
અમદાવાદમાં વધુ 237 લોકો કોરોનાથી સંક્રમિત, સાતનાં મૃત્યુ
અમદાવાદ, તા. 14 ડિસેમ્બર, 2020, સોમવાર
અમદાવાદમાં કોરોના પ્રકોપ ધીમો પડયો છે પરંતુ માસ્ક પહેરવાની અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની બાબતમાં સ્હેજ પણ બેદરકારી રાખવા જેવું નથી. કોમ્યુનિટી સ્પ્રેડિગ શરૂ થઈ ગયું હોવાથી ગમે ત્યારે, ગમે ત્યાંથી વાયરસનો ચેપ લાગી શકે તેમ છે. ઠંડી વધી રહી હોવાથી પણ સંક્રમણની ઝડપ વધવાની દહેશત સેવાઈ રહી છે. દરમ્યાનમાં આજે વધુ 237 કોરોનાના દર્દીઓ સરકારી યાદી અનુસાર નોંધાયા છે.
તેમજ સારવાર દરમ્યાન સાત દર્દીઓના કરૂણ મૃત્યુ નોંધાયા છે. જ્યારે સ્વસ્થ થઈ ગયેલા 229 લોકોને હૉસ્પિટલોમાંથી રજા અપાઈ છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓનો આંકડો 55533ને આંબી ગયો છે. તેમાંથી 2127 દર્દીઓ તેમની જિંદગી ગુમાવી છે. જ્યારે કોરોનાને હરાવીને સાજા થઈ ગયેલા 45799 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે.
દરમ્યાનમાં દિવાળી બાદ કોરોનાના વધી ગયેલા કેસો ક્રમશ: ઘટી રહ્યા છે. ખાનગી હૉસ્પિટલોની 2240 પ્રાઇવેટ બેડ વધીને 3445 કરવામાં આવી હતી જે આજે 3775 થઈ ગઈ છે તેમાંથી 1517 બેડ ભરાયેલા છે, જ્યારે 2258 બેડ એટલે કે 59.81 ટકા ખાલી પડયા છે.
જો કે 264 દર્દીઓ આઇસીયુમાં છે અને 133 વેન્ટીલેટર ઉપર છે. બીજી તરફ સરકારી યાદીમાં રાજ્યભરમાં 63 દર્દીઓ વેન્ટીલેટર ઉપર હોવાનું જણાવાયું છે. એક તરફ કેસો ઘટતાં જાય છે ત્યારે બીજી તરફ મ્યુનિ.ના સત્તાવાળાઓ બેડ કેમ વધારતા જાય છે તે સમજાતું નથી.
આગળના દિવસ કરતા 330 પ્રાઇવેટ બેડ વધાર્યા છે. ઉપરાંત એક્ટિવ કેસો ઘટીને 2504 થઈ ગયા છે. જેમાંથી ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોનના 1344 અને પૂર્વકાંઠાના મધ્ય ઝોન, પૂર્વ ઝોન, ઉત્તર ઝોન દક્ષિણ ઝોનના 1160 દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે આશ્ચર્યજનક રીતે નવા પશ્ચિમના બે ઝોન અને પશ્ચિમના ઝોનના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો નથી કોઈ કારણસર સ્થિર રહે છે.
કયા ઝોનમાં કેટલા એક્ટિવ કેસો ?
પશ્ચિમ ઝોન 455
ઉત્તર પશ્ચિમ ઝોન 484
દક્ષિણ પશ્ચિમ ઝોન 405
દક્ષિણ ઝોન 384
પૂર્વ ઝોન 235
ઉત્તર ઝોન 316
મધ્ય ઝોન 225
કુલ 2504
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34uay2H
0 Response to "અમદાવાદમાં વધુ 237 લોકો કોરોનાથી સંક્રમિત, સાતનાં મૃત્યુ"
Post a Comment