
દેશનું વિભાજન કરતી તાકાતો સામે સતર્ક થવું પડશે : વડાપ્રધાન
સરદાર જયંતીએ સરદાર પટેલને વડાપ્રધાને કેવડિયા કોલોની ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
રાજપીપળા, તા. 31 ઓક્ટોબર, 2020, શનિવાર
ભારતે આતંકવાદની સૌથી વધુ પીડા ભોગવી છે અને આતંકવાદ સામે લડતા અનેક વીર જવાનો અને નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આપણે દુનિયાને સર્વે ભવંતું સુખીન: અને વસુધૈવ કુટુંમ્બકમ ના સંદેશાઓ આપ્યા છે જ્યારે ભારતને તોડી વિભાજન કરવાની તાકાત દેશમાં પ્રવૃત્ત થઇ છે જેનાથી સતર્ક બનવું પડશે તેમ વડાપ્રધાન મોદીએ આજે કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે સુરક્ષા દળોની આજની પરેડ જોઇને પુલવામા હુમલાની યાદ તાજી થાય છે. આ સમયે જ્યારે દેશ દુ:ખમાં હતો ત્યારે પણ કેટલાક રાજકારણીઓ પોતાના સ્વાર્થને સાધવામાં પડયા હતા અને પુલવામા હુમલા વિષે બેફામ નિવેદનબાજી કરતા હતાં.
તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે આ પ્રકારના હીન આક્ષેપો તથા ભદ્દી માનસિકતા ધરાવતા લોકોને તાજેતરમાં લપડાક વાગી જ્યારે પાડોશી દેશની સંસદમાં પુલવામાં હુમલા અંગેના ખુલાસાઓ થયા.
વડાપ્રધાને કહ્યું હતું કે હું આવા રાજકીય દળોને કહેવા માંગું છું કે દેશહિત અને સુરક્ષા દળોના મનોબળને તોડી પાડતા દેશ વિરોધી તત્વો માટે થતી રાજનીતિ માત્ર દેશવિરોધી તાકાતને મ્હોરા બનાવશે જે પક્ષ કે દેશના હિતથી વિપરીત હશે.
આતંકવાદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે વૈશ્વિક આતંકવાદ સામે આજે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં આતંકવાદ સામે શાંતિ અને માનવતાના ઉપાસકોએ એકજૂટ થવું જોઇએ દેશમાં શાંતિ-ભાઇચારો તથા સદભાવના જ આતંકવાદનો મુકાબલો કરી શકે તેમ છે.
સરદાર વલ્લભભાઇને શ્રધ્ધાજલિ અર્પતા વડાપ્રધાને જણાવ્યું હતું કે આજનું ભારત તેના સાર્વભૌૈમત્વ અને સન્માનની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આજે ભારતની ધરતી પર નજર નાખનારાઓને યોગ્ય જવાબ મળી રહ્યો છે. કોરોના સામેની લડતનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે ભારતે જે રીતે તાકાત અને ઇચ્છાશક્તિથી સામનો કરીને જે લડત આપી છે તે અભૂતપૂર્વ છે. તેમણે કોરોના વોરિયર્સને યાદ કરી તેમના બલિદાનના ઇતિહાસને આ દેશ ક્યારેય ભૂલશે નહી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GgZL2T
0 Response to "દેશનું વિભાજન કરતી તાકાતો સામે સતર્ક થવું પડશે : વડાપ્રધાન"
Post a Comment