
બેંકમાં રૂા. 1 લાખની એફડી કરાવવા ગયેલા ખાતેદારને વીમા પોલીસી પધરાવી
મહેસાણા, તા.10
જોટાણામાં આવેલ બેંક ઓફ બરોડામાં રૂ.૧ લાખની એફડી કરાવવા ગયેલા નિવૃત્ત આચાર્યનો વિશ્વાસ કેળવીને તેઓને વીમા પોલીસી પધરાવી દેવામાં આવી હતી. જેની જાણ થતાં તેમણે પૈસા પરત માંગતા અવારનવાર આશ્વાસનો મળ્યા હતા. છેવટે તેમણે આ અંગે સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બેંકના બ્રાન્ચ મેનેજર અને વીમા એજન્ટ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાકાસણા ખાતેની શાખામાંથી નિવૃત્ત થયેલા આચાર્ય આત્મારામભાઈ મણીલાલ પટેલનું બચત ખાતું જોટાણામાં આવેલ બેંક ઓફ બરોડામાં ચાલે છે. તેઓ ગત તા. ૨૨-૧૧-૧૯ના રોજ જોટાણા બેંકમાં રૂા. ૧ લાખની ફીક્સ ડિપોઝીટ કરાવવા માટે ગયા હતા. જ્યાં બ્રાન્ચ મેનેજર હિમાંશુ રાકેશભાઈ મકવાણાએ એફડીને બદલે હું કહું તેમાં રોકાણ કરો. આ સ્કીમમાં વ્યાજ પણ વધુ મળશે અને પૈસા જ્યારે પાછા જોઈએ ત્યારે મળી જશે તેવી વાત કરી હતી. ત્યારબાદ તેમણે ઈન્ડિયા ફસ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારી હિમાંશુ બાબુભાઈ મકવાણાને બોલાવ્યા હતા. બન્નેએ નિવૃત્ત આચાર્યને વિશ્વાસમાં લઈને ફોર્મ ઉપર સહીઓ કરાવી હતી. તે પછી એકાઉન્ટમાંથી રૂા. ૧ લાખ કપાઈ ગયા હતા. પંદરેક દિવસ બાદ તેમના ઘરે ઈન્સ્યોરન્સ કંપનીની ગેરંટેડ રીટાયરમેન્ટ પ્લાન્ટમાં રોકાણ થયું હોવાનું અને પાંચ વર્ષ સુધી પ્રિમીયમ ભરવાનું જાણવા મળ્યું હતું. જેથી નિવૃત્ત આચાર્યએ બેંકમાં જઈને પૈસા પરત માગ્યા હતા. પરંતુ તેઓને અવારનવાર ખોટા આશ્વાસનો મળ્યા હતા. વળી વીમા કંપનીનો ટાર્ગેટ પુરો કરવા તેઓના પૈસાનું એફડીને બદલે વીમા પોલીસીમાં કરાવ્યું હતું. જેમાં જોટાણા તથા આસપાસના અન્ય ગ્રાહકો પણ ભોગ બન્યા હોવાનું ખુલ્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30wi4Yf
0 Response to "બેંકમાં રૂા. 1 લાખની એફડી કરાવવા ગયેલા ખાતેદારને વીમા પોલીસી પધરાવી"
Post a Comment