
સામાજિક સંસ્થાઓ-ઘેર સારવાર લેતા દર્દીઓને ઓક્સિજન રિફિલિંગ કરવા દો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં સામાજીક સંસ્થા દ્વારા કોરોના દર્દીઓને ઓક્સીજનની જરૂરીયાતને ધ્યાને લઈ ઓક્સીજન સીલીન્ડર મારફતે ઓક્સીજનની સેવા પુરી પાડવામાં આવી રહી છે તેમજ ઘરે સારવાર લઈ રહેલ સક્ષમ દર્દીઓ પોતાના સ્વખર્ચે ઓક્સીજન સીલીન્ડર વસાવી તેનું રીફીલીંગ કરાવી સારવાર લઈ રહ્યાં છે ત્યારે સરકાર દ્વારા સામાજીક સંસ્થાઓ સહિત ઘરે સારવાર માટે રીફીલીંગ પર રાજ્ય સરકારની સુચના મુજબ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સામાજીક કાર્યકરો, આગેવાનો અને વેપારીઓ મોડી રાત્રે જીલ્લા કલેકટરના નિવાસ સ્થાને ઉમટી પડયાં હતાં અને રજુઆતો કરી હતી જેના ભાગરૂપે ફરી રાબેતા મુજબનું ઓક્સીજન રીફીલીંગની મંજુરી આપવામાં આવી હતી અને મામલો થાળે પડયો હતો.
આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને લઈ જીલ્લાની મુખ્ય સરકારી તેમજ અલગ-અલગ તાલુકાઓમાં આવેલ સરકારી તેમજ ખાનગી હોસ્પીટલોમાં બેડની સંખ્યા ફુલ થઈ જતાં અનેક દર્દીઓને હાલાકી પડી રહી છે તેમજ મોટાભાગે જે દર્દીઓ સક્ષમ હોય તેઓ ઘરે આઈસોલેશન થઈ સારવાર લઈ રહ્યાં છે જ્યારે અનેક કોરોના દર્દીઓને ઘરે તેમજ સામાજીક સંસ્થાઓ દ્વારા ઓક્સીજન સીલીન્ડર દ્વારા ઓક્સીજન પુરો પાડવામાં આવી રહ્યો છે. પરંતુ તાજેતરમાં રાજ્ય સરકારની સુચના મુજબ સામાજીક સંસ્થાઓ સહિત ઘરે ઓક્સીજન સીલીન્ડર રીફીલીંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ સીલીન્ડરના રીફીલીંગ બંધ કરવામાં આવતાં અનેક દર્દીઓને હાલાકી પડી હતી અને ઓક્સીજનના અભાવે અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા ત્યારે અચાનક આ નિર્ણયથી શહેરીજનો સહિત દર્દીઓના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો અને તંત્ર દ્વારા આ નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ આ મામલે સામાજીક કાર્યકરો સહિત વેપારીઓ અને આગેવાનો મોડી રાત્રે જીલ્લા કલેકટર કે.રાજેશના નિવાસ સ્થાને રજુઆત અર્થે પહોંચ્યા હતાં અને રાબેતા મુજબ ઓક્સીજન રીફીલીંગની રજુઆત કરી હતી. જેમાં ભારે ચર્ચા વિચારણા બાદ દર્દીઓના હિતને ધ્યાને લઈ જીલ્લા કલેકટર દ્વારા સામાજીક સંસ્થાઓ સહિત ઘરે સારવાર લઈ રહેલ દર્દીઓ માટે ઓક્સીજન રીફીલીંગ રાબેતા મુજબ શરૂ રાખવાની મંજુરી આપતાં મામલો થાળે પડયો હતો.
આ તકે આગેવાનો કિશોરસિંહ ઝાલા, રશ્મીનભાઈ મહેતા, ધર્મેન્દ્રભાઈ સંઘવી, ચંદ્રેશભાઈ પટેલ સહિતના આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં કોરોના દર્દીઓ સરકારી તેમજ ખાનગી કોવીડ હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યાં છે અને સારવાર લઈ રહેલ દર્દીઓની ઓક્સીજનની જરૂરીયાતને ધ્યાને લઈ સામાજીક સંસ્થાઓ સહિત ઘરે સારવાર લઈ રહેલ સક્ષમ દર્દીઓ ઓક્સીજન સીલીન્ડર રીફીલ કરી ઓક્સીજન મેળવી રહ્યાં હતાં પરંતુ સરકારના નિર્ણય સામે રોષ જોવા મળ્યો હતો અને ફરી રાબેતા મુજબ સામાજીક સંસ્થાઓ સહિત ઘરે સારવાર લઈ રહેલ દર્દીઓ માટે ઓક્સીજન સીલીન્ડરના રીફીલીંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ જાગૃત આગેવાનો અને પ્રજાજનોની રજુઆતને પગલે તંત્ર દ્વારા આ નિર્ણય પરત ખેચી ફરી ઓક્સીજન સીલીન્ડર રીફીલીંગની મંજુરી આપવામાં આવતાં એકંદરે સામાજીક સંસ્થાઓ સહિત દર્દીઓને રાહત થઈ હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tRQUbo
0 Response to "સામાજિક સંસ્થાઓ-ઘેર સારવાર લેતા દર્દીઓને ઓક્સિજન રિફિલિંગ કરવા દો"
Post a Comment