માતાએ નવ વર્ષની અને ચાર માસની બે પુત્રીઓને કેનાલમાં ફેંકી દીધી

માતાએ નવ વર્ષની અને ચાર માસની બે પુત્રીઓને કેનાલમાં ફેંકી દીધી


- નણંદ સાથેના ઝગડાથી માનસિક્તા ગુમાવીને દહેગામના આંત્રોલીની ભાભીએ બાળકીઓને ફેંકી દીધીઃએક પુત્રીનો મૃતદેહ મળ્યોઃપોલીસે તપાસ શરૂ કરી

ગાંધીનગર, તા. 28 ડિસેમ્બર 2020, સોમવાર


છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય....સતયુગની આ કહેવત કળયુગમાં ખોટી પડી રહી છે. દહેગામના આંત્રોલી ગામની માતાએ જ પોતાની બે દીકરીઓને જળસમાધી દઇ દીધીનો બનાવ સામે આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના આંત્રોલી ગામે પ્લાસ્ટીકની અવેજમાં ચવાણું લેવા જેવી સામાન્ય બાબતમાં રીસે ભરાઈને માતાએ પોતાની ચાર વર્ષ અને છ માસ એમ બે માસુમ દીકરીઓને કડાદરા નર્મદા કેનાલમાં નાંખી દઈ મોત નીપજાવવાની ઘટના બની છે. ત્યારે આ ઘટના અંગે દહેગામ પોલીસે ગુનો નોંધીને દીકરીઓના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના આંત્રોલી ગામે રહેતા પરિવારની મહિલાએ નણંદ સાથે તકરાર થતાં પોતાની બે દીકરીઓને નર્મદા કેનાલમાં નાંખી દેતાં બન્નેના મોત નીપજયા હતા. આ ઘટના અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાની મળતી વિગતો પ્રમાણે દહેગામ તાલુકાના આંત્રોલી ગામે રહેતા સિધ્ધરાજસિંહ રંગતસિંહ સોલંકીના લગ્ન ર૦૧૪માં હાલીસા ગામના કલસિંહ છનસિંહની પુત્રી શિલ્પા સાથે થયા હતા.


આ લગ્ન જીવનથી તેમને ઉર્વશી ઉવ.૪ અને શ્રધ્ધા ઉવ.છ માસનો જન્મ થયો હતો. દરમ્યાનમાં ગત રવિવારે શિલ્પાબેન સાસરીમાં હતા તે સમયે પ્લાસ્ટિકની અવેજમાં ચવાણાનું વેચાણ કરનાર શખ્સ આવ્યો હતો. આથી શિલ્પાબેને તેમના નણંદ સરોજબેનને કહયું હતું કે ઘરમાં જુનુ પ્લાસ્ટિક છે તે ઉતારી આપો મારી દીકરીને ચવાણું ખાવું છે. જેથી સરોજબેને કહયું કે તમારો વસ્તાર છે તેની ચિંતા તમારે કરવાની અમે અમારા બાપનું ખાઈએ છીએ. 

આમ કહેતા શિલ્પાબેનને લાગી આવ્યું હતું. બાદમાં શિલ્પાબેન બ્લાઉઝ સિવડાવવાનું કહીને ઘરેથી બે દીકરી શ્રધ્ધા અને ઉર્વશીને લઈને નીકળી ગયા હતા. રસ્તામાં તેમના બનેવી મળતાં લીહોડા દવાખાને જઈ રહયા હોવાનું તેમને જણાવ્યું હતું. બાદમાં બે દીકરીઓને લઈને નીકળેલા શિલ્પાબેન કડોદરા ખાતે પહોંચી ગયા હતા જયાં પસાર થતી નર્મદા કેનાલના પુલ ઉપરથી ચાર વર્ષની ઉર્વશી અને છ માસની શ્રધ્ધાને કેનાલમાં ફેંકી દીધી હતી. આ બનાવ બાદ તેમના પતિ સિધ્ધરાજસિંહના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો કે એક બેન મારી પાસે ઉભા છે અને તેમણે શિલ્પાને ફોન આપતાં તેણે કહયું હતું કે હું ભાન ભુલી ગઈ છુ અને કયાં છુ તેની મને ખબર નથી જેથી સિધ્ધરાજસિંહે ફોનવાળા ભાઈને શિલ્પાને ગલુદણ ગામે તેમની બહેનના ઘરે પહોંચાડવા માટે જણાવ્યું હતું.

બાદમાં સિધ્ધરાજસિંહ અને તેમના માતા-પિતા અને કાકાના દિકરા સાથે ગલુદણ પહોંચ્યા હતા જયાં ગામના પાટીયા પાસે જ શિલ્પાબેન ઉભા હતા અને દીકરીઓ બાબતે તેમને પુછતાં યોગ્ય જવાબ ના આપતાં તેમને લઈને કડાદરા નર્મદા કેનાલ ખાતે પહોંચ્યા હતા જયાં નજીકના પાનના ગલ્લા પરથી એક વ્યક્તિએ આવીને કહયું હતું કે આ મહિલાએ બે નાના બાળકોને કેનાલમાં નાંખી દીધા છે. જેથી કડકાઈથી શિલ્પાની પુછપરછ કરતાં તેણે ચવાણું ખાવા માટે નણંદે પ્લાસ્ટિક ઉતારી આપવાનું કહેતા નણંદે કહેલા વેણથી તેમને લાગી આવતાં બન્ને દીકરીઓને મારી નાંખવાનું વિચારી તેમને કેનાલમાં નાંખી દીધી હોવાની કબુલાત કરી હતી. જેથી આ અંગે દહેગામ પોલીસને જાણ કરવામાં આવતાં પીઆઈ જે.ક.રાઠોડ અને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સિધ્ધરાજસિંહની ફરીયાદના આધારે શિલ્પાબેનની ધરપકડ કરીને દીકરીઓના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે માતાએ જ કમાવતર બનીને માસુમ દીકરીઓને કેનાલમાં નાંખી દઈ મોત નીપજાવ્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ફીટકારની લાગણી વરસાવી હતી. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34PIozb

0 Response to "માતાએ નવ વર્ષની અને ચાર માસની બે પુત્રીઓને કેનાલમાં ફેંકી દીધી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel