
ગુજરાત ભાજપના ભિષ્મ પિતામહ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું 92 વર્ષે અવસાન
ગાંધીનગર, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર
ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 9ર વર્ષની વયે આજે સવારે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારે તેમના પાર્થિવ દેહને ગાંધીનગરના સે-19 સ્થિત બંગલા ઉપર લવાયો હતો અને જયાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજયપાલ સહિત ભાજપના નેતાઓએ પુષ્પાંજલિ આપી હતી.
જયાંથી સાંજે તેમની સ્મશાનયાત્રા સંપૂર્ણ રાજકીય સન્માન સાથે નીકળી હતી. જે સે-30 સ્થિત મુક્તિધામ ખાતે પહોંચી હતી. પરિવારજનો અને કાર્યકરોની અશ્રૂભીની આંખો વચ્ચે ગાર્ડ ઓફ ઓનર આપી તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.
ગુજરાતમાં એક સમયે ભાજપના કાર્યકરોને પોલીંગ બુથ ઉપર બેસવું પણ મુશ્કેલ બનતું હતું તે સમયે જનસંઘમાંથી ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા બનેલા કેશુભાઈ પટેલે ગુજરાતમાં ભાજપને સત્તાનો સ્વાદ ચખાડયો હતો. ભાજપના ભીષ્મ પિતામહ કહેવાતાં કેશુભાઈ પટેલનો દસ દિવસ અગાઉ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જયાંથી તેમને રજા આપવામાં આવતાં સે-19 નિવાસસ્થાને આરામ કરતાં હતા પરંતુ આજે અચાનક જ તેમની તબિયત લથડતાં શ્વાસ લેવાની તકલીફ પડતાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ તેમણે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધો હતો. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા એવા કેશુબાપાના નિધનના સમાચારથી ભાજપ કાર્યકરોથી માંડી ગુજરાતના સામાન્ય લોકો પણ દુખની લાગણી અનુભવતાં હતા.
આજે બપોરના સમયે તેમના પાર્થિવ દેહને અમદાવાદની હોસ્પિટલથી ગાંધીનગર તેમના નિવાસસ્થાને લવાયો હતો. જયાં રાજયપાલ દેવવ્રત આચાર્ય તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મંત્રીઓ અને મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિત કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મહાનુભાવોએ કેશુભાઈના પુત્ર ભરતભાઈ તેમજ પરિવારના સભ્યોને સાંત્વના પણ પાઠવી હતી. સાંજે પાંચ કલાકે તેમના પાર્થિવ દેહને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તિરંગામાં લપેટીને સે-30 સ્થિત મુક્તિધામમાં લવાયો હતો. અહીં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. બાદમાં તેમના પાર્થિવ દેહને સીએનજી ચીતા ઉપર અંતિમ વિદાય આપવામાં આવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mMLTNx
0 Response to "ગુજરાત ભાજપના ભિષ્મ પિતામહ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું 92 વર્ષે અવસાન"
Post a Comment