેમ્બર જાહેર કરાયેલી છે, તે સામે ૧૧ દિવસ મોડુ તા.૬ ઓક્ટોબરથી ચોમાસુ પાછુ ખેંચાવાનું શરુ થયું અને ૧૫ દિવસ ફરી ઢીલમાં મુકાયું, આમ, આશરે એક મહિનો વધુ મેઘરાજાનું રોકાણ થયું છે. સંભવતઃ આ ચોમાસુ તાજેતરના ઈતિહાસનું સૌથી લાંબુ ચોમાસુ બનશે.
ચોમાસાની વિદાય દેશભરમાં પખવાડિયુ વિલંબમાં નાંખનાર બંગાળની ખાડીનું ડીપ્રેસન દરિયામાં હજુ માંડ સમાયું ત્યાં આ ખાડીમાં ફરી લો પ્રેસર શક્તિશાળી બનીને વેલમાર્કડ લો પ્રેસરમાં ફેરવાયું છે અને હવે તે ડીપ્રેસનમાં ફેરવાય તેવી શક્યતા છે, જો કે આ સીસ્ટમની ગુજરાત પર નહીવત્ અસર થવાની ધારણા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ofivAU
0 Response to "હા..શ, હવે ત્રણ દિવસમાં રાજ્યમાં ચોમાસાની વિદાય"
Post a Comment