
પાણી પુરવઠાની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો
પાલનપુર,તા.29 નવેમ્બર 2020, રવિવાર
પીવાના પાણીની અછત ભોગવતા સરહદી બનાસકાંઠા જિલ્લામાં તંત્રની લાપરવાહીના કારણે પાણી પુરવઠાની પાઈપ લાઈનો તેમજ કેનાલોમાં ભંગાણ સર્જાવાના કારણે છાશવારે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જે વચ્ચે કાંકરેજ તાલુકાના આકોલી ગામે પસાર થતી પાણી પુરવઠાની પાઈપ લાઈનમાં ત્રણ જગ્યાએ ભંગાણ સર્જાતા લાખો લીટર પીવાના પાણીનો વ્યય થતા ભરશિયાળે પાણીની નદી વહી રહી હતી.
કાંકરેજ તાલુકાના આકોલી ગામે મહારાજવાસના તળાવ નજીક પસાર થતી પાણી પુરવઠા વિભાગની પાઈપ લાઈનમાં ત્રણ જગ્યાએ પાઈપ તૂટી જતા પાણીની સપ્લાઈ કરતી પાઈપ લાઈનમાં ભંગાણ પડતાં લાખો લીટર પીવામાં પાણીનો સરેઆણ વેડફાટ થતા તળાવ કાંઠે પાણીની નદીઓ વહેવા લાગી હતી. જોકે પાણીના બગાડને રોકવા માટે ગ્રામજનો દ્વારા શિહોરી પાણી પુરવઠા વિભાગની કચેરીએ તેમજ જવાબદાર અધિકારીઓને ફોન મારફતે જાણ કરવામાં આવતા જવાબદાર કોઈ અધિકારી કે કર્મચારીએ ફોન ઉપાડવાની તસ્દી ન લેતા લાખો લીટર પાણી વહી જતા લોકોમાં તંત્રની લાલીયાવાડી સામે રોષ ભભૂકી ઉઠયો હતો. જોકે જિલ્લામાં પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં લોકો પાણીનું જીવની જેમ જતન કરે છે. ત્યારે બીજી બાજુ પાણી પુરવઠા તંત્રની લાપરવાહીના કારણે આકોલીમાં પાઈપ લાઈનમાં ભંગાણ થવાને લઈ લાખો લીટર પાણીનો સરેઆમ બગાડ થઈ રહ્યો છે. ત્યારે પાણી પુરવઠા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આકોલી ગામે ત્રણ જગ્યાએ તૂટેલી પાઈપ લાઈનનું સમારકામ કરાવીને પાણીનો વ્યય થતો અટકાવે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qdTSW8
0 Response to "પાણી પુરવઠાની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો"
Post a Comment