
મહેસાણાના નર્મદેશ્વર મહાદેવ મંદિરના દરવાજા ખોલવા ઉપવાસ કરતા કોંગી કાર્યકરોની અટકાયત
મહેસાણા,તા.16 ઓક્ટોબર 2020, શુક્રવાર
મહેસાણાના ભાજપ કમલમ કાર્યાલય સામે આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિર ઘણા સમયથી બંધ કરાયું છે. આ મંદિર ખોલવા માટે કોંગી આગેવાનો, કાર્યકરો દ્વારા અનેક રજૂઆતો છતાં કોઈ નિર્ણય ન લેવાતા કોંગી કાર્યકરોએ નર્મદેશ્વર મહાદેવ મંદિર આગળ પ્રતિક ઉપવાસ કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.
મહેસાણાના પિલાજી ગંજ વિસ્તારમાં આવેલ ભાજપ કમલમ કાર્યાલય સામે નર્મદેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. આ મંદિરના દરવાજા છેલ્લા પાંચથી વધુ માસથી બંધ કરી તાળા મારી દેવાયા છે. આ મંદિરના દરવાજા ખોલવા મામલે મહેસાણા શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભૌતિક ભટ્ટ દ્વારા આ મામલે પાલિકા સત્તાધીશો તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી છે. તેમછતાં કોઈ પગલાં નહી લેવાતા શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સહિત છ થી વધુ કોંગી કાર્યકરોએ નર્મદેશ્વર મહાદેવ મંદિર બહાર આજે સવારે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. જોકે મહેસાણા શહેર એડીવીઝન પોલીસે પૂર્વ કોંગી શહેર પ્રમુખ સહિત છ જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.
મંદિર બંધ હોવાથી મહિલાઓ દિવાલ કુદીને દર્શનાર્થે જાય છે
આ મામલે શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે મંદિરને તાળા મારેલા હોવાથી મહિલાઓ પૂજા કરવા માટે દિવાલ કુદીને જાય છે તેથી તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે. તેમછતાં મંદિરના દરવાજાના તાળા ખોલાયા નથી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T5rohS
0 Response to "મહેસાણાના નર્મદેશ્વર મહાદેવ મંદિરના દરવાજા ખોલવા ઉપવાસ કરતા કોંગી કાર્યકરોની અટકાયત"
Post a Comment