
સાણંદના ખોરજના યુવાનો દ્વારા હાઈવે પર ફાળો એકત્ર કરવાનું અભિયાન
સાણંદ : સાણંદ તાલુકા કરની સૈનિકો દ્વારા ચાર માસના બાળક ધૈર્યરાજના ઈલાજ માટે ફાળો ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
કરોડોમાં એકાદ કિસ્સામાં જ જોવા મળતી અને મુખ્યત્વે બાળકોમાં જોવા મળતી આ કરોડરજ્જુની બિમારીમાં સપડાયેલા ધૈર્યરાજને ઈલાજ માટે ૧૬ (સોળ) કરોડના ઈંજેકશનની જરૂર છે. પરંતુ ધૈર્યરાજના પિતા રાજદીપસિંહ એક સામાન્ય નોકરી કરતા હોવાથી તેમજ તેમની આર્થિક પરિસ્થિતિ પણ સારી ના હોવાથી ૧૬ કરોડ રૂપિયા ખર્ચી શકે તેમ નથી.
પરિણામે સમગ્ર ભારતવર્ષના લોકો આ ફુલ જેવા બાળકને બચાવી લેવા આગળ આવ્યા છે. રાજપૂત કરણી સેના સાણંદના યુવકો દ્વારા અલગ અલગ ટીમો બનાવી સાણંદ શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર તેમજ ટોલ પ્લાઝા, જીઆઇડીસી, જેવા વિસ્તારોમાં ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે.
સાણંદ પોલીસ ઈન્સ્પેકટર એચ.બી. ગોહીલ, તેમજ સ્ટાફ મિત્રો દ્વારા તેમજ ચાંગોદર પોલીસ સ્ટાફ દ્વારા પણ દાનની સરવાણી વહાવી માનવતાના આ કાર્યમાં સહયોગ આપેલ છે. રાજપૂત કરણી સેના સાણંદ હજુ વધુમાં વધુ દાન આપવા લોકોને અપીલ કરી રહી છે. માનવતાના આ કાર્યમાં રાજપૂત કરણી સેના સાણંદ પ્રમુખ જયપાલસિંહ ઝાલા, અમદાવાદ જિલ્લા સોશીયલ મીડિયા પ્રભારી, ઉપપ્રમુખ તેમજ બીજા ૧૦૦ જેટલા કરણી સૈનીકો આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
સાણંદના ખોરજ ગામના યુવાનોએ ગંભીર બિમારીથી પિડાતા ધૈર્યરાજસિંહને બચાવવા હાઇવે ઉપર ઊભા રહી ફાળો ઉઘરાવ્યો. ગંભીર બિમારીથી પિડાતા ધૈર્યરાજસિંહને બચાવવા ગુજરાત રાજ્યમાં અનેક લોકો મદદ માટે પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે સાણંદ તાલુકાના ખોરજ ગામના યુવાનોએ વિરોચન નગર ગામા પાટિયા પાસે હાઇવે ઉપર પસાર થતા વાહન ચાલકો પાસેથી ફાળો ઉઘરાવી મદદરૂપ થવાનો એક પ્રયાસ હાથ ધર્યો છે. સાણંદ તાલુકા ખોરજ ગામના યુવાનોએ સાણંદ વિરમગામ હાઇવે ઉપર આવેલ વિરોચનનગર પાટિયા પાસે એકત્ર થઇ ગંભીર બીમારીથી પીડાતા ચાર માસના બાળક ધૈર્યરાજના ઈલાજ માટે હાઇવે ઉપરથી નીકળતા વાહન ચાલકો પાસેથી ફાળો ઉઘરાવ્યો હતો. જેમાં સાણંદ તાલુકાના ખોરજ ગામના જેડી ઈવેન્ટના જગદીશસિંહ ચાવડા સહીતના યુવકો ઉપસ્થિત રહ્યા હતા.
0 Response to "સાણંદના ખોરજના યુવાનો દ્વારા હાઈવે પર ફાળો એકત્ર કરવાનું અભિયાન"
Post a Comment