
કાર્ગો ઝૂંપડપટ્ટીમાં બે જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણામાં નવને ઈજાઓ પહોંચી
- ઘર પાસેથી વહેતા ગટરના પાણીએ સર્જી મોટી બબાલ : ઘાયલોને સારવાર માટે રામબાગ લઈ જવાયા
ગાંધીધામ
કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘર પાસેથી ગટરના પાણી વહેવા મુદે પડોશીઓ વચ્ચે પ્રથમ બોલાચાલી થયા બાદ ઉશ્કેરાટમાં શસ્ત્રો સાથે ધીંગાણું ખેલાયું હતું. આ ઘટનામાં ૯ લોકોને ઈજાઓ પહોંચી હતી જેમને રામબાગ લઈ જવામાં આવ્યા હતા.
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસની વિગતો અનુસાર, આજે સવારે કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ૧૧ વાગ્યાની આસપાસ ઘર પાસે ગટરના પાણી વહેવા મુદે બે પડોશી પરિવારો વચ્ચે બોલાચાલી થયા બાદ બન્ને પક્ષના લોકો હાથમાં હથિયારો, પથ્થર વગેરે લઈને એકબીજા પર તુટી પડયા હતા. પ્રથમ જુથમાં હુસેનબાનુ મામદ ફકીર, અંગુરી સલીમ શાહ, સલીમશા મોહમદ, રુબીના શેખને ઈજાઓ પહોંચી તો સામી તરફ બીજા જુથના ગોલા યાદવ, રામ વિશ્વાસ પાસવાન, વિરેન્દ્ર યાદવ, રણજીત યાદવ અને વિલાસ યાદવને ઈજાઓ પહોંચી હતી. લોકડી, ધોકા, પથ્થર, ધારીયા વડે ખેલાયેલા આ ધીંગાણાએ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. પોલીસે બન્ને પક્ષો સારવાર હેઠળ હોઈ હજુ ફરિયાદ નોંધી ન હોવાનું જણાવ્યું હતું. બનાવ સબંધે સામસામી ફરિયાદો કરવામાં આવશે એમ મનાય છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39cCcUa
0 Response to "કાર્ગો ઝૂંપડપટ્ટીમાં બે જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણામાં નવને ઈજાઓ પહોંચી"
Post a Comment